વચનવિધિ કડવું - ૦૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:50pm

વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોયે વરતે વચન પ્રમાણજી
જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મૂકી દુઃખ ન ઇચ્છે અજાણજી

અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો  આપવા ।।
વણ કારસે વારિ મળે તો, કોણ જાયે કૂપ કાપવા ।। ર ।।

ત્યારે દમે શીદ કોઈ દેહને, વણ દમે વિરમે વિપત્તિ ।।
શીદ વરતે વચનમાં, વણ વરતે પામે સુખ સંપત્તિ ।। ૩ ।।

વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને ।।
મોકળ્યમાં મજા ખરી, ચોખી જાણો ચરાચરને ।। ૪ ।।

પણ મોટી મોજ મળે નહીં, મોટાની મરજી મૂકતાં ।।
મૂળગા મૂળમાંથી મટે, વડાના વચનમાંથી ચૂકતાં ।। પ ।।

એમ સમજી સમજુ, વરતે છે વચનમાંય ।।
મોટા મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય ।। ૬ ।।

બની વાત જાય બગડી, જો લેશ લોપાય વચન ।।
લેખે ન આવે દાખડો, વળી થઈ જવાય નિરધન ।। ૭ ।।

એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર ।।
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, કહ્યું એ વેરમવેર ।। ૮ ।।