ગઢડા પ્રથમ – ૭૫ : એકોતેર પરિયાં તર્યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:05pm

ગઢડા પ્રથમ – ૭૫ : એકોતેર પરિયાં તર્યાનું

સંવત્ ૧૮૭૬ ના  વૈશાખ વદિ એકાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી સુરાખાચરે પ્રશ્ર્ન પુછયો જે, “જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેનાં ઇકોતેર પરિયાનો ઉદ્ધાર થાય છે” એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય, ત્‍યારે તેનો કેવી રીતે ઉદ્ધાર થાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેમ કર્દમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કર્દમ ઋષિને વિષે સ્‍નેહ હતો તો એનો ઉદ્ધાર થયો, અને માંધાતા રાજાની દીકરીઓ પચાસ તે સૌભરી ઋષિનું રૂપ જોઇને વરીયો, તેને કામનાએ કરીને સૌભરીને વિષે હેત હતું, તો તે સર્વેનું કલ્‍યાણ ઋષિના જેવું થયું, માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને જે ‘આપણું મોટું ભાગ્‍ય છે, જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે.’ એવી રીતે ભક્તનું માહાત્‍મ્‍ય સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્‍યાણ થાય, અને મરીને પિત્રિ જે સ્‍વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે,’આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્‍ય છે.’ એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે, તો તે પિત્રિનું પણ કલ્‍યાણ થાય, અને જે ભગવાનના ભક્ત સંધાથે વૈરબુદ્ધિ રાખે તેનું તો કલ્‍યાણ ન થાય, અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્‍ટ થતી જાય, અને દેહ મુકે ત્‍યારે પંચ મહાપાપના કરનારા, જે નરકના કુંડમાં પડે, તે પણ તે જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય, તો સંબંધી હોય અથવા બીજો કોઇ હોય તે સર્વનું કલ્‍યાણ થાય છે.

પછી નાજે ભકતે પ્રશ્ર્ન પુછયો જે “ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્વયવાળો હોય અને એક થોડા નિશ્વયવાળો હોય અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્‍યામાં આવે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને આત્‍માના સ્‍વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દૃઢ વૈરાગ્‍ય હોય અને ભકિત ને સ્‍વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્વય પરિપૂર્ણ જાણવો અને એમાંથી જો એકે વાનું ઓછું હોય તો નિશ્વય છે, તો પણ માહાત્‍મ્‍ય વિનાનો છે અને એ ચારવાનાં સંપૂર્ણ હોય તે માહાત્‍મ્‍ય સહિત ભગવાનનો નિશ્વય જાણવો.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૫||