પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ર૫ અમદાવાદ અને વડતાલમાં મંદિર કરાવ્યાં

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:12pm

 

દોહા

વળતું વાલમે વિચારીયું, ઉત્સવ કરવા અનેક ।

સહુ જન મળે સાંમટા, સમઝાય સહુને વિવેક ।।૧।।

વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર ।

એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર ।।૨।।

અખંડ રહેશે ઉત્સવ એહ, નથી એક બે વરસની વાત ।

માટે ઉપાય બીજો કરું, જેથી થાશે સહુ રળીયાત ।।૩।।

મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારું માંય ।

સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય ।।૪।।

 

ચોપાઇ

જીયાં લગી દર્શન અમે દૈયેરે, વળી સમૈયે અમે આવિયેરે ।

પણ અવાય નહિ સમૈયેરે, દરશન વિના દાઝે જન હૈયેરે ।।૫।।

માટે મૂર્તિયો અતિ સારીરે, કરી મંદિર દિયો બેસારીરે ।

તેને પૂજે પ્રેમ વધારીરે, ત્યાગી ગૃહી વળી નરનારીરે ।।૬।।

એમ વાલમે કર્યો વિચારરે, માંડ્યાં મંદિર કરવા તે વારરે ।

અમદાવાદમાં કરાવી મંદિરરે, તિયાં બેસારિયા બેઉ વીરરે ।।૭।।

નર નારાયણ સુખરાશીરે, પધરાવી કરાવી ચોરાશીરે ।

જેજે દર્શન કરશે એનાંરે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાંરે ।।૮।।

 

(દોહા - મંગલમૂર્તિ મહાપ્રભુ , શ્રીસહજાનંદ શ્યામ ।

સુખસાગર સંતાપ હરન, રટુ નિરંતર નામ ।।૧।।

ગોવિંદને ગમતું સદા, ગામ વરતાલ વિશેષ ।

જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ ।।૨।।)

 

વરતાલ મંદિર આદર્યુંરે, તે તો સહુથી સરસ કર્યુંરે ।

નવ મંદિર સુંદર સારાંરે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાંરે ।।૯।।

પૂરવ દિશાનાં મંદિર ત્રણરે, માંય મૂર્તિઓ મન હરણરે ।

લક્ષ્મીનારાયણ જાણો જોડ્યરે, એ તો બેસાર્યા શ્રીરણછોડરે ।।૧૦।।

ઉત્તર મંદિરે ધર્મ ભગતિરે, પાસે પોતાની મૂરતિરે ।

દક્ષિણ દેરામાંહિ રાધાકૃષ્ણરે, જોઇ જન મન થાય પ્રશ્નરે ।।૧૧।।

વળી પોતાની મૂર્તિ બેસારીરે, તે તો સહુથી છે બહુ સારીરે ।

એહ મૂર્તિ મંગળ રૂપરે, સહુ જનને સુખ સ્વરૂપરે ।।૧૨।।

વસ્યા આવી વરતાલ ગામરે, ધર્મનંદને કર્યું નિજ ધામરે ।

તિયાં વર્ષોવરષ આવે જનરે, આવે ઉત્સવે કરે દરશનરે ।।૧૩।।

ઉત્સવ વિના પણ આડે દિનેરે, આવે અનેક જન દરશનેરે ।

જેજે દરશન કરે કોય દાસરે, તે તો પામે બ્રહ્મમો’લે વાસરે ।।૧૪।।

એવું ધાર્યું છે ધર્મનંદનેરે, તેની કોણ કરે કહો મનેરે ।

જેનો હુકમ પાછો ન ફરેરે, તે તો જેમ ધારે તેમ કરેરે ।।૧૫।।

આજ મહારાજે ધાર્યું છે એમરે, કેનું ફેરવ્યું ફરશે કેમરે ।

માટે એ વાટે કલ્યાણ જાણોરે, કહ્યું શ્રીમુખે સત્ય પ્રમાણોરે ।।૧૬।।

નથી વાત આ વડાઈ સારુંરે, સાચી લખતાં શીદ શંકા ધારુંરે ।

માટે બહુ રીતે તારવા કાજરે, આજ આવ્યા છે પોતે મહારાજરે ૧૭ર

તાર્યા આવીને જીવ અનેકરે, વરતાલે તો વાળ્યો વસેકરે ।

જોયા ઉત્સવ સમૈયા જેણેરે, કરી લિધું છે કારજ તેણેરે ।।૧૮।।

જેણે કરી મંદિરની સેવારે, વળી પૂજ્યા સંત મુક્ત જેવારે ।

કરી ભક્તિ અતિ ભલે ભાવેરે, તેને તુલ્ય કહો કોણ આવેરે ।।૧૯।।

એનું ફળ છે અક્ષરધામરે, પામી થાશે તે પૂરણકામરે ।

એ તો વાત છે સાચી સઘળીરે, શ્રીમુખથી મેં જો સાંભળીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચવિંશઃ પ્રકારઃ ।।૨૫।।