૯૪. વડતાલ પ્રબોધિનીનો સમૈયો કર્યો, શ્રીહરિ સુરત પધાર્યા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:28pm

પૂર્વછાયો-

વળી લીળા વરતાલની, કહું એકાદશીની અનૂપ ।

પોતે પ્રભુજી પધારિયા, શ્યામળિયો સુખરૂપ ।।૧।।

સુંદર સમૈયો આવિયો, ર્કાિતક શુદી એકાદશી ।

આવ્યો દિન ઉત્સવનો, કહે સંતને હરિ હુલશી ।।૨।।

અવશ્ય સમૈયો આપણે, કરવો તે વરષો વરષનો ।

સતસંગી ત્યાં સહુ મળે, લિયે લાભ દર્શ સ્પર્શનો ।।૩।।

એમ કહિને કંકોતરી, મેલી લખીને મહારાજ ।

વરતાલ વહેલા આવજયો, સતસંગી સહુ મુનિરાજ ।।૪।।

ચોપાઇ-

પછી પોતે થયા છે તૈયાર, સંગે લઇ સખા અસવાર ।

પહેર્યાં અંબર સુંદર અંગે, શોભે શ્યામળો સખાને સંગે ।।૫।।

કરે મજલે મજલે મુકામ, પૂરે જનના મનની હામ ।

કારીયાણી કમીયાણું ગામ, આવ્યા આડેવે સુંદર શ્યામ ।।૬।।

ત્યાંથી વાલો આવ્યા વરતાલ, નિર્ખિ જન થયા છે નિહાલ ।

જન જોઇ પામ્યા છે આનંદ, જયજય બોલે જનવૃંદ ।।૭।।

દિયે દર્શન પ્રસન્ન નાથ, નિર્ખિ સુખ લિયે સહુ સાથ ।

હરિ હસિ જોયું સહુ સામું, પુરી જનના મનની હામું ।।૮।।

જન જોડી ઉભા સહુ હાથ, આપો આગન્યા અમને નાથ ।

કરાવિયે રસોઇ તમ કાજ, જમો મહેર કરીને મહારાજ ।।૯।।

હરિએ ભાવ ભગતનો જોઇ, કહ્યું કરો ઉત્તમ રસોઇ ।

પછી જને ભોજન બનાવ્યાં, જમ્યા જીવન તે મન ભાવ્યાં ।।૧૦।।

પછી વસન ભૂષણ પહેરાવી, કરી આરતી તે મન ભાવી ।

પછી જન લાગ્યાં સહુ પાય, રહેજયો નાથજી અંતરમાંય ।।૧૧।।

અમે છીએ નાથજી તમારાં, સગાં સંબંધી સહુ અમારાં ।

તેને કહે છે હસિ જીવન, સારૂં કરજયો સહુ ભજન ।।૧૨।।

એમ જમે જનને ઉતારે, જન જમાડી કારજય સારે ।

કોઇ ચરચે ચંદન ઉતારી, કોઇ છાંટે ગુલાબનાં વારિ ।।૧૩।।

કોઇ ચોળે અત્તર આવી અંગે, કોઇ પહેરાવે હાર ઉમંગે ।

કોઇ તોરા ગજરા ફુલના, પહેરાવે હાર મોંઘા મુલના ।।૧૪।।

એમ લાવો લિયે સહુ જન, પ્રભુ છે સહુ પર પ્રસન્ન ।

પછી એમ બોલ્યા અવિનાશી, સુણો સતસંગી મુનિ સંન્યાસી ।।૧૫।।

જુવો રાધાકૃષ્ણની મૂરતિ, અમારી પણ શોભે છે અતિ ।

તેમ નારાયણ લક્ષ્મીપતિ, સારાં શોભે છે ધર્મ ભગતિ ।।૧૬।।

થયો જેદિથી એહનો સ્થાપ, થયાં તેદિથી સહુ નિષ્પાપ ।

એમ વાત કરે છે મહારાજ, સુણે સત્સંગી મુનિરાજ ।।૧૭।।

સાંભળી જન હરખ્યાં અપાર, જયજય બોલે નરનાર ।

તેદિ વ્રત હતું એકાદશી, પુરી દીપમાળા તેહ નિશિ ।।૧૮।।

તિયાં બપોરીયા અંજવાળે, નાથ સભા ઉભા થઇ ભાળે ।

આજ મળ્યાં મનુષ્ય અપાર, બહુ પુરૂષ ને બહુ નાર ।।૧૯।।

સારા સમૈયા સુંદર થયા, એમ કહિને હરિ હસિયા ।

પછી દ્વાદશી પારણાં કરી, આવી બેઠા છે ચોતરે હરિ ।।૨૦।।

તિયાં વાજીંત્ર વાજે અપાર, કરે દર્શન સહુ નરનાર ।

લાવે પૂજા પૂજવા આધાર, ફળ ફુલ ને અમૂલ્ય હાર ।।૨૧।।

તેણે શોભે છે શ્યામ મૂરતિ, થાય ઉત્તર પ્રશ્ન અતિ ।

એમ લીળા કરે ભગવાન, દિયે દનભર દર્શનદાન ।।૨૨।।

સવેર્સુખ લિયે જન જોઇ, એમ કરતાં વિત્યા દન દોઇ ।

પછી આવ્યો પુન્યમનો દન, આવ્યા દરશને બહુ જન ।।૨૩।।

તેને દર્શન દિધાં દયાળે, અતિ સામર્થ્ય સહિત કૃપાળે ।

તેતો દર્શન કરીને ગયા, સતસંગી ત્યાં સર્વે રહ્યા ।।૨૪।।

પછી સાંજે પૂરી દીપમાળ, બેઠા આસન ઉચ્ચે દયાળ ।

સવેર્જન જોઇ રહ્યા સામું, નિર્ખિ નાથ પૂરે હૈયે હામું ।।૨૫।।

પછી નાથ બોલ્યા એમ વાણ, સવેર્સાંભળો સંત સુજાણ ।

પૂરો થયો ઉત્સવનો દન, જાજયો જયાં જયાં કહ્યું ત્યાં જન ।।૨૬।।

કાંઇક સંત રહેજયો અમ સાથ, જાવું સુરત બોલ્યા એમ નાથ ।

એમ કહીને ઉભા થયા વળી, આવો મળિયે મંડળી મંડળી ।।૨૭।।

અલબેલોજી અઢળ ઢળ્યા, સર્વે સંતને હેતે શું મળ્યા ।

સંત ચાલ્યા સહુ શિખ માગી, પ્રીતે પાય પ્રભુજીને લાગી ।।૨૮।।

પછી પોતે કરી છે તૈયારી, ચાલ્યા સુરતપર સુખકારી ।

અલબેલોજી અંતરજામી, આવ્યા બોચાસણે બહુનામી ।।૨૯।।

તિયાં સુંદર કરી રસોઇ, જમ્યા નાથ સખા સંત સોઇ ।

રહી રાત્ય ચાલ્યા તતકાળ, આવ્યા દેવાણે દીનદયાળ ।।૩૦।।

પુરપતિ સુમતિ છે સારો, કર્યો તેને તે ઘેર ઉતારો ।

સહુ રાજી થયા નિજજન, કરી મહારાજનાં દરશન ।।૩૧।।

સુંદર કરાવી સારી રસોઇ, જમ્યા નાથ ભાવ તેનો જોઇ ।

કરવા અનેક જીવનાં કાજ, પછી મહી ઉતર્યા મહારાજ ।।૩૨।।

તેને તડે આવ્યું તળાવ, તિયાં બેસી બોલ્યા પછી માવ ।

આંહિથી આવશે કોણ ગામ, કિયાં કરશું આજ વિશરામ ।।૩૩।।

તૈયે એક બોલ્યો હરિજન, વાલા આવો અમારે ભવન ।

પછી મુનિ એકે જોડ્યા હાથ, હવે સિધા પધારિયે નાથ ।।૩૪।।

બહુ દિનની અર્જી છે મારી, પ્રભુ પૂરી કરો ત્યાં પધારી ।

ત્યાંથી નાથ થયા અસવાર, ઉતર્યા ગામ કારેલી બહાર ।।૩૫।।

તિયાં કરાવ્યો સુંદર થાળ, જમ્યા દયા કરીને દયાળ ।

આપી સખાને સુખડી સારી, રહ્યા રાત્ય તિયાં સુખકારી ।।૩૬।।

ત્યાંથી ચાલ્યા છે દીનદયાળ, મહેર કરી સંભાર્યા મરાળ ।

જાઓ લાવો મુનિને બોલાવી, કરે દર્શન સંત સહુ આવી ।।૩૭।।

પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, ચાલે વેગે કરે નહિ વેલ ।

આવ્યું અરણ્યે એક સરોવર, તિયાં ઉતર્યા શ્યામ સુંદર ।।૩૮।।

નાહ્યા નીર જોઇ નિરમળ, પૂજા કરી પિધાં મિષ્ટ જળ ।

પછી ત્યાંથી થયા અસવાર, આવ્યા આમોદ્યે પ્રાણઆધાર ।।૩૯।।

તિયાં ભટ્ટ વસે દીનાનાથ, સદા રહેછે જે શ્યામને સાથ ।

વળી વણિક હરજીવન, નિર્ખિ નાથને થયો મગન ।।૪૦।।

પછી ઉભો જોડી આગે હાથ, કરો ભોજન રહો આંહિ નાથ ।

ત્યારે શ્યામ કહે સાંભળો જન, કરાવજયો મુનિને ભોજન ।।૪૧।।

એમ કહિને ચાલિયા સ્વામી, આવ્યા ગામ બુવે બહુનામી ।

તિયાં ભક્ત વસે કાનદાસ, આવ્યા તેને ઘેર અવિનાશ ।।૪૨।।

કરી ભોજન રજની રહ્યા, તિયાં ઉત્તર ને પ્રશ્ન થયા ।

આવ્યા ત્યાં મોટા મહિપતિ, નિર્ખિ નાથને કરી વિનતિ ।।૪૩।।

પ્રભુ અમે તમારા જો છીએ, ઘણું ઘણું મુખથી શું કહીએ ।

તિયાં કવિએ કર્યું સ્તવન, દ્વિજ નામ તે ગોવરધન ।।૪૪।।

સુણી નાથે કર્યો સતકાર, તેં કહ્યા એવા છે જગદાધાર ।

એમ કહી ઉઠ્યા અવિનાશી, સદા શ્યામ સુંદર સુખરાશી ।।૪૫।।

રહ્યા રાત્ય સુખે એહ ઠામ, પછી આવ્યા છે કેલોદ ગામ ।

તિયાં પુર્યો જન મન ભાવ, ત્યાંથી આવી ઉતર્યા તળાવ ।।૪૬।।

સુંદર સારૂં ત્યાં શરકરા વારી, કરી પાન ચાલ્યા સુખકારી ।

આવ્યા શહેર ભરૂચમાં શ્યામ, પૂરી જનના મનની હામ ।।૪૭।।

પછી ત્યાર કરાવિયાં ઝાઝ, સંઘે સહિત ઉતર્યા મહારાજ ।

નદી નર્મદા નામે તે સઇ, ર્સ્પિશ ચરણ પાવન થઇ ।।૪૮।।

ઘડી બેઠા વાલો તેને તટ, તિયાં રાજી કર્યા છે ખેવટ ।

ત્યાંથી ચાલ્યા ચતુર સુજાણ, કર્યાં અંકલેશ્વરે મેલાણ ।।૪૯।।

આવી પાય લાગ્યો પુરપતિ, આજ આવ્યા નાથ અમવતિ ।

હતી ઘણા દિવસની હામ, આજ નિર્ખિ સર્યાં મારાં કામ ।।૫૦।।

દઇ દરશન તેને દયાળ, પછી જમ્યા નાથ ને મરાલ ।

પછી વેલ્ય પર પોઢ્યા શ્યામ, રહ્યા રાત્ય વાલો એહ ગામ ।।૫૧।।

થયું સવાર ચાલિયા સંત, સંઘભેળા શોભે ભગવંત ।

કહે સખાને શ્રી ભગવાન, હાલો હવે જાઇએ હિન્દુસ્થાન ।।૫૨।।

સુંદર જનમભૂમિ અમારી, એમ કહે સખાને સુખકારી ।

એવી વાત કહેતાં વાટમાંઇ, આવી નદી ઉતરીયા ત્યાંઇ ।।૫૩।।

કરી સ્નાન પૂજા એહ ઠામ, સુંદર સાથું જમી ચાલ્યા શ્યામ ।

શોભે સખા સંગે વાલો આપ, નિર્ખિ નરનારી થાય નિષ્પાપ ।।૫૪।।

ત્યાંથી આવી છે એક તલાઇ, શોભે વૃક્ષ ત્યાં સુંદર છાઇ ।

તિયાં ભદ્ર થયા ભગવાન, દીધાં દાસને દરશન દાન ।।૫૫।।

ત્યાંથી ચાલિયા દીનદયાળ, આવ્યા નાથજી ગામ કોશાલ ।

આવી ઉતર્યા વાટિકા જોઇ, તિયાં કરી છે આપે રસોઇ ।।૫૬।।

કર્યાં સુંદર સુરણ શાક, ઘણે ઘીએ પકાવિયા પાક ।

આપે જમી જમાડિયા જન, રહ્યા રજની ત્યાં ભગવન ।।૫૭।।

તિયાં આવ્યા સુરતના વાસી, નરનારી જે પ્રકટ ઉપાસી ।

રથ વેલ્ય લાવ્યા ઘણી ગાડી, જેમ મેઘ ગરજે અષાડી ।।૫૮।।

પૂર્વછાયો-

કહું લીળા હું કેટલી, એક જીભે જશ અપાર ।

અનંત લીળા લાલની, કોય નર ન પામે પાર ।।૫૯।।

પછી ત્યાંથી પધારિયા, ઉતર્યા તાપી તીર ।

સંઘે સહીત શ્યામળો, નાહ્યા નિરમળ નીર ।।૬૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે વરતાલ્યે પ્રબોધનીનો ઉત્સવ કર્યો એ નામે ચોરાણુંમું પ્રકરણમ્ ।।૯૪।।