૧૩. રામાનંદસ્વામી દ્વારા એકાંતિક ધર્મનો ઉપદેશ,છપૈયામાં ફરી અસુરોનો ત્રાસ અને ગરીબાઇના દુઃખમાં

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:35pm

પૂર્વછાયો-

સ્વામી કહે છે ધર્મને, તમે સાંભળો વાત સિદ્ધાંત ।

શુદ્ધમતિ અતિ ઓળખી, હવે કહું ધર્મ એકાંત ।।૧।।

ત્યાગી ગૃહી નરનારીની, કહું રીત તે રૂડી પેર ।

તમે રહેજયો રખાવજયો, જયારે જાઓ તમારે ઘેર ।।૨।।

ઉત્તમ રીતને અનુસરી, તમે વર્તજયો નરનાર ।

અશુદ્ધ રીત હોય જગમાં, તોય કરશો માં કોઇ વાર ।।૩।।

શુદ્ધ રીત હવે સાંભળો, સંક્ષેપે કહું સુજાણ ।

જેણે કરી ત્યાગી ગૃહી, પામે પદ નિર્વાણ ।।૪।।

ચોપાઇ-

કહું શ્રાદ્ધ યજ્ઞે પશુઘાત રે, કરવી નહિ સાંભળો વાત રે ।

એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહિ કોઇ વાર રે ।।૫।।

શુદ્ધ ઔષધિમાં મદ્ય મળે રે, તે ન ખાવું પીવું કોઇ પળે રે ।

યજ્ઞશેષ માંસ લેશ જેહ રે, ભુલ્યે ભક્ષ ન કરવું તેહ રે ।।૬।।

સુણો ધર્મદેવ વાત મારી રે, પુણ્ય સારૂંએ ન કરવી ચોરી રે ।

પરત્રિયાનો સંગ ન કીજે રે, કેદિ ત્રિયાનું દાન ન દીજે રે ।।૭।।

ત્રિયામાત્ર જાર નર જોઇ રે, આપત્કાળે ન રહે સંગ સોઇ રે ।

વળી ત્યાગી નર હોય જેહ રે, તેને સ્પર્શે નહિ નારી દેહ રે ।।૮।।

તેમ ત્યાગી નર નિરધાર રે, તજે નારીને અષ્ટ પ્રકાર રે ।

એ છે જાણો અનાદિની રીત રે, વળી કહું સુણો દઇ ચિત્ત રે ।।૯।।

કેદિ આત્મઘાત નવ કીજે રે, વિમુખની કથા ન સુણિજે રે ।

હરિપ્રસાદી માહાત્મ્યે અન્ન રે, ન ખપે તેનું ન ખાવું જન રે ।।૧૦।।

મિથ્યા અપવાદ કોઇ શીર રે, દેવો નહિ કહું ધર્મ ધીર રે ।

કોઇ વિષયી વ્યસની જન રે, તેનો ન કરો સંગ કોઇ દન રે ।।૧૧।।

વળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે ।

તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કાવે ત્યાગી ને લોભ ન ટાળે રે ।।૧૨।।

ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણ રે, ન વર્તે વર્તાવે અજાણ રે ।

જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ષટ્ ખળને ધિક્કાર રે ।।૧૩।।

એહ ષટ્ ખળ નર જેહ રે, તજવા મુમુક્ષુ જને તેહ રે ।

દેવ તીર્થ વેદને ગાય રે, બ્રાહ્મણ સાધુ ધર્મી કહેવાય રે ।।૧૪।।

તેની નિંદા ન કરવી મુખે રે, ધર્મ મેલવો નહિ દર્દ દુઃખે રે ।

વળી જેહ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ રે, કહ્યા નિરાકાર અજ્ઞ જન રે ।।૧૫।।

તે ન સાંભળવું સુણો ધર્મ રે, એહ સમજી લેવો મને મર્મ રે ।

આયુધ વિષ ન દેવી જાળ રે, જેથી જન દુઃખ પામે તે કાળ રે ।।૧૬।।

વળી આ મતે મોટા બ્રહ્મન રે, તે ન રાખે શસ્ત્ર કોઇ દન રે ।

ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું રે, મધ્યે કુંકુમનું બિંદુ ધરવું રે ।।૧૭।।

રાધાકૃષ્ણ પ્રસાદી જે હોય રે, કરે સધવા બિંદુ ભાલે સોય રે ।

ન કરે વિધવા બિંદુ પુનિત રે, એવી આપણા મતની રીત રે ।।૧૮।।

જેની જે રીત તે ચિત્ત ધરવી રે, ભાવે શ્રીકૃષ્ણની ભક્તિ કરવી રે ।

કરવો રાસ પંચાધ્યાય પાઠ રે, કૃષ્ણ કૃષ્ણ કહેવું જામ આઠ રે ।।૧૯।।

ગળે માળા ધરાવજો દોય રે, તુલસી ને ચંદનની સોય રે ।

એવી વાત ગુરુજીએ કરી રે, ભક્તિ ધર્મે તે હૃદયે ધરી રે ।।૨૦।।

પછી અનન્ય ભક્તિની રીત રે, કહી ઉદ્ધવે કરીને પ્રીત રે ।

કહે બ્રાહ્મણ તમે છો શ્રેષ્ઠ રે, જેને કૃષ્ણ છે ઇષ્ટ અભીષ્ટ રે ।।૨૧।।

મારા શિષ્યમાં મોટા છો તમેરે, રૂડા ગુણવાળા જાણ્યા અમે રે ।

હવે ઘેર જાઓ નરનારી રે, રાધાકૃષ્ણને હૃદયે સંભારી રે ।।૨૨।।

આવે મુમુક્ષુ જીવ કોઇ પાસ રે, આપી ઉપદેશ ટાળજયો ત્રાસ રે ।

એને મહામંત્રનો જે જાપ રે, તમે કહેજયો નિરંતર આપ રે ।।૨૩।।

વળી શ્રીકૃષ્ણના જે બે મંત્ર રે, જોઇ મુમુક્ષુ કહેજયો નિરંતર રે ।

બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જેહ રે, સતશુદ્ર ને સ્ત્રિયો તેહ રે ।।૨૪।।

કહેજયો મંત્ર પ્રથમનો તેને રે, ભવસાગર તરવા એને રે ।

કરતાં એહ મંત્ર નિત્ય જાપ રે, થાય અધિકારી નર આપ રે ।।૨૫।।

ત્યારે બીજો મંત્ર તેને કહેજયો રે, એવી રીતે ઉપદેશ દેજયો રે ।

પડે તમારે જો કાંઇ દુઃખ રે, તો થાશે મહામંત્રથી સુખ રે ।।૨૬।।

કરશો જાપ તો શ્રીકૃષ્ણદેવ રે, દેશે ઇષ્ટ સિદ્ધિ તતખેવ રે ।

રામાનુજના ગ્રંથ છે જેહ રે, તમે સર્વે ભણજયો તેહ રે ।।૨૭।।

ગીતાભાષ્ય આદિ ગ્રંથ તેમાં રે, શ્રીકૃષ્ણનું માહાત્મ્ય છે જેમાં રે ।

કરજયો કથા તેની અહોનિશ રે, એવો આપ્યો ગુરુએ ઉપદેશ રે ।।૨૮।।

પછી ભક્તિ ધર્મ આવ્યાં ઘેર રે, કરે કૃષ્ણ ભક્તિ રૂડી પેર રે ।

સ્થુળ સૂક્ષ્મ ને કારણ દેહ રે, તેથી પર આત્મા છે જેહ રે ।।૨૯।।

વળી વ્યાપે એ ત્રણ ઠેકાણે રે, તેને શ્રીકૃષ્ણનો દાસ જાણે રે ।

સર્વોપરી છે શ્રીકૃષ્ણ એક રે, જીવ ઇશ્વર માયા પ્રેરક રે ।।૩૦।।

એમ નિશ્ચય કર્યો ધર્મે જયારેરે, જગત મિથ્યા મનાણું છે ત્યારે રે ।

ગુરુ આજ્ઞાએ કરી ગ્રંથ જેહ રે, રામાનુજના વાંચે નિત્ય તેહ રે ।।૩૧।।

એવા શુદ્ધ હૃદયવાળા જાણી રે, દૈવી જીવ બોલે એમ વાણી રે ।

આતો ધર્મ દેવ છે સાક્ષાત રે, તેહ વિના નોય આવી વાત રે ।।૩૨।।

પછી અસુર ગુરુને ત્યાગી રે, થયા ધર્મપદ અનુરાગી રે ।

જેને દૈત્યગુરુમાં છે હેત રે, થયા દૈત્ય તે કુળે સમેત રે ।।૩૩।।

માન્યાં ધર્મનાં જેણે વચન રે, શોભ્યા દેવસમાન તે જન રે ।

પછી અન્ન વસ્ત્ર અલંકાર રે, પૂજયા ધર્મને શિષ્યે તે વાર રે ।।૩૪।।

તેણે કરી થઇ છે સંપત્તિ રે, ગયાં દુઃખ દારિદ્ર્ય વિપત્તિ રે ।

એમ કરતાં વિત્યા દિન સોઇ રે, આપી સુતને સમે જનોઇ રે ।।૩૫।।

કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ રે, તે દેખીને દૈત્યે કરી ખિજ રે ।

પછી અસુર નર ભેળા થઇ રે, ગયા ઘરની સંપત્તિ લઇ રે ।।૩૬।।

અન્ન ધન મહિષી ને ગાય રે, તેમાં રહેવા દીધું નહિ કાંય રે ।

એહ આદિ જે આપિયાં દુઃખ રે, તેતો કહ્યાં જાય નહિ મુખ રે ।।૩૭।।

થયાં નિર્ધન નહિ ખાવા અન્ન રે, ન મળે નવું પેરવા વસન રે ।

પડે એકાંતરે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે હાસ રે ।।૩૮।।

કહે જુવો આ ધર્મને ભક્તિ રે, સુખ માણે છે કેવું દંપતિ રે ।

એતો સત્યવાદી છે નિદાન રે, ચાલો થાયે એના મેમાન રે ।।૩૯।।

આવે એમ દેખાડવા ભૂંડું રે, જેને અંતરે વૈર છે ઉંડું રે ।

તેને ઉછિ ઉધારૂં કરીને રે, ભોજન કરાવે ભાવ ભરીને રે ।।૪૦।।

ન મળે અન્ન પોતાને ખાવા રે, પણ ન દિયે પત્યને જાવા રે ।

એમ બહુ દિન દુઃખ સહ્યું રે, ત્યારે એક દિન ભક્તિએ કહ્યું રે ।।૪૧।।

કહે પ્રેમવતી સુણો સ્વામી રે, પામ્યાં દુઃખ રહી નહિ ખામી રે ।

તમે જાણો છો સર્વે ઉપાય રે, મટાડો તો વાર નથી કાંય રે ।।૪૨।।

અન્ન વસ્ત્રનું દુઃખ આપણે રે, નથી મટતા મેમાન આંગણે રે ।

આપણે તો ફળ ફુલ જમું રે, ભાજી ખાઇને દિન નિગમું રે ।।૪૩।।

પણ મેમાન તે કેમ જમે રે, કહું છું એમ પણ જેમ ગમે રે ।

એવું સુણી બોલ્યા ધર્મવાણી રે, કહું સાંભળો તમે કલ્યાણી રે ।।૪૪।।

સુખ દુઃખ જે લખ્યું શરીર રે, ટાળ્યું ન ટળે રાખવી ધીર રે ।

જોને કરાવ્યા મહારૂદ્ર જેહ રે, થાવા સુખ કરાવિયા તેહ રે ।।૪૫।।

તેણે દુઃખ મટ્યું નહિ અણું રે, સામું કષ્ટ થયું કોટિઘણું રે ।

માટે સુખ દુઃખ લખ્યું જે ભાલ રે, મટે ઘટે નહિ એક વાલ રે ।।૪૬।।

દેવ ઋષિ રાજાથી ન મટે રે, જેને જેવું લખાણું છે ઘટે રે ।

જોને ઇંદ્ર અંગે થયો ભંગ રે, પામી શચી દુઃખ એ પ્રસંગ રે ।।૪૭।।

વસિષ્ઠ ને અરુંધતી જેહ રે, શત્રુ થકી દુઃખ પામ્યાં તેહ રે ।

રાજા નળ વળી દમયંતી રે, તેહપણ પામ્યાં દુઃખ અતિ રે ।।૪૮।।

એવે મોટે મોટે દુઃખ સહ્યું રે, પણ કોઇ આગળ્ય ન કહ્યું રે ।

એવું સાંભળીને પ્રેમવતી રે, માંડ્યું રૂદન કરવા અતિ રે ।।૪૯।।

હુંતો તમને શા વડે સેવું રે, નથી ઘરમાં પદારથ એવું રે ।

મારી હોંશ રહી મન માંઇ રે, તમને સેવી શકી નહિ કાંઇ રે ।।૫૦।।

ન મળે ઘરમાં જમવા અન્ન રે, શિયો કરૂં મનોરથ મન રે ।

ત્યારે બોલિયા ધર્મ દયાળ રે, ભક્તિ દુઃખ ન રહે સદા કાળ રે ।।૫૧।।

માટે ધીરજયે ધર્મમાં રહેવું રે, મુખે કાયર વેણ ન કહેવું રે ।

ભક્તિ મુકવી નહિ શિર સાટેરે, કહું સત્યવાદી છો તે માટે રે ।।૫૨।।

સુખ દુઃખમાં રહેવું અડગ રે, પરઠ્યો પાછો ન મેલવો પગ રે ।

એમ ટેક રાખો મનમાંય રે, કરવી ચિંતા ઘટે નહિ કાંય રે ।।૫૩।।

જેવું ગમશે ગોલોક ધણીને રે, તેવું આવશે સહજે બણીને રે ।

કરીશ એનો હવે હું ઉપાય રે, રહેજયો રાજી તમે મનમાંય રે ।।૫૪।।

કરીશું તેમ થાશે જેમ સુખ રે, હવે નહિ રહે ઘણા દિન દુઃખ રે ।

એમ આપ્યો ધર્મે ઉપદેશ રે, કહું સમજવો એ રહસ્ય રે ।।૫૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને મળીને ભક્તિધર્મ ઘેર આવ્યાં એ નામે તેરમું પ્રકરણમ્ ।।૧૩।।