૧૫૬. જીભાઇ, કાનદાસ, નરોત્તમદાસ, નાગરદાસ, ઇશ્વરદાસ, રાઇબાઇ એ સર્વેને થયેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:49pm

પૂર્વછાયો – વળી કહું એક વારતા, સુંદર છે અતિસાર ।

જેણી રીત્યે હરિજનની, વળી કરી હરિયે વાર ।।૧।।

બારાં મધ્યે એક બહુ સારું, ગણિએ ગુડેલ ગામ ।

ખરા ક્ષત્રિ ત્યાં રહે, જેનું છે જીભાઇ નામ ।।૨।।

તેહના તે ગામ ઉપરે, વળી આવી ચોરની ધાડ્ય ।

લાગ્યા તે સહુને લુંટવા, પાપીએ પડાવી રાડ્ય ।।૩।।

તેહ સુણિ શૂરવીર ધીર, તરત થયા તૈયાર ।

રુડા રણમાં રમવા, લીધાં હાથ હથિયાર ।।૪।।

ચોપાઇ- મારી ચોેર કર્યા ચકચુર, જે રહ્યા તે ભાગી ગયા દૂર ।

એક ચોર રહ્યોતો સંતાઇ, કર્યો ઘાવ તેણે શિરમાંઇ ।।૫।।

પછી તે તસ્કરને મારી, કાઢી ધાડ્ય ગામમાંથી બારી ।

કરી જીત વળ્યા નિજઘેર, સમરતાં સ્વામી રુડિપેર ।।૬।।

રાખી વરતિ તે મૂર્તિમાંઇ, ઘાયા તેની પીડા નહિ કાંઇ ।

સુખે વીત્યા દશપાંચ દન, આવ્યા ભક્ત પાસે ભગવન ।।૭।।

નિર્ખ્યા જીભાઈએ શ્રીજગદીશ, અતિહરખે નમાવિયું શીશ ।

કહે ધન્ય દીનપ્રતિપાળ, મારી આ સમે લીધી સંભાળ ।।૮।।

એમ કહિને જોડિયા હાથ, ત્યારે બોલિયા નેહશું નાથ ।

આજથકી જાણો ત્રિજે દન, તમારે નથી રાખવું તન ।।૯।।

મેલી દેહ આવો બ્રહ્મમોલ, એમ કહી દઇ ચાલ્યા કોલ ।

ત્યારે રાજી થયા છે જીભાઈ, અતિહરખ પામ્યા મનમાંઈ ।।૧૦।।

જોઇ રહ્યા છે વાયદે વાટ, બ્રહ્મમોહોલમાં જાવું તે માટ ।

ત્યારે નાથજી થયા તૈયાર, સાથે લઇ દશ તે અશ્વાર ।।૧૧।।

વાલો આવ્યા વડગામમાંઇ, દિધાં દાસને દર્શન ત્યાંઇ ।

પછી આવ્યા છે ગુડેલ ગામ, કરવા જીભાઈનું હરિ કામ ।।૧૨।।

દિધાં દર્શનદાન બહુને, થયું આશ્ચર્ય જન સહુને ।

કોટીકોટી સૂર્યને સમાન, દીઠા સખાસંગે ભગવાન ।।૧૩।।

આવ્યા જીવન જીભાઇ પાસ, દીનબંધુ જાણી નિજદાસ ।

કહે વાલોજી વારમવાર, થાઓ જીભાઇ હવે તૈયાર ।।૧૪।।

ત્યારે જીભાઈ થયા પ્રસન્ન, તરત તજયું રાજી થઇ તન ।

માગી શિખ મૂક્યું જયારે તન, જોઇ આશ્ચર્ય પામિયા જન ।।૧૫।।

કહે ધન્યધન્ય મારા નાથ, તેડી ચાલ્યા જીભાઈને સાથ ।

આવી રીત્ય દીઠી ન સાંભળી, તેવી આજ જોઇ અમે મળી ।।૧૬।।

માટે આથી પર્ચો શિયો અન્ય, હશે પાપી તે નહિ માને મન્ય ।

આવી રીત્યે તન જાય છૂટી, એથી વાત બીજી કઇ મોટી ।।૧૭।।

એક ચડોતરે બોચાસણ, તિયાં કાશીદાસ શિરોમણ ।

તેને સાચી સમજાણી વાત, રહ્યો સંશયવત એનો તાત ।।૧૮।।

તેને કાશીદાસ કહે એમ, તમે સ્વામીને સમજોછો કેમ ।

ત્યારે કાનદાસે એમ કહ્યું, શુકસરિખા એવું મેં લયું ।।૧૯।।

ત્યારે કાશીદાસ કહે તાત, સ્વામી સ્વયં શ્રીહરિ સાક્ષાત ।

ત્યારે કાનદાસ કહે હશે, પણ મટ્યો નહિ મનસંશે ।।૨૦।।

એમ કરતાં વીત્યા કાંઇ દન, થયાં કાનદાસને દર્શન ।

દીઠા પરમહંસ લાખો લેખે, તન તેજ સૂર્યથી વશેખે ।।૨૧।।

કોઇ દિઠા છે નારદ જેવા, કોઇ શુકસમાન છે એવા ।

કોઇક દિઠા સનક સમાન, કોઇ વાલ્મીક મુનિ નિદાન ।।૨૨।।

ઋષિ સહસ્ર અઠ્યાશી છે જેહ, દિઠા તેજના અંબાર તેહ ।

જોઇ આશ્ચર્ય અંતરે પામ્યા, સંશય સર્વે મનનો વામ્યા ।।૨૩।।

પછી લાગ્યા છે સહુને પાય, અતિ રાજી થઇ મનમાંય ।

કહે ધન્ય ધન્ય મુનિજન, ધન્ય સહજાનંદ ભગવન ।।૨૪।।

તમે મુનિ ને જે મહારાજ, આવ્યા જીવ ઉધારવા કાજ ।

આવો પ્રકટ પરચો પામી, નહિ માને જે હશે હરામી ।।૨૫।।

વળી ચડોતરમાં મેઘવે, કહું વાત કણબીની હવે ।

નરોત્તમ ને નાગરદાસ, કરે સત્સંગની ઉપહાસ ।।૨૬।।

ધન જોબનને બળે કરી, પગ ન ભરે પ્રભુથી ડરી ।

કરે ભક્તની નિંદા અમટ, તે પાપે વળગ્યાં ભૂત ષટ્ ।।૨૭।।

બે ભોઇ બે ભંગિયા નિદાન, એક ખત્રી એક મુસલમાન ।

વળગ્યાં નરોત્તમને એ ષટ્, આપે અંગમાં દુઃખ અમટ ।।૨૮।।

જયારે આવે અંગમાંઇ ભોઇ, ત્યારે ભાર લિયે શિર ઢોઈ ।

જયારે મુલ્લાં આવે અંગમાંયે, ત્યારે માગેછે કાંઇનું કાંયે ।।૨૯।।

આવે ભંગિયા બે ભેળા મળી, માગે ખાવા અખાજ તે વળી ।

જયારે ખત્રી કરે પરવેશ, ત્યારે કરે હોયેશ હોયેશ ।।૩૦।।

જયારે જેજે વસે આવી અંગ, ત્યારે તેવો જ કરેછે રંગ ।

એમ ભૂત વળગ્યાં એ છોય, મુવા લગી મુકે નહિ કોય ।।૩૧।।

વળી ધડપર નહિ જેને શિશ, વળગ્યો તે નાગરને ખવિશ ।

વળી એકને વળગ્યો કોળી, થઇ ભેળી ભૂતતણી ટોળી ।।૩૨।।

કોઇ મુંઝવે કોઇ રોવારે, કોઇ જગાવે કોઇ સુવારે ।

કોઇ ધુણવે ધ્રુજવે વળી, એમ દિયે દુઃખ સહુ મળી ।।૩૩।।

તે કાઢવા ઉપાય બહુ કરીયા, કર્યા ભેળા ભૂવા ને જાગરિયા ।

ધુણીધુણી ધન ગયા ખાઇ, તોયે ફેર પડ્યો નહિ કાંઇ ।।૩૪।।

પછી ચાલ્યા ત્રણ્યે ત્યાંથી મળી, આવ્યા વરતાલે સ્વામી સાંભળી ।

કર્યાં દર્શન લાગીયા ચરણ, સ્વામી અમો છું તમારે શરણ ।।૩૫।।

ત્યારે ભૂતને ભયજ લાગી, રહી ન શક્યાં નિસર્યાં ભાગી ।

જોઇ મહારાજનો પરતાપ, થયો ભૂતતણે તન તાપ ।।૩૬।।

ન ખમાણું તે નિસર્યાં ખશી, જે રહ્યાંતાં એ ત્રણ્યમાં વશી ।

પછી ત્રણ્યે સતસંગી થયા, ધારી નિયમ નિજઘેર ગયા ।।૩૭।।

તે જોઇ સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।

થયો પરચો જાણ્યો સહુ જને, કાઢ્યાં ભૂત પોત્યે ભગવને ।।૩૮।।

વળી એ દેશે મુમધા ગામ, તિયાં બ્રાહ્મણ ઇશ્વર નામ ।

તેહને બ્રહ્મરાક્ષસ વળગો, આપે દુઃખ થાય નહિ અળગો ।।૩૯।।

તે રાક્ષસને કાઢવા માટ, ઘેરે બેસાર્યો શાસ્ત્રીય પાઠ ।

ધુણીધુણી ને થયો બેહાલ, તોય ભૂતે મેલ્યો નહિ ખ્યાલ ।।૪૦।।

ભણે શ્લોક ભેળા શ્લોક તેહ, થયો ભૂત તે ભણેલો એહ ।

કૌમુદી ન્યાય વ્યાકરણ જાણે, બોલે ગીર્વાણી સંગે ગીર્વાણે ।।૪૧।।

કોઇ રીત્યની ન માને વાત, દિયે દુઃખ દિવસ ને રાત્ય ।

પછી બ્રાહ્મણ જેતલપુરે, આવ્યો શ્રીહરિની તે હજાુરે ।।૪૨।।

આવી લાગ્યો મહારાજને પાય, ત્યારે ભૂત બોલ્યો એહમાંય ।

હવે હું ક્યાં જાઉં મુરારી, આવ્યો બ્રાહ્મણ શરણ તમારી ।।૪૩।।

કહે નાથ રહે સંતમાંય, ભૂત કહે પાસે કેમ અવાય ।

તારે નાથ કહે જા બદ્રીવન, કર્ય નરવીરનું દર્શન ।।૪૪।।

પછી ભૂત શિખ માગી ગયો, દ્વિજ ઇશ્વરજી સાજો થયો ।

તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીયે મુખથી ઘણોઘણો ।।૪૫।।

વળી જેતલપુરને માંઇ, કણબી નામ તેનું રાઇબાઇ ।

તેને વળગી ચુડેલ સયાણી, દિયે દુઃખ નિત્યપ્રત્યે ઘણી ।।૪૬।।

લઇ જાય પહેર્યાનાં લુગડાં, જાય ઝોંટી ખાવાનાં ઠામડાં ।

થાય પાંચ દશ દન જયારે, નાખી જાય ફોડી ત્રોડી ત્યારે ।।૪૭।।

એમ ચુડેલ પડી છે કેડ્યે, જાય ચડાવી પાડરૂં મેડે ।

પછી તે બાઇ પ્રભુને પાસ, આવી કરી એની અરદાસ ।।૪૮।।

ત્યારે બોલિયા શ્રીભગવાન, થા સત્સંગી લે વ્રતમાન ।

પછી તે બાઇએ તેમજ કયુર્ં, ત્યારે ભૂત તે ભાગી નિસર્યું ।।૪૯।।

તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીએ વળી મુખથી ઘણો ।

એમ આપે જનને આનંદ, નયણે નિર્ખિ કહે નિષ્કુળાનંદ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને છપનમું પ્રકરણમ્ ।।૧૫૬।।