વચનવિધિ કડવું - ૩૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:29pm

હરિવિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી
થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પે’ચાણજી

પે’ચાણ પડશે પાપની, જયારે જડશે  જોડા મૂંડમાં ।।
ત્યારે આંખ્ય ઊઘડશે, પડશે માર જયારે પંડમાં ।। ર ।।

જાણી જોઈ જગદીશનાં, વિમુખ લોપે છે વચનને ।।
મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને ।। ૩ ।।

ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં ।।
રાત દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ।। ૪ ।।

શીશ ડોલાવી શોક કરશે, કે’શે કયાંથી વચનદ્રોહી થયો ।।
સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહમાની રહ્યો ।। પ ।।

કિયાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું ।।
મોટાની મરજાદ મૂકી, કર્યું મેં મન ભાવતું ।। ૬ ।।

એમ પસ્તાશે પાપિયો, લેશે ફળ વચન લોપ્યાતણું ।।
દુઃખના દરિયા ઊલટશે, સુખ નહિ રહે એક અણું ।। ૭ ।।

એમ  કે’છે  આગમમાં,  સંત  વળી  મોટા  મુનિ ।।
નિષ્કુળાનંદ કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખૂની ।। ૮ ।।