ગઢડા પ્રથમ – ૧૭. સત્‍સંગમાં કુસંગનું, મોળી વાત ન કર્યાનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 12:52pm

ગઢડા પ્રથમ – ૧૭. સત્‍સંગમાં કુસંગનું, મોળી વાત ન કર્યાનું

સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૫ પાંચમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં ૧કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાધ બાંધી હતી અને પીળાં પુષ્પની માળા પહેરી હતી. અને પીળાં પુષ્પનો તોરો પાધને વિષે ખોશ્‍યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.

તે સમયને વિષે મુકતાનંદસ્‍વામી તથા ગોપાળાનંદસ્‍વામી આદિક સાધુને તેડાવ્‍યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્‍યે બોલ્‍યા જે “આપણા સત્‍સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્‍યયોગી તથા કર્મયોગી સર્વે સત્‍સંગીમાં પ્રર્વતે, તે સત્‍સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્‍સંગમાં કુસંગ છે. તે કેવીરીતે વાત કરે છે  તો એમ કહે છે જે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્‍યાણ કરશે.’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્‍વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઇ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત ઇત્‍યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન, તેમાંથી બીજાને મોળા પાળે છે. માટે હવે આજ દિનથી આપણા સત્‍સંગમાં કોઇ પણ એવી હિંમત રહિત વાત કરશો નહિ. સદા હિંમત સહિતજ વાત કરજ્યો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઇ જાય તો તે દિવસ ઉપવાસ કરવો.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૧૭||

તા-૦૬/૧૨/૧૮૧૯ સોમવાર