૧૫૦. ઇટોલાનાં બાપુભાઇ, બેચરભાઇ, કરાલીનાં નાનાભાઇ, જેઠો ભકત, પ્રભાતગર એ દરેકને પ્રભુએ દીધેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:41pm

પૂર્વછાયો- કહું દેશ કાનમમાં, એક ઇટોલું ગામ ।

ભક્ત ભલા કણબી કુળે, જાણો જીજીભાઇ નામ ।।૧।।

સતસંગમાં શિરોમણિ, વળી હરિમાં ઘણું હેત ।

અચળ કીધો આશરો, સોંપી તન મન ધન સમેત ।।૨।।

આયુષ્ય ખૂટે આવિયો, ભાઇ એના દેહનો અંત ।

તેને આવ્યા તેડવા, નિજભક્ત જાણી ભગવંત ।।૩।।

નિજ સખા બહુ સંત સાથે, મોટા મોટા મુનિરાજ ।

સુવર્ણમય રથમાંઇ, બેસી પધાર્યા મહારાજ ।।૪।।

ચોપાઇ- આવ્યા અર્ધરાત્રે અવિનાશ, થયો ગામમાં બહુ પ્રકાશ ।

એક દ્વિજ ભક્ત બાપુભાઇ, છોડ્યો રથ તેના ફળિમાંઇ ।।૫।।

જાગી લાગિયા બાપુજી પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય ।

કહે થયો કૃતારથ આજ, તમે ઘેર પધાર્યા મહારાજ ।।૬।।

હવે રહો રાજી થઇ નાથ, એમ કહે ઉભો જોડી હાથ ।

પછી બોલિયા શ્રી મહારાજ, અમે આવ્યા જીજીભાઇ કાજ ।।૭।।

એને તેડી જાશું આજ અમે, સત્ય માનો બાપુભાઇ તમે ।

ત્યારે બોલ્યા બાપુભાઇ એમ, એને મેલી જાઓ કહીએ કેમ ।।૮।।

પણ સત્સંગમાં એહ જેવા, બીજા નથી શિખામણ્ય દેવા ।

ત્યારે નાથ કહે નહિ લૈયે, લેશું એના બળધને તૈયે ।।૯।।

ત્યારે બોલ્યા બાપુ હરિજન, પ્રભુ એવું શિયું એનું પુણ્ય ।

ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે, જાુત્યોતો એ રસોઇને રથે ।।૧૦।।

માટે લઇ જાશું એને આજ, એમ કહી પધાર્યા મહારાજ ।

પછે બાપુભાઇ તેહ પળે, ગયો જીજીભાઇને પાસળે ।।૧૧।।

કહે હમણાં પધાર્યાતા નાથ, બહુ સંત હતા હરિ સાથ ।

તેતો તેડવા આવ્યાતા તમને, પણ રાખી ગયા કહ્યું અમને ।।૧૨।।

પણ એ વાત સાચી તો મળે, જાયે બળદ તમારા પાસળે ।

પછી કરી દિવો જોયું જઇ, ત્યાંતો બળદિયાના પ્રાણ નઇ ।।૧૩।।

પછી સહુને તેડી કરી વાત, જે દિઠિતી નજરે સાક્ષાત ।

તેહ સાંભળી આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।।૧૪।।

કહે પરચો થયો છે આ ભારી, એમ કહેવા લાગ્યાં નરનારી ।

વળી વાત બીજી એક કહું, તમે સાંભળજયો જન સહુ ।।૧૫।।

કાનમમાં માંગરોળ ગામે, કણબી ભક્ત ત્યાં બેચર નામે ।

કરે ખેતી તે નિર્વાહ કાજ, મુખે ભજે સ્વામી શ્રીમહારાજ ।।૧૬।।

પાળે વ્રત પ્રતિમામાં પ્રીત, ખેતીવાડીમાં ન બેસે ચિત્ત ।

ત્યારે સરકારે કહ્યું બોલાવી, ભર રૂપૈયા અમને લાવી ।।૧૭।।

એમ કહીને બેસાર્યો તર્ત, આપે ક્યાંથી ગાંઠે નહિ ગર્થ ।

બેઠાં વિતિ ગયા બેઉ દન, લેવા દિધું નહિ જળ અન્ન ।।૧૮।।

ત્યારે બેચરે કર્યો વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર ।

મારેતો બળ એક તમારૂં, બીજો નથી તમ વિના વારૂં ।।૧૯।।

એમ કહેતાં પધાર્યા મહારાજ, નિજજન છોડાવવા કાજ ।

દેખી દુષ્ટ ગયા દલે ડરી, ભાંગી બેડી તોડી ચાલ્યા હરિ ।।૨૦।।

લઇ સવેર્ એનો જે સમાજ, પહોંચાડ્યો જયાં બીજાનું રાજ ।

સરવે જખ મારી રહ્યા જોઇ, કેડ્યે આવી શક્યા નહિ કોઇ ।।૨૧।।

એમ કરી અલૌકિક કાજ, પછી પધાર્યા ત્યાંથી મહારાજ ।

વળી વાત કહું એક સારી, સુણો સર્વે છે ચમતકારી ।।૨૨।।

એક કાનમે કરાલી ગામ, બહુ ભક્ત વસે એહ ઠામ ।

અતિ હેત પ્રીત્યનો નહિ પાર, એવા હરિજન નરનાર ।।૨૩।।

તિયાં પરચા થયા છે બહુ, લખું કેટલા કેટલા કહું ।

અંતકાળે તજે જન તન, આવે તેડવા શ્રીભગવન ।।૨૪।।

રથ વેલ્ય વિમાન ને વાજી, બેસી જાય તેપર થઇ રાજી ।

એવા પરચા થાય છે લાખું, તેતો કેટલાક કહી દાખું ।।૨૫।।

પણ કહું વાત એક વળી, સવેર્ જન લેજયો તે સાંભળી ।

એક પાટીદાર નાનોભાઇ, થાય દુઃખી મંદવાડમાંઇ ।।૨૬।।

તજયું ખાવું પિવું જળ અન્ન, તેને વીતિ ગયા બહુ દન ।

જેજે જોવા આવે જન પાસ, તેને નહિ એના જીવ્યાની આશ ।।૨૭।।

પછી એક દાડે એમ થયું, નાડી પ્રાણાદિ કાંઇ ન રહ્યું ।

પછી સંબંધિ સર્વે ત્યાં મળી, કાઢો કાઢો કહે વળી વળી ।।૨૮।।

થયા તૈયાર લઇ સમાજ, ત્યારે પધાર્યા શ્રીમહારાજ ।

લાવ્યા રથ વેલ્ય ને વિમાન, આવ્યા સંત ભેળા ભગવાન ।।૨૯।।

સહુ જનને દર્શન થયાં, કોઇ દર્શન વિના ન રહ્યાં ।

જોઇ જન થયાં છે મગન, કહે ભલે આવ્યા ભગવન ।।૩૦।।

ત્યારે બોલિયા શ્રીમહારાજ, અમે આવ્યા નાનાભાઇ કાજ ।

તેને તેડી લઇ જાવાતા સાથ, પણ મેલી જાશું કહે નાથ ।।૩૧।।

પછી નાનાને કહે મહારાજ, તને તેડી નહિ જાઇએ આજ ।

માટે અન્ન જળ હવે લેજયે, સુખે સ્વામિનારાયણ કહેજયે ।।૩૨।।

એમ કહી ચાલ્યા ભગવન, જગજીવન જીવાડી જન ।

જોઇ આશ્ચર્ય પામિયાં સહુ, કહે આતો વાત મોટી બહુ ।।૩૩।।

આથી પર્ચો બીજો શિયો કહીએ, સહુ વિચારી જાુવોને હૈયે ।

વળી વાત કહું બીજી એક, સુણો સામર્થી હરિની વિશેક ।।૩૪।।

એક ભક્ત છે જેઠિયો બાળ, તેના દેહનો આવિયો કાળ ।

થયો માંદો ને ન બોલે મુખ, તેને જોઇને કહે વિમુખ ।।૩૫।।

કહે આને તો વળગ્યું ઝોડ, શું જોઇ રહ્યા કરોને ધ્રોડ ।

ત્યારે બોલિયો છે એનો તાત, એવી કરશો માં કોઇ વાત ।।૩૬।।

મરે જીવે તેનું નહિ કાંય, પણ ભૂવા પાસે ન જવાય ।

થાશે હરિનું ગમતું હશે, તેનો શિદને કરવો સંશે ।।૩૭।।

એહ વાત સુણી નહિ કાન, ત્યાંતો પધારિયા ભગવાન ।

એક બાઇ હતી હરિજન, દિધાં આવી તેને દરશન ।।૩૮।।

બાઇ પાય લાગી જોડી હાથ, કહે ક્યાંથી પધારિયા નાથ ।

કહે નાથ આવ્યા અમે આજ, જેઠિયાને તેડવાને કાજ ।।૩૯।।

પણ મેલી જાશું આજ એને, કહેજયે વાત જઇને તું તેને ।

તેનું આપીએ તને એંધાણ, આપ્યું કંુકુમ અલૌકિ જાણ્ય ।।૪૦।।

કરજયે ચાંદલો આનો તું જઇ, સ્વામિનારાયણ નામ લઇ ।

બેઠો થઇને બોલશે બાળ, એમ કહીને ચાલ્યા દયાળ ।।૪૧।।

પછી બાઇ આવી તેને પાસ, કહ્યું આવ્યા હતા અવિનાશ ।

આપ્યું કુંકુમ ચાંદલો કરવા, કહ્યું નથી જેઠિયાને મરવા ।।૪૨।।

પ્રભુ પધાર્યા હતા સાક્ષાત, કહી સરવે મુજને વાત ।

સહુ સાંભળી થકિત થયાં, ધન્ય ધન્ય પ્રભુ કહે રહ્યાં ।।૪૩।।

દિઠું કુંકુમ અલૌકિ એહ, થયો તર્ત બેઠો જેઠો તેહ ।

મળી વાત કહી હરિજનને, થયો પર્ચો એ માનિયું મને ।।૪૪।।

વળી એક વારતા અનુપ, સહુ સાંભળજયો સુખરુપ ।

એહ દેશમાંયે રણુગામ, ત્યાં જોગી પ્રભાતગર નામ ।।૪૫।।

સહુ જાણે એ મોટો છે સિદ્ધ, રાજા પ્રજામાંહિ તે પ્રસિદ્ધ ।

તેણે સુણી સંતની વારતા, જાણ્યા સ્વામીને કલ્યાણ કરતા ।।૪૬।।

પછી તજી સંન્યાસિની રીત્ય, કરી પ્રકટ પ્રભુજીશું પ્રીત્ય ।

એમ કરતાં વીત્યા બહુ દન, અવધ્યે ત્યાર થયા તજવા તન ।।૪૭।।

ત્યારે તેડવા આવ્યા મહારાજ, લાવ્યા બહુ વિમાન બાવાકાજ ।

આવી કંઠમાં આરોપ્યો હાર, આપ્યો તોરો કહ્યું થાઓ ત્યાર ।।૪૮।।

પછી બાવોજી બેઠા વિમાન, તેડી ચાલ્યા પોત્યે ભગવાન ।

આપ્યો હતો હાર તોરો જેહ, રહ્યો પ્રકટ કોટમાં તેહ ।।૪૯।।

સહુ દેખીને પામ્યા આશ્ચર્ય, કહે જાુવો આ તોરો ને સ્રજ ।

આતો અલૌકિક વાત બહુ, એમ કહે જન મળી સહુ ।।૫૦।।

આતો પ્રતાપ મહારાજ તણો, સ્વામી સહજાનંદજીનો ઘણો ।

એમ પરચા બહુબહુ થાય, તે નિષ્કુળાનંદે ન લખાય ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને પચાશમું પ્રકરણમ્ ।।૧૫૦।।