ગઢડા પ્રથમ – ૩૭ : દેશવાસનાનું-અગિયાર પદવીનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:02am

ગઢડા પ્રથમ – ૩૭ : દેશવાસનાનું-અગિયાર પદવીનું

સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને આથમણે મુખારવિંદે વિરાજમાન થયા હતા, અને માથે ધોળી પાઘ વિરાજમાન હતી, અને તે પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, અને કંઠને વિષે પીળાં અને ધોળાં પુષ્પનો હાર વિરાજમાન હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય, તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્‍મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્‍યો હતો તે સર્વેને દેખાડયો ને બોલ્‍યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્‍યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે. માટે જન્‍મભૂમિ તથા પોતાનાં સગાંસંબંધી તેને અંતરમાંથી વિસારી દેવાં તે ધણું કઠણ છે. માટે જેને જેને જન્‍મભૂમિ તથા દેહના સંબંધી ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્‍યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જ્યારે પોતાને આત્‍મારૂપે માનીએ ત્‍યારે તે આત્‍માની જન્‍મભૂમિ કઇ ? ને તે આત્‍માનું સગું કોણ ? ને તે આત્‍માની જાત પણ કઇ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતિના દેહ ધર્યા છે, તે સર્વેનું સગપણ સરખું જાણવું. અને તે સગાનું કલ્‍યાણ ઇચ્‍છવું, તો સર્વેનું  ઇચ્‍છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્‍યા ત્‍યારે ચોરાશી લાખ જાતિનાં જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે, તેમ આ મનુષ્ય શરીરનાં માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવાં. અને અમારે તો કોઇ સગાંસંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભકિત ન હોય, તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભકિત ન હોય, તો તે અમને ન ગમે, અને જેના હૃદયમાં ભગવાનની ભકિત હોય ને એમ સમજતો હોય જે ૨જેવા પ્રગટ ભગવાન પૃથ્‍વી ઉપર વિરાજે છે. અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ્યારે આત્‍યંતિક પ્રલય થાય છે, ત્‍યારે પણ રહે છે. અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકારજ છે એમ સમજતો હોય, અને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે, પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ, અને એમ જાણે જે એ ભગવાન વિના બીજો કોઇ જગતનો કર્તા છે જ નહિ અને એમ જાણે જે એ ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઇનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્‍ઠા ન હોય ને તે જો ત્‍યાગ વૈરાગ્‍યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એેવી નિષ્‍ઠા અચળ હોય ને તે ગમે તેટલાં શાસ્ત્ર સાંભળે, અથવા ગમે તેનો સંગ કરે, તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્‍ઠા છે તે ટળે નહિ, અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઇ દિવસ સમજેજ નહિ. એવી નિષ્‍ઠાવાળો જે સંત છે તેના પગની રજનેતો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુ:ખવતા થકા મનમાં બીએ છીએ, અને તેનાં દર્શનને પણ ઇચ્‍છીએ છીએ, અને એવી નિષ્‍ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્‍યાણ ઇચ્‍છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્‍યાણ ઇચ્‍છતા નથી, એવા જે જડમતિવાળા પુરૂષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઇચ્‍છે તેવા મૂર્ખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્‍યાણ ઇચ્‍છે છે. તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઇચ્‍છે એવા ડાહ્યા છે, અને એવા જે ભગવાનના સ્‍વરૂપના જ્ઞાનવાળા છે, તે સર્વે દેહને મુકીને ભગવાનના ધામમાં ચૈતન્‍યનીજ મૂર્તિ થઇને ભગવાનની હજુરમાં રહે છે. અને એવી નિષ્‍ઠા જેને ન હોય ને તેણે બીજાં સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે, અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્‍ય છે, અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યુંજે “કીર્તન બોલો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૩૭||