૮૭ મૂર્તિમાં અમે નિવાસ કરીને રહેશું તે વાત, ગુજરાતની સંઘની જંગલનો અગ્નિ બળતો આવ્યો તેથી રક્ષા કરી, રાજકોટથી ગવર્નરનું આમંત્રણ આવ્યું ને રાજકોટ પધાર્યા, ગવર્નરને મળ્યા, પાછા ગઢપુર આવ્યા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:15pm

અધ્યાય ૮૭

સવારે વહેલા ઊઠીને નિત્યવિધિ કરીને બેઠા. ત્યારે સંતો અને હરિભક્તો પગે લાગીને બેઠા. તેમની આગળ મહારાજ બોલ્યા, અમે મંદિરો કરાવીને જ્યાં જ્યાં મૂર્તિઓ પધરાવી છે અને અમારી ગાદી ઉપર બેઠા એવા જે આચાર્યો તે પણ મંદિરો કરાવીને તેમાં મૂર્તિઓ પધરાવશે, તેમાં અમો નિવાસ કરીને રહેશું. અને જે હરિભક્તો ઘરેણાં અને વસ્ત્ર આદિક પૂજા અર્પણ કરશે તેને અમો મૂર્તિઓમાં રહીને ગ્રહણ કરીશું અને અંત સમયે તેડવા આવીશું. જે પટ પ્રતિમાઓ પણ જ્યાં જ્યાં હોય તેને પણ શુધ્ધ ભાવે કરીને પૂજજો. પોતાના ગામમાં મંદિરમાં ગોખમાં અથવા સિંહાસન કરાવીને તેમાં આચાર્ય પાસેથી પ્રતિષ્ઠા કરાવીને પધરાવજો. અમારા વચનમાં રહીને સેવા કરજો. અમારી ગાદી ઉપર ધર્મકુળના આચાર્યની જેમ અમારી પૂજા કરો છો તેમ ભારે ભારે વસ્ત્ર, ઘરેણાં, વાહન અને રૂપિયાએ કરીને પૂજા કરજો, અને ઘેર ઘેર પધરામણી કરજો. અને જેમ અમને થાળ કરીને જમાડો છો તેમજ તેમને પણ થાળ કરીને જમાડજો, એમ અમારી આજ્ઞા છે.

પછી બ્રહ્મચારી બોલાવવા આવ્યા તેથી મહારાજ ઉતારે પધાર્યા. જળે કરીને કાશીદાસે ચરણ ધોવડાવ્યાં. અયોધ્યાવાસીના થાળ આવ્યા તેને જમતા જાય અને ગંગામા સાથે વાતો કરતા જાય જે, હવે સર્વ સત્સંગીઓ ચાલજો અને સર્વ સત્સંગીઓને એમ કહેજો જે, મહારાજને કસર હતી તે હવે રૂડી રીતે બે ટંક થાળ જમે છે, સભા કરીને ઓરડાની ઓસરીએ પ્રશ્ન ઉત્તર કરે છે. એમ સર્વ સત્સંગીઓ આગળ વાત કરજો, એમ કહીને ઢોલિયે બિરાજ્યા. અને ગુજરાતના સંઘો સર્વે ભેટ મેલીને ચરણનો સ્પર્શ કરીને ચાલતા જાય અને પગે લાગીને બેસતા જાય. ત્યારે મહારાજે કહ્યું જે, સંત મંડળો અને બ્રહ્મચારીઓ સર્વે વાડીમાં રહેજો. દાણા ઘણા છે તે ઘંટીએ દળાવવું અને વાડીમાં શાક ઘણું છે. અને છાણાં વીણી લાવજો, અહીં જે સંત રહે છે તે તો મંદિરમાં રહેશે. એટલી વાત કરી. પછી ગુજરાતના સંઘનાં હજારો મનુષ્યો દર્શન કરીને ચાલ્યાં તે સોઢીના રણમાં ગયાં. ચારે કોરથી અગ્નિ બળતો બળતો આવ્યો. બળેલું સળગતું સળગતું નજીક આવ્યું. સંઘને ક્યાંય પણ નીકળવાનો માર્ગ ન રહ્યો. અગ્નિની જ્વાળા ચારે કોરે આકાશ સુધી ચડતી ગઇ.

ત્યારે ગામ વડોદરાના નાથ ભક્ત, ગામ બોચાસણના કાશીદાસ, ગામ ઉમરેઠના નંદુભાઇ તથા નરભેરામ દવે તાળી વજાડીને બોલ્યા જે, હવે સર્વ આંખો મીંચી જાઓ. પછી બધાએ નેત્રો મીંચી મૂક્યાં. પછી નેત્ર ઉઘાડીને જોયું તો દાવાનળ બે ખેતર દૂર દેખાણો. બાવળ બળતો હતો તે પણ બે ખેતરવા દૂર દેખાણો. ત્યારે સર્વે હરિભક્તો માંહોમાંહી વાતો કરવા લાગ્યા જે, જેમ શ્રીકૃષ્ણાવતારમાં દાવાનળ થકી ગોપગોવાળની શ્રીકૃષ્ણે રક્ષા કરી હતી તે તો વાત શાસ્ત્રમાં લખેલી છે. આ તો આપણે નજરે જોયું. ત્યારે સમાધિવાળાં બાઇઓ હતાં તે બોલ્યાં જે, શ્રીજી મહારાજ માણકી ઘોડીએ ચડીને પધાર્યા હતા, તે આપણી દાવાનળ થકી રક્ષા કરી છે. એમ વાતો કરતાં કરતાં પોતપોતાના દેશમાં ચાલ્યાં ગયાં. પછી મહારાજ જાગીને જળપાન કરીને ઢોલિયે બિરાજ્યા. ગવૈયા સંતોને ગાવા બોલાવ્યા. તે સમયે ગામ રાજકોટથી ગવર્નર સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેનનો હમેલીઓ આવ્યો. તેણે ડેલીએ ઊભા રહીને પૂછાવ્યું જે, સ્વામિનારાયણ કહાં હૈ ? હાથોહાથ કાગળ દેના હૈ. પછી પાળાએ મહારાજને પૂછ્યું જે, રાજકોટથી ગવર્નર સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેનનો હમેલીઓ આવ્યો છે, તે તમ પાસે આવે ? ત્યારે મહારાજે કહ્યું, આવવા દ્યો. પછી આવીને સાહેબની સાસત સલામ કરી અને મહારાજને પત્ર આપ્યો, ત્યારે મહારાજે તે લાધા ઠાક્કરને આપ્યો અને કહ્યું જે, તમે મનમાં વાંચીને સભામાં સંભળાવો, પછી લાધા ઠક્કરે તે કાગળ મનમાં વાંચીને સભામાં વાંચ્યો જે, સ્વામિનારાયણ દયા કરીને અહીં પધારે; નહીં તો અમે ત્યાં આવીએ. અમારે તમને મળવાની બહુ જ ઇચ્છા છે. અને તાલુકદારો સર્વે અમારી પાસે  આવ્યા છે. પણ તમને મળવા સારું અમે વાટ જોઇએ છીએ. તે તમો આવશો ત્યારે સર્વે ભોમિયાની સલામ હું લઇશ. એવી રીતે ગવર્નર સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેનનો કાગળ આવ્યો હતો તે વાંચ્યો. તે સાંભળીને શ્રીજી મહારાજે કહ્યું : આપણે ત્યાં જવું. એમ કહીને સભાને રજા આપી.

પછી થાળ જમવા બિરાજ્યા, જમીને જળપાન કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદાખાચર, ભગુજીપાળા અને લાધા ઠક્કર તેમને મહારાજે તેડાવ્યા. ત્યારે તે આવીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, સંતો અને બ્રહ્મચારીઓ એ સર્વને લેવા કે થોડાક લેશું ? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, મહારાજ ! આપણા પાસે ભણનારા સંતો તથા બ્રહ્મચારીઓ, કાઠીઓ અને સર્વ પાળા છે, તે સર્વને લઇએ. ત્યારે મહારાજે કહ્યું જે સારું. પછી સદ્‌ગુરુઓ સર્વે ઉતારે ગયા. મહારાજ પોઢ્યા. પછી સદ્‌ગુરુઓએ સર્વ ભણનારા સંતોને કહ્યું જે, મહારાજ ભેળા રાજકોટ જવું છે, તે તૈયાર થજો. પછી સવારે મહારાજ વહેલા જાગીને નિત્યવિધિ કરીને થાળ જમી જળપાન કર્યું.

પછી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા અને વાડીવાળાએ ફૂલના હારો પહેરાવ્યા. અને મહારાજ ગાડીમાં બિરાજ્યા. ત્યાંથી ચાલ્યા તે ગામોગામના સત્સંગીઓને દર્શન દઇને ગામ રાજકોટ સંવત્‌ ૧૮૮૬ના ફાગણ સુદ પાંચમને દિવસે પધાર્યા. ત્યાં ગવર્નર સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેન્ડની પલટન પડઘમ ઢોલ, શરણાઇ આદિ વાજીંત્રો લઇને સામે આવી, એ વખતે ગામ-પરગામના સત્સંગીઓએ હારો લાવીને મહારાજને પહેરાવ્યા. અને સોનાના ઇંડાએ યુક્ત જે છત્ર તે શ્રીજી મહારાજ ઉપર શોભી રહ્યું હતું. બન્ને બાજુ ચામર ઢોળાઇ રહ્યાં હતાં એવી રીતે ચાલ્યા તે ગામના કેમ્પ વચ્ચે ઉતારો કર્યો. ઘોડીએથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા. ગામના સર્વે સત્સંગીઓ સામાન લાવ્યા, સંતો રસોઇ કરવા લાગ્યા. બ્રહ્મચારીએ થાળ કરાવ્યો, મહારાજ જળના કોગળા કરીને થાળ જમવા બિરાજ્યા, જમીને ચાળુ કરી મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા. પછી જાગીને જળપાન કરીને ઢોલિયે બિરાજ્યા. સંતો, પાળા, કાઠીઓ અને ગામ-પરગામના સત્સંગીઓ હાર પહેરાવી ભેટો મેલીને પગે લાગીને બેઠા.

પછી મશાલ આવી તે આરતી ધૂન્ય બોલીને પગે લાગીને બેઠા. અને મહારાજ ઢોલિયે પોઢ્યા. અને વહેલા જાગીને નિત્યવિધિ કરીને થાળ જમ્યા અને જળપાન કરીને મુખવાસ લીધો પછી ઢોલિયે બિરાજ્યા. પછી શ્વેત વસ્ત્ર પહેરીને સાબદા થયા અને સાહેબની પલટન આવી અને પડઘમ આદિ વાજિંત્રો વાગવા લાગ્યાં. મહારાજ ઘોડીએ સવાર થયા, બન્ને બાજુ ચામર થઇ રહ્યાં હતાં. સંતો, હરિભક્તો અને પાળાઓ તેમણે સહિત સાહેબના બંગલામાં આવ્યા. ત્યારે સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેન્ડ તે બન્ને જણાએ ટોપી ઉતારીને સામા આવીને પગે લાગ્યા. મહારાજને ભારે સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યારે પટાવાળાએ સાહેબને પૂછ્યું જે, કેટલાં મનુષ્યોને અંદર આવવા દેવાં ? ત્યારે સાહેબે કહ્યું જે, સ્વામિનારાયણ કહે તેને આવવા દેવા ત્યારે મહારાજે કહ્યું : જેને કંઠી અને ચાંદલો હોય તેને આવવા દેજો.

પછી મહારાજે સાહેબને ખબર પૂછ્યા અને તેમને કહ્યું જે, તમો બ્રાહ્મણને ફાંસી દ્યો છો, અને ગાયને મારો છો, તે સારું નથી. ત્યારે સર માલ્કમ તથા પોલિટિકલ બ્લેન્ડ બોલ્યા જે, સ્વામિનારાયણ ! એક બ્રાહ્મણે ત્રણ મનુષ્યો માર્યાં ત્યારે અમે એમ જાણ્યું જે, એ બ્રાહ્મણનું બીજ જ નહીં હોય. ત્યારે તે બ્રાહ્મણને ફાંસી દેવરાવી. અને મોટાં જે તીર્થો છે તેમાં તો અમે ગાય મારવા દેતા નથી, અને બીજું તો તમને જેમ જુવાર, બાજરી અને ચોખા તે ખોરાકી છે. તેમ અમારા લોકોને તે ખોરાક છે.

પછી સાહેબે મહારાજને પૂછ્યું જે, તમારા લોકમાં સતી થાય છે. તેનું કેમ છે ? પછી મહારાજે ઉત્તર કર્યો જે, જેનો પતિ મરી જાય અને તેના મનમાં એમ થાય જે, આપણા દિવસ નહીં જાય, અને લાજવાળાં જે મનુષ્યો હોય તેનું આપોઆપ મૃત્યુ થાય તે ઠીક છે અને પતિ મરી જાય અને તેના મનમાં એમ હોય જે, આપણે પ્રભુનું ભજન કરીશું, તેને ન બળવું તે સારું છે. તે વાત સાંભળીને સાહેબે કહ્યું જે, હવે હમ બંધ કરેગા. ત્યારે મહારાજે કહ્યું જે, જેને મરવું હશે તેતો જીભ કરડીને પણ મરશે અથવા કૂવે પડીને મરશે. માટે તેને વાત કરીને સમજાવવા. પછી તે સાંભળીને સાહેબલોક બહુ રાજી થયા અને બોલ્યા જે, અહોહો !!! નારાયણ સ્વામી ! આપને બહોત અચ્છી સલાહ દિયા.

પછી મહારાજે કહ્યું જે, અમારા ભત્રીજા જે, અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી છે તેમને અમદાવાદ તથા વડતાલના મંદિરમાં બન્નેને અમે દત્તપુત્ર કરીને મંદિરના તથા સત્સંગીઓના આચાર્ય કરીને અમારી ધર્મની ગાદી ઉપર બેસાડ્યા છે. ત્યારે સર માલ્કમ તથા પોલીટીકલ બ્લેન તે બન્ને સાહેબે કહ્યું જે, ધર્મની પરંપરા ઘણાં વર્ષ સુધી ચાલશે, હે નારાયણ સ્વામી ! અમે નિત્ય સવારે ઊઠીને પરમેશ્વરની પ્રાર્થના કરીએ છીએ જે, હે પરમેશ્વર ! અમારા ગુના માફ કરશો અને અમારા શત્રુઓનું તથા મિત્રોનું પણ સારું કરજો, એમ પરમેશ્વર પાસે માગીએ છીએ. પછી મહારાજે કહ્યું જે, અમે શિક્ષાપત્રી લખી છે. તેમાં સર્વેના ધર્મ લખ્યા છે. ત્યારે સાહેબે કહ્યું જે, તે પુસ્તક અમને આપો ત્યારે મહારાજે દાદાખાચર પાસેથી શિક્ષાપત્રીનો ગુટકો લઇને સર માલ્કમને આપ્યો, તે સાહેબે લઇને માથે ચડાવ્યો અને પોતાની પાસે રહેનારાને આપ્યો. પછી મહારાજે કહ્યું જે, અમે દાદાખાચરના દરબારમાં રહીએ છીએ. ત્યારે તે સાહેબે કહ્યું જે, દાદાખાચર ! તમે મોટા ભાગ્યવાળા છો; કેમ જે તમારા દરબારમાં આવા કલ્યાણકારી પરમ પુરુષ રહે છે.

પછી સર માલ્કમે બ્રાહ્મણ પાસે મહારાજની ષોડશોપચારે કરીને પૂજા કરાવી પછી ભારે શાલનો જોટો ઓઢાડીને પછી સદ્‌ગુરુઓ આગળ ભારે ભારે વસ્ત્રનાં થાન (તાકા) મેલ્યાં, દાદાખાચરને પણ શાલ જોટો ઓઢવા આપ્યો. ત્યારે દાદાખાચરે ના પાડી અને કહ્યું જે, અમેતો તાલુકેદાર છીએ, ત્યારે સર માલ્કમ સાહેબે કહ્યું જે, લ્યો ત્યારે લીધો. ત્યાર પછી મહારાજે સાહેબ પાસેથી રજા માગી જે અમારે ચાલવું છે. અમારે શરીરે કસર સાંભળીને ગુજરાતમાંથી હજારો મનુષ્યો ગઢપુર આવ્યાં છે.

પછી સર માલ્કમ તથા પોલીટીકલ બ્લેન સાહેબ ટોપી ઉતારીને હાથમાં લઇને આગળ ચાલ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, ઊભા રહો. એમ કહીને મહારાજ ઘોડીએ સ્વાર થઇને ચાલ્યા તે જેવી રીતે ગયા હતા તેવીજ રીતે વાજતે ગાજતે ઉતારે પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે સમઢીયાળા ગામમાં આવીને રાત રહ્યા, ઢોલિયે બિરાજ્યા. બ્રહ્મચારીએ થાળ કરાવ્યો. તે જમીને જળપાન કરી મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા, પછી વહેલા જાગીને નિત્યવિધિ કરીને સાબદા થઇને ચાલ્યા તે ગામ ખોખરા (ભૂપગઢ) પધાર્યા. પટેલ કાનો તથા વસ્તો તેમણે ગાજતે વાજતે પોતાના ફળિયામાં ઘણા માનથી પધરાવ્યા અને ત્યાં ઘોડીએથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા.

પછી મહારાજ બોલ્યા જે, અમારે ચાલવું છે, તે રસોઇ ઉતાવળે કરી લ્યો. પછી બ્રહ્મચારીએ તરત થાળ કર્યો તેને જમીને જળપાન કરીને મુખવાસ લઇને સાબદા થયા. ઘોડીએ સવાર થઇને ચાલ્યા તે ગામના સત્સંગીઓને સીમાડેથી પાછા વાળ્યા. ત્યાંથી ચાલ્યા તે માર્ગમાં ચારેક રાત્રિ થઇ અને ગઢપુર પધાર્યા. ત્યાં ઘોડીએથી ઉતરીને મહારાજ અક્ષર ઓરડીએ ઢોલિયે બિરાજ્ય, વસ્ત્રો ઉતારીને પવિત્ર જળે કરીને હાથ તથા ચરણ ધોઇને મહારાજ થાળ જમવા બિરાજ્યા. તે જમી ચળુ કરી મુખવાસ લઇને ઢોલિયે પોઢી ગયા. પછી સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને મોજડીઓ પહેરીને ચાલ્યા તે ઉગમણી બહાર ઓસરીમાં ઢોલિયે બિરાજ્યા, દંઢાવ્ય દેશના અને અમદાવાદના સર્વે સત્સંગીઓ આવેલા તેમણે મહારાજની આગળ ભેટ મેલી પગે લાગીને બેઠા. ત્યારે સંતો તથા બ્રહ્મચારીઓ, પાળાઓ અને કાઠીઓ પણ સર્વે પગે લાગીને બેઠા. ત્યાર પછી મહારાજ રાજકોટ ગયા હતા અને ત્યાં સાહેબે જે સન્માન કર્યું હતું અને પૂજન કર્યું હતું તથા તે પ્રસંગમાં જે કાંઇ વાતચીત ચાલી હતી તે સર્વે વાત સંક્ષેપમાં બધા આગળ કહી સંભળાવી. તેને સાંભળીને સર્વ સત્સંગીઓ રાજી થયા. પછી મહારાજ થાળ જમવા પધાર્યા, અને મહારાજ જળના કોગળા કરીને તથા સ્નાન કરીને થાળ જમવા બિરાજ્યા. તે સમયે હરિભક્તો થાળમાં બરફી, પેંડા લઇને આપવા માંડ્યા. મહારાજ તેને જમતા જાય અને ગંગામા સાથે વાતો કરતા જાય. અને છેટાં બેઠેલાં બાઇઓ પણ દર્શન કરતાં હતાં. તે સમયે ગંગામા બોલ્યાં જે સદ્‌ગુરુઓને જમવા બોલાવો. પછી સદ્‌ગુરુઓને ઘણા ભાવથી જમવા બોલાવ્યા અને તે સર્વે જમ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્યઅચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે રાજકોટમાં સાહેબને મળીને પાછા ગઢપુર પધાર્યા એ નામે સત્યાસીમો  અધ્યાય. ૮૭