૧૪૪. વડોદરાનાં રામચંદ્ર વૈદ્ય અને તેમના પત્ની અમૃતબાઇ તથા શોભારામને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:33pm

પૂર્વછાયો – વળી વડોદરા શહેરની, કહું વર્ણવી એક વાત ।

પૂર્યા પરચા જનને, સહુ જાણે એમ સાક્ષાત ।।૧।।

એક એકને અનેક પરચા, આપે છે અવિનાશ ।

તેણે ખુમારી તનમાં, મન મગન રહે છે દાસ ।।૨।।

આ લોકને પરલોકનું, થયું સુલભ સહુને કાજ ।

દેહ છતાં દુઃખીયા નહિ, તન છૂટ્યે આવે મહારાજ ।।૩।।

જોઇ જન એવી રીત્યને, કરે અતિ પ્રિત્યે સત્સંગ ।

તેણે કરીને તનમાં, ચડે નિત્યે નવલો રંગ ।।૪।।

ચોપાઇ- ધન્ય ધન્ય આ સત્સંગ માંય, શ્રીહરિ પોત્યે કરે સહાય ।

જયાં જયાં સહાય કરી ઘણી સ્વામી, કહું તેતે હવે કરભામી ।।૫।।

એક દ્વિજભક્ત રામચન્દ્ર, રૂડો રોગારી જાણે રાજેન્દ્ર ।

તેણે સમજીને કર્યો સત્સંગ, ભજે સ્વામી શ્રીજીને અભંગ ।।૬।।

કરતાં સ્મરણ શ્વાસ ઉશ્વાસ, સુતો અંતર દર્શનની આશ ।

કહે બહુ વિતિ ગયા દન, નથી થયું મને દરશન ।।૭।।

નથી જવાતું મેં તિયાં સુધી, એવો રાખ્યો છે વેવારે રૂંધી ।

એમ શોચે ઘણું ઘણું મન, હવે ક્યારે થાશે દરશન ।।૮।।

એમ સંભારી સુતો ઢોલિયે, કહે નાથ કમાડ ખોલિયે ।

ઉઠ્યો રામચન્દ્ર સુણી સાદ, પ્રભુ પધાર્યા પામ્યો આહ્લાદ ।।૯।।

ઉઠી ઝટ ઉઘાડીયું દ્વાર, આવ્યા હરિ મંદિર મોઝાર ।

કોટિ કોટિ સૂર્યને સમાન, શોભા કહી ન જાય નિદાન ।।૧૦।।

સુખસાગરમય મૂરતિ, દેખી દુઃખ રહ્યું નહિ રતિ ।

સંગે ઇંદિરા શોભાની ખાણ્ય, કવિ ક્રોડ્યે ન થાય વખાણ ।।૧૧।।

નખશિખા સજયા શણગાર, શોભે નાથસાથે શ્રી અપાર ।

કહે રામચન્દ્ર જોડી હાથ, કીધો આજ કૃતારથ નાથ ।।૧૨।।

મારાં ભાગ્ય મોટાં મહારાજ, થયાં અલૌકિ દર્શન આજ ।

રહો કરાવું રસોઇ ત્યાર, પ્રીત્યે જમીએ પ્રાણઆધાર ।।૧૩।।

ત્યારે બોલ્યા નાથ મીઠી વાણ્યે, અમે આવ્યા હતા તારી તાણ્યે ।

નથી જમવું જાવું છે વળી, કરો દર્શન સવેર્ મળી ।।૧૪।।

દઇ દર્શન પ્રસન્ન કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।

રામચન્દ્ર કહે ધન્યધન્ય, થયાં આજ મને દરશન ।।૧૫।।

મુજ ઉપર અઢળક ઢળ્યા, પામ્યો પરચો જે પ્રકટ મળ્યા ।

વળી એક દિવસની વાત, પ્રભુ પધાર્યા પોતે સાક્ષાત ।।૧૬।।

આવ્યા ર્અિધનિશા અવિનાશી, સહુ સુતાંતાં કમાડ વાસી ।

એની કિંકરીને કહ્યું જાગ્ય, તારા ઘરમાં થઇ છે આગ્ય ।।૧૭।।

તેણે જાગતાં વાર લગાડી, ત્યારે અમૃતબાઇને જગાડી ।

કહે ઘર બળે છે તમારૂં, તને સુતાં લાગે કેમ સારૂં ।।૧૮।।

તેણે જગાવીયા વૈદ્યરાજ, કહે જાગો આવ્યા છે મહારાજ ।

કહ્યું જગાડી મુજને એમ, થઇ લાય સુતી છો તું કેમ ।।૧૯।।

માટે જાુવોને બળે છે કિયાં, છે અળગું કે લાગ્યું છે ઇયાં ।

પછી રામચન્દ્રે જોયું જઇ, લાય પોતાના ઘરમાં થઇ ।।૨૦।।

તેને ઓલવીને કરી સ્તુતિ, ધન્યધન્ય પ્રભુ પ્રાણપતિ ।

જો ન જગાડો દીનદયાળ, તો આવ્યો હતો અમારો કાળ ।।૨૧।।

તમે કરી શ્રી મહારાજ સાર, અમે આવ્યાં નવે અવતાર ।

એમ કહી લાગ્યાં સહુ પાય, ત્યારે હસી બોલ્યા હરિરાય ।।૨૨।।

આજ ભક્તની કરવા સાર, અમે લીધો છે આ અવતાર ।

કોઇ રીત્યે દુઃખી થાય દાસ, એવું ન કરૂં કહે અવિનાશ ।।૨૩।।

માટે આપ્યો છે પર્ચો મેં આજ, એમ કહી ચાલ્યા મહારાજ ।

પામી આશ્ચર્ય કહે રામચન્દ્ર, ધન્યધન્ય સુખના સમુદ્ર ।।૨૪।।

વળી એક દિવસની કહું, થયો પચોર્ સાંભળજયો સહુ ।

તેડ્યા જમવા ઘેર મરાળ, કર્યો ઠાકુર અરથે થાળ ।।૨૫।।

શાક પાક ને જલેબી જેહ, ભરી થાળ ધયોર્ આગે તેહ ।

આવી જમિયા જીવનપ્રાણ, પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ ।।૨૬।।

જમી આઠ જલેબીજ લીધી, એક હરિજન બાઇને દીધી ।

કહે ગયાતા વૈદ્યને ઘેર, આજ જમ્યા અમે સારી પેર ।।૨૭।।

થાળમાંથી લાવ્યો છું પ્રસાદી, જોઇ જલેબી સારી છે સ્વાદી ।

કહે ભેળી થાય સહુ બાઇ, વહેંચી આપજયો મંડળીમાંઇ ।।૨૮।।

આપી મહારાજે પ્રસાદી જેહ, બાઇએ બાઇઓમાં વેંચી છે તેહ ।

હવે વૈદ્યતણી કહું વાત, થયું જેમ તેમ તે સાક્ષાત ।।૨૯।।

બેઠા જમવા જયારે મરાળ, રામચન્દ્રે સંભાળ્યો છે થાળ ।

આઠ જલેબી ઓછીજ થઇ, સમજયા મનમાં વાત ન કઇ ।।૩૦।।

પછી પ્રકટ વાત એ થઇ, ત્યારે રામચન્દ્રે પણ કઇ ।

એવી રીતનો ચમત્કાર, પામ્યો રામચન્દ્ર બહુવાર ।।૩૧।।

વળી એક વાત છે અનુપ, સતસંગીને છે સુખરૂપ ।

રામચન્દ્રની ભારજયા જેહ, કહે રામચન્દ્ર પ્રત્યે તેહ ।।૩૨।।

જાશું ઉત્સવે આપણે જયારે, શું શું પૂજા લઇ જાશું ત્યારે ।

કહે રામચન્દ્ર તે સાંભળી, કરશું કસુંબી પોશાગ વળી ।।૩૩।।

કહે અમૃત કસુંબી વસન, નાથ પહેરે છે કોઇક દન ।

શ્વેત પોશાગ પહેરે છે ઝાઝું, માટે એવો કરાવો તો કાજાુ ।।૩૪।।

ત્યારે રામચન્દ્ર કહે સારૂં, થાશે જેમ મહારાજનું ધાર્યું ।

એમ કરતાં વિત્યો છે દન, સંધ્યા સમે પધાર્યા જીવન ।।૩૫।।

સારો પહેરી સુંદર સુવાગ, જામો જરી ધરી શિર પાગ ।

શાલ દુશાલ સર્વે કસુંબી, ફુલહારે રહ્યા ભ્રંગ ઝુંબી ।।૩૬।।

તેની પડોશણ્ય એક બાઇ, દીઠા તેણે તે ચઉટા માંઇ ।

તેને નાથે વાત એમ કહી, કહેજયે અમૃત બાઇને જઇ ।।૩૭।।

તું કહેતિતી કસુંબી વસન, નથી પહેરતા જગજીવન ।

તે પહેર્યાં છે મેં સરવે આજે, કહેજે કહ્યું છે એમ મહારાજે ।।૩૮।।

નિરખી નાથને આવી છે એહ, કહી વૈદ્ય આગે વાત તેહ ।

પછી રામચન્દ્ર એની નાર, ધન્ય સામર્થ્ય છે અપરમ પાર ।।૩૯।।

આવા ચમતકારને જોઇ, નહિ માને મંદ મતિ કોઇ ।

પળે પળે પરચા અપાર, જાણે જન ન જાણે સંસાર ।।૪૦।।

વળી એક વાત અતિ સારી, કહું સહુ લેજયો મન ધારી ।

એક શાસ્ત્રી દ્વિજ શોભારામ, ભજે સહજાનંદ સુખધામ ।।૪૧।।

મન કર્મ વચને હરિદાસ, ખરો મહારાજનો છે વિશ્વાસ ।

તેના સુતનો આવિયો કાળ, આવ્યા તેડવા પોતે દયાળ ।।૪૨।।

ત્રુટી નાડી ને ન રહ્યા પ્રાણ, બોલી ન શકે નહિ ઓળખાણ્ય ।

એવું દિઠું શોભારામે જયારે, કરી સ્તુતિ મહારાજની ત્યારે ।।૪૩।।

સુણી નાથ થયા છે પ્રસન્ન, આનું તજાવવું નહિ તન ।

એમ કહિને પ્રકટ થયા, કરી હરિજન પર દયા ।।૪૪।।

દીધું સર્વેને દર્શન દાન, સહુ કહે ધન્ય ભગવાન ।

ભલે પધાર્યા દિન દયાળ, આજ અમારી લીધી સંભાળ ।।૪૫।।

કહે નાથ તારા સુતકાજ, આવ્યાતા તેડવા અમે આજ ।

પણ મુકી જાઇએ છીએ અમે, સવેર્ શોક તજી દેજયો તમે ।।૪૬।।

એમ કહીને અદૃશ્ય થયા, જન જોઇ આશ્ચર્ય પામીયા ।

પછી સુત તેનો તેહ વારે, થયો બેઠો પથારીથી ત્યારે ।।૪૭।।

કહે આવ્યાતા તેડવા નાથ, હું જાતોતો મહારાજની સાથ ।

કહે મુકી ગયા નાથ મને, એમ કહી છે વાત સહુને ।।૪૮।।

સુણી સર્વે પામિયાં આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ ।

તમે આપ્યો પરચો આ દયાળ, નાથ જીવાડ્યો મૃતક બાળ ।।૪૯।।

વળી દર્શન દીધાં સહુને, રાખ્યો મનુષ્યની હારમાં મુને ।

એમ કહ્યું શોભારામે જયારે, લખ્યું નિષ્કુળાનંદે તે વારે ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને ચુંમાળિસમું પ્રકરણમ્ ।।૧૪૪।।