વરતાલ ૫ : ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:37am

વરતાલ ૫ : ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિષે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સુક્ષ્મ એવાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યાં હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્‍છ ધારણ કર્યા હતા, અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાંકડા વાંકડા પ્રશ્ર્ન કરો જેણે કરીને સૌનું આળસ ઉડી જાય.” એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે–

“દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્‍યયા | મામેવ યે પ્રપદ્યન્‍તે માયામેતાં તરન્‍ત્‍િા તે ||”

એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, ‘જે પુરૂષ મને પામે તે દુ:ખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે.’ ત્‍યારે જેને ભગવાનની પ્રાપ્‍તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતાં થકાં કાંઈક અંતરમાં સંકલ્‍પ વિકલ્‍પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજીમહારાજ પોઢયા હતા, તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે,” માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમોગુણનાં તો પંચભૂત ને પંચમાત્રા છે; અને રજોગુણનાં દશ ઈન્‍દ્રિયો, બુદ્ધિ ને પ્રાણ છે; અને સત્‍વગુણનાં મન ને ઈન્‍દ્રિયો અંત:કરણના દેવતા છે; તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણ ગુણનાં કાર્યરૂપ જે ભૂત, ઈન્‍દ્રિયો, અંત:કરણ ને દેવતા તે સર્વે હતાં. માટે એનો એમ ઉત્તર છે જે, પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્‍યા જે, એ ભગવાનના સ્‍વરૂપને વિષે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે; એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્વય થયો તે ભગવાનની માયાને તરી ચુકયો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઈન્‍દ્રિયો અંત:કરણ ને દેવતા તે પોત પોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય કેમ જે, એ માયાનું કાર્ય પોતાને વિષે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્‍ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રીવાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે; માટે એને પણ માયાથી પર જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વસિષ્‍ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે, તે શાસ્ત્રમાં પણ લખ્‍યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્ર્નનું સમાધાન થાય નહિ, માટે એજ ઉત્તર છે.”

પછી નિત્‍યાનંદસ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,’ભગવાને ગીતામાં કહ્યું છે જે-

“સર્વધર્માન્ પરિત્‍યજ્ય મામેકં શરણં વ્રજ | અહં ત્‍વા સર્વપાપેભ્‍યો મોક્ષયિષ્યામિ મા શુચ: ||”

એ શ્લોકમાં એમ કહ્યું છે જે, “બીજા સર્વ ધર્મનો પરિત્‍યાગ કરીને મારે એકને જ શરણ આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક માં કર્ય.” ૨અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય, તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તો પણ તે દુ:ખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્‍છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્‍ય ભક્ત કહેવાય.”

પછી નાજે ભકતે પુછયું જે, ‘જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્‍યામાં તો નક્કી હરિભક્ત હોય તેના જેવું જ નિશ્વયનું બળ દેખાડતો હોય, તે શી રીતે કરીને કળ્‍યામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્વય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્‍યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્વય હોય તે કચવાઈને સત્‍સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે પણ હરિભક્તની ભિંસણમાં રહેવાય નહિ. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મઘ્‍યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો છે, અને તેણે કરીને ભક્ત પણ ત્રણ પ્રકારના છે.”

પછી વળી નિત્‍યાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્‍મને વિષે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. અને જેમ ભગવાનને અર્થે પાંચરૂપિયાનું ખરચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્‍ઠ ભક્ત હોય ને તે બે જન્‍મે તથા ચાર જન્‍મે તથા દશ જન્‍મે કે સો જન્‍મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્‍મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૫|| ૨૦૫ ||