૧૪૮. મોંઘીબાઇ, અંબાબાઇ, જમનાબાઇ, પારવતીબાઇ વગેરેને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:38pm

પૂર્વછાયો- વળી વખાણું વડોદરે, હરિજન મનનું હેત ।

ભાવે ભક્તિ ભલી કરે, સોંપી તન મન ધન સમેત ।।૧।।

જોયે ન મળે જક્તમાં, એહ જેવા જન એક ।

પ્રીત્ય જેની પ્રગટ પ્રભુમાં, ગ્રહિ ન મૂકે ટેક ।।૨।।

એવા જન અનેક છે, જેના પૂર્યા હરિએ લાડ ।

તેની ર્કીિત લખવા, મારા ચિત્તમાં ઘણી ચાડ ।।૩।।

બ્રાહ્મણ નાગરી નાત્યમાં, એક મોંઘિબાઇ હરિજન ।

અચળમતિ મહારાજમાં, કરે ભાવે સહિત ભજન ।।૪।।

ચોપાઇ- ભજે ભાવે ભરી ભગવાન, સમજે હરિને સામર્થીવાન ।

થાય સમાધિ દેખે શ્રીહરિ, અતિ સુખી રહે સુખે કરી ।।૫।।

એક દિવસે ધારણામાંઇ, ગઇ હરિ હતા પોત્યે ત્યાંઇ ।

કર્યું દર્શન દયાળુતણું, તેણે આવ્યું છે આનંદ ઘણું ।।૬।।

પછી મોંઘિબાઇ કહે મહારાજ, તમે નાથ છો રાજાધિરાજ ।

સર્વે અવતાર તમેજ ધર્યા, જાુગોજાુગમાં જન ઉધાર્યા ।।૭।।

કેવો લીધો કૃષ્ણ અવતાર, કેવાં ધાર્યાંતાં આયુધ ચાર ।

વળી અષ્ટ પટરાણી જેહ, જેના સુત સુભગ છે તેહ ।।૮।।

એહ સહિત ઇચ્છું દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન ।

પછી હસી બોલ્યા હરિરાય, જોઇ જનમન અભિપ્રાય ।।૯।।

ધર્યું કૃષ્ણરૂપ સુખખાણી, સંગે શોભે અષ્ટ પટરાણી ।

શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સુતસહિત શ્રીહરિ ।।૧૦।।

એવાં દીધાં આવીને દર્શન, જોઇ જન થયાં છે મગન ।

દઇ દર્શન પધાર્યા નાથ, નિર્ખિ થકિત થયો સૌ સાથ ।।૧૧।।

કહે આશ્ચર્ય વાત આતો, થયો પરચો કહ્યો નથી જાતો ।

વળી એક બીજી એની વાત, સહુ સાંભળજયો તે સાક્ષાત ।।૧૨।।

કર્યો મહારાજને કાજે થાળ, આવી જમિયા દીનદયાળ ।

જમ્યા પેંડા પતાસાં ને પાક, વડાં ભજીયાં સુંદર શાક ।।૧૩।।

જમી અર્ધ વડું આપ્યું નાથે, લીધું મોંઘિબાયે હાથોહાથે ।

આપી પ્રસાદી વેંચીને તેની, વળી વાત કહું બીજી એની ।।૧૪।।

બીજે દિવસે બદ્રિનાં ફળ, જેનાં ઝીણાં બીજ જાડાં દળ ।

તે આપ્યાં છે પોશભરી પોત્યે, એવાં બીજાં મળે નહિ ગોત્યે ।।૧૫।।

એમ પર્ચા અપરમપાર, આપે વાલોજી વારમવાર ।

હરિજનમાં મોટેરાં મુખી, અતિ અલૌકિ સુખમાં સુખી ।।૧૬।।

તેને ઘેર બાઇયો હરિજન, નિત્યે સુણે કથા કીરતન ।

બેસે સભા બાઇયોની મંડળી, કરે વાત પ્રકટની વળી ।।૧૭।।

હૈયે પ્રીત્ય હરિમાંહિ ઘણી, શું કહીએ મોટ્યપ બાઇયોતણી ।

તેને એક દિવસ મોઝાર, થઇ પુષ્પની વૃષ્ટિ અપાર ।।૧૮।।

તે સત્સંગી કુસંગી મળી, સૌએ વિણી લીધાં તેહ વળી ।

એમ થયું દિન દોય ચાર, એહાદિ નહિ પર્ચાનો પાર ।।૧૯।।

એવા પરચા થાય અનંત, કહેતાં લખતાં ન આવે અંત ।

વળી એક કહું બીજી વાત, સામર્થી શ્રીહરિની સાક્ષાત ।।૨૦।।

એક અંબાબાઇ છે દક્ષણી, કરે ભક્તિ પ્રભુજીની ઘણી ।

તેના દેહનો આવિયો અંત, આવ્યા તેડવા શ્રી ભગવંત ।।૨૧।।

લાવ્યા વિમાન તે લાખો લેખે, ચાલ્યા તેડી જન સહુ દેખે ।

સતસંગી કુસંગી સહુને, થયાં દર્શન જન બહુને ।।૨૨।।

ત્યાર પછી એહ અંબાબાઇ, દીઠા જને તે સમાધિમાંઇ ।

તે સાથે એમ મોકલ્યું કઇ, એક એંધાણી સુંદર દઇ ।।૨૩।।

શ્યામ સાડી પટારામાં મેલી, તે છે બીજી બાઇને આપેલી ।

એ વાત સવેર્ સાચી જો થાય, તો તમે સંશે કરશો માં કાંય ।।૨૪।।

તે કહ્યું આવી સમાધિવાને, માન્યું સત્ય સુણી સર્વે કાને ।

જેજે વાત મોકલીતી કઇ, તેતે સરવે સાચીજ થઇ ।।૨૫।।

જોઇ આશ્ચર્ય પામિયાં જન, સહુ કહેવા લાગ્યાં ધન્યધન્ય ।

વળી વાત અનુપમ એક, કહું સામર્થી હરિની વિશેક ।।૨૬।।

એક હરિજન દ્વિજમાંઇ, તેનું નામ છે જમુનાબાઇ ।

હરિભક્ત અતિ હેતવાન, ધરે પ્રકટ પ્રભુનું ધ્યાન ।।૨૭।।

તેનું હેત જોઇને દયાળ, નિત્યે જમે ભોજનનો થાળ ।

સારાં પહેરી પીતાંબર શ્યામ, દિયે દર્શન સુખના ધામ ।।૨૮।।

વળી ભૂત ભવિષ્યનું ભાખે, હોય થાવાનું તે કહિ દાખે ।

થાય સાચું એ સર્વે જ જયારે, પામે આશ્ચર્ય સહુ જન ત્યારે ।।૨૯।।

એમ જમુનાબાઇને ઘેર, આવે નિત્ય હરિ કરી મહેર ।

એક સોની બાઈ હરિજન, નામ પારવતી તે પાવન ।।૩૦।।

જેને હેત અતિ હરિમાંઇ, બીજે પ્રીત્ય જેને નહિ કયાંઇ ।

તેના ઘરમાં કુસંગ ઘણો, કરે દ્વેષ સહુ બાઇતણો ।।૩૧।।

સતસંગમાં જાવા ન આપે, કહી વાંકાં વચન સંતાપે ।

સુણી સવેર્ બોલે નહિ બાઇ, કરે ભજન બેઠી ઘરમાંઇ ।।૩૨।।

તેની પ્રીત્યે તાણ્યા ભગવાન, દિયે નિત્યે તે દર્શનદાન ।

જમે થાળ દયાળ આવીને, દિયે પ્રસાદી સારી લાવીને ।।૩૩।।

કોઇ દિવસ એવો ન જાય, જે નાવે નાથજી ઘરમાંય ।

એમ પાર્વતી બાઇને ઘેર, નિત્ય કરે હરિ લીલાલેર ।।૩૪।।

એમ લાડ પાળે હરિજનનાં, કરે ગમતાં કાજ જનમનનાં ।

એમ પર્ચો આપે અવિનાશ, ધન્ય હરિજન હરિદાસ ।।૩૫।।

વળી એક દિન આવ્યા હરિ, તેને જમાડ્યા ભજીયાં કરી ।

અતિપ્રેમમાં ટેવ ન રહી, આપ્યાં ભજીયાં કાચેરાં લહી ।।૩૬।।

જમી પધાર્યા જગજીવન, બાઇ મોંઘિબાઇને ભવન ।

કહે આજ પારવતી હાથ, કાચાં ભજીયાં જમ્યા કહે નાથ ।।૩૭।।

એવી વાત અલૌકિક જેહ, જાણી જન મગન રહે તેહ ।

સર્વે જાણો પ્રકટ પ્રમાણ, રખે સ્વપ્ન સમજો સુજાણ ।।૩૮।।

વળી એક તંબોળી તે માંઇ,નામ તેનું છે જમુનાંબાઇ ।

તેને ધારણા થાય હંમેશ, કરે પ્રભુ પાસે તે પ્રવેશ ।।૩૯।।

સમાધિમાં કરે હરિસેવા, નિત્ય જમાડે મિઠાઇ મેવા ।

તેની વાત જાણી જન બીજે, સુણી પામીયાં ન પરતિજે ।।૪૦।।

કહે એ વાત સર્વે છે ખોટી, મુખસ્વાદની કરો છો મોટી ।

જયારે નજરે દેખીયે અમે, ત્યારે માનીયે જે કહો તમે ।।૪૧।।

કરો તમારે ઘેર ભોજન, ભાણે બેસી જમે ભગવાન ।

જેજે ભોજન ધરીયે થાળે, થાય ઓછું તેમાં તેહ કાળે ।।૪૨।।

તે અમારી આંખ્યે જો દેખીયે, તો સહુ વારતા સાચી લેખીયે ।

એવું સુણી હરિજન બાઇ, કર્યો થાળ પોત્યે ઘરમાંઇ ।।૪૩।।

થયો સુંદર થાળ તૈયાર, પ્રીત્યે જમિયા પ્રાણઆધાર ।

જમી પધાર્યા જીવન જયારે, ફુલહાર દેતાગયા ત્યારે ।।૪૪।।

જેજે ભોજને ભર્યોતો થાળ, થયું અર્ધું જમિયા દયાળ ।

દિઠો ફુલનો પ્રકટ હાર, જોઇ થકિત થયાં નરનાર ।।૪૫।।

કહે વાત આ સરવે સાચી, જાણો સત્ય નથી કાંઇ કાચી ।

જોને હાર સારૂ નરસઇ, કર્યા કાલા વાલા જને કઇ ।।૪૬।।

એવા હજારો આપે છે હાર, વાલો ભક્તને વારમવાર ।

આજ વાવરે છે જે સામર્થી, એવી કોઇદિ વાવરી નથી ।।૪૭।।

ધન્યધન્ય આજનો પ્રતાપ, કવિ ક્રોડ્યે થાય નહિ થાપ ।

વળી કરી છે જનની સાય, તે નિષ્કુળાનંદે ન લખાય ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને અડતાળિશમું પ્રકરણમ્ ।।૧૪૮।।