૧૪૫. નારુપંત નાના, બાપુ સરવરિયા, ગંગાબાઇ અને તેનો પુત્ર સેવકરામ વગેરે વડોદરાનાં ભકતોને શ્રીહરિએ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:34pm

પૂર્વછાયો- વળી શહેર વડોદરે, કરી જનની જીવને સાર ।

સંભળાવું સંક્ષેપશું, સહુ સુણજયો નરનાર ।।૧।।

સામર્થી પોત્યે શ્રીહરિ, આજ વાવરે છે અપરિમિત ।

તે કહી ન જાય કોઇથી, છે એવી અલૌકિક રીત ।।૨।।

આગે પરચા પૂરીયા, જન હેતે લઇ અવતાર ।

પણ એ થકી રીત્ય આજની, છે જો અપરમપાર ।।૩।।

કહીકહી કહીએ ક્યાં લગી, એક જીભે જશ અપાર ।

પણ જે આવે મારી જાણ્યમાં, કરૂં કાંઇક તેનો ઉચ્ચાર ।।૪।।

ચોપાઇ- એક દ્વિજભક્ત છે દક્ષિણી, કહું વાત હવે તેહ તણી ।

નારુપંતનાના તેનું નામ, કરે રાજ સમાજનું કામ ।।૫।।

એમ કરતાં થયો સતસંગ, ચડ્યો ચિત્તે તેનો અતિ રંગ ।

વળી એમ સમજયો સુજાણ, મળ્યા પ્રભુ પ્રકટ પ્રમાણ ।।૬।।

રહી નહિ ઉધારાની વાત, તેણે કરી રહે રળીયાત ।

સાચો સમજાણો સતસંગ, ભજે શ્રીહરિ કરી ઉમંગ ।।૭।।

કહે સ્વામી સહજાનંદ સત્ય, તેહ વિનાતો તે બીજાું અસત્ય ।

એવી અંતરમાં ગાંઠ્ય પાડી, ઉખડે નહિ કેની ઉખાડી ।।૮।।

એમ કરતાં વીત્યા કાંઇ દન, આવ્યું સંસાર સંબંધિ વિઘન ।

એનો સુત બાપુ નામ જેહ, થયો મંદ શરીરમાં તેહ ।।૯।।

તેને દેખીને તેની જનિતા, કરી અંતરમાં અતિ ચિંતા ।

મારે પુત્ર એક જ છે એહ, કોઇ રીત્યે રહે એનો દેહ ।।૧૦।।

પછી તે સારૂં સમરી દેવી, સુત સારૂં અકળાણી એવી ।

નાવી દેવી આવ્યા અવિનાશ, થયો કોટિ સૂર્યનો પ્રકાશ ।।૧૧।।

અતિ તેજ તણો નહિ પાર, ભેળા સંત હજારો હજાર ।

પછી એમ બોલ્યા મહારાજ, આવ્યા બાપુને તેડવા કાજ ।।૧૨।।

તે તું કોટિ ઉપાય જો કરે, તોય તારો સુત ન ઉગરે ।

માટે ભૈરવ ભવાની ભૂત, સમર જે રાખે તારો સુત ।।૧૩।।

ત્યારે બોલી છે એમ તે બાઇ, એનો ભાર નથી મારે કાંઇ ।

પણ જીવ જનનીનો એવો, તેનો દોષ મને નવ દેવો ।।૧૪।।

સુખે તેડી જાઓ મારો તન, હું તો અતિશે છું પરસન ।

એમ કહીને જોડીયા હાથ, ત્યારે બોલિયા સંત હતા સાથ ।।૧૫।।

મહારાજ એને એક બાળ, તેને તેડી ન જાઉં દયાળ ।

સંસારીને તો એટલું સુખ, સુત વિત્ત વિના માને દુઃખ ।।૧૬।।

ત્યારે એમ બોલ્યા મહારાજ, નહિ તેડી જાયે એને આજ ।

એની પડોસણ્યનો જે તન, તેને તેડી જાશું કહે જીવન ।।૧૭।।

પછી તેહને તેડીને ચાલ્યા, બહુ લોકને દર્શન આલ્યાં ।

દિઠા સહુએ પ્રકટ પ્રમાણ, થયું સત્સંગી કુસંગીને જાણ ।।૧૮।।

એમ પ્રકટ પરચો દઇ, ચાલ્યા બીજા બાળકને લઇ ।

નહિ છાનું એ પ્રકટ જાણો, કહે પરચો થયો એ પ્રમાણો ।।૧૯।।

કહે નાનો જોડી જાુગ હાથ, ધન્યધન્ય દીનબંધુ નાથ ।

તમે દયાનિધિ છો દયાળ, દીનાનાથ દીનપ્રતિપાળ ।।૨૦।।

વળી વાત કહું એક સારી, હરિજનને છે હિતકારી ।

એક દ્વિજ બાપુ સરવરિયો, તેણે સમઝીને સત્સંગ કરિયો ।।૨૧।।

જોઇ સાચી રીત સંતતણી, આવી પ્રતીત પોતાને ઘણી ।

વળી સાંભળી સંતની વાત, તેને ભાંગી છે મનની ભ્રાંત ।।૨૨।।

થયો સત્સંગી સ્વામીનો ખરો, બેપ્રવાઇ સિપાઇ આકરો ।

ઝાલી ટેક મુવે નવ મેલે, સિર કરમાં લઇને ખેલે ।।૨૩।।

નિષ્કપટ મતિ અતિ ઘણી, કહું વાત હવે તેહતણી ।

એનો સુત તે રામસેવક, થયો માંદો શરીરમાં છેક ।।૨૪।।

આવ્યો સમો એને અંતકાળ, ગરૂડે ચડી પધાર્યા દયાળ ।

સંગે સંતતણું બહુ વૃંદ, મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ ।।૨૫।।

ગોપાળાનંદ સ્વામી છે સાથ, જળ ઝારી ભરી ધરી હાથ ।

નિત્યાનંદજી કરે ચમર, એમ પધાર્યા શ્યામસુંદર ।।૨૬।।

દીઠા સત્સંગી કુસંગી જને, આવ્યા બાપુ ભાઇને ભવને ।

સહુ આવીને નામે છે શીશ, કહે ભલે આવ્યા જગદીશ ।।૨૭।।

ત્યારે નાથ કહે આવ્યા આજ, તારા સુતને તેડવા કાજ ।

ત્યારે બાપુ કહે જોડી હાથ, સુખે તેડી જાઓ મારા નાથ ।।૨૮।।

એના ભાગ્યતણો નહિ પાર, આવ્યા આ સમે પ્રાણ આધાર ।

એવાં સુણી બાપુનાં વચન, કહે સાધુ સર્વે ધન્યધન્ય ।।૨૯।।

પછી સંત કહે જોડી હાથ, આજ મેલી જાઓ એને નાથ ।

ત્યારે મહારાજ કહે ઘણું સારૂં, જાઓ માન્યું એ વચન તમારૂં ।।૩૦।।

પછી દર્શન દઇ લોકને, ચાલ્યા બાપુનો ટાળી શોકને ।

દિઠા સહુએ પ્રકટ પ્રમાણો, થયો પરચો જન સહુ જાણો ।।૩૧।।

કહું એક દિવસની વળી, તેડી જમવા મુનિમંડળી ।

જમ્યા મુનિ રાખી નહિ મણા, તોય વધ્યા છે મોદક ઘણા ।।૩૨।।

કહે બાપુ જમ્યા નહિ સંત, માટે વધિયું અન્ન અત્યંત ।

ત્યારે બોલ્યા છે ગોપાળ સ્વામી, ભાઇ અમે રાખી નથી ખામી ।।૩૩।।

એમ કરતાં વધ્યું હશે અન્ન, જમશે કોઇ હરિના જન ।

ત્યારે બાપુને આવ્યો વિશ્વાસ, હમણાં આવશે કોઇ હરિદાસ ।।૩૪।।

એમ કરતાં આવ્યા જગદીશ, સંગે સાંખ્યયોગી દશવીશ ।

કહે હરિ હોય ત્યાર અન્ન, છે આ ભૂખ્યા કરાવો ભોજન ।।૩૫।।

પછી બાપુએ જમાડ્યા તેહ, કરીતી રૂડી રસોઇ જેહ ।

હતા પાળા ને પ્રભુજી ક્યાંઇ, જમ્યા અલૌકિક અંગે ત્યાંઇ ।।૩૬।।

એમ આપ્યો છે પરચો એહ, વળી બીજો કહું સુણો તેહ ।

આપી મૂરતિ મહારાજે એક, પૂજી જળ લેવું આવી ટેક ।।૩૭।।

તેને અર્થે લાવ્યો એક હાર, ધર્યો મૂરતિ ને નિરધાર ।

હાર હળવો જોઇ મૂરતિ, નાખ્યો ફગાવી અળગો અતિ ।।૩૮।।

પછી બોલી છે મૂરતિ એમ, હાર હળવો ચડાવે છે કેમ ।

બીજે વાવરે છે બહુ ધન, ત્યાં તો મોકળું રાખે છે મન ।।૩૯।।

ત્યારે બાપુએ જોડ્યા છે હાથ, એતો ભૂલ્ય ઓળખાવી નાથ ।

ધન્ય સામર્થી તમારી સ્વામી, આજ પર્ચો પામ્યો હું બહુનામી ।।૪૦।।

વળી એક દને ગંગાબાઇ, બેઠી માનસી પૂજાને માંઇ ।

તિયાં કર્યો તો સુંદર થાળ, આવ્યા પ્રકટ જમવા દયાળ ।।૪૧।।

કરી દાતણને દિધિ ચિરૂં, જમ્યા જીવનજી ધિરૂં ધિરૂં ।

પ્રભુ પ્રકટ જમિયા થાળ, ચાલ્યા દર્શન દઇ દયાળ ।।૪૨।।

વધ્યાં ભોજન જમતાં જેહ, આપી પ્રસાદી સહુને તેહ ।

પામ્યા પ્રસાદી પ્રકટ સહુ, એવી વાત હું કેટલી કહું ।।૪૩।।

વળી એકદિને ગંગાબાઇ, કહું દિઠું જે સમાધિમાંઇ ।

થયાં મહારાજનાં દરશન, ભેળા દિઠા બહુ મુનિજન ।।૪૪।।

જાગી સમાધિમાંહિથી જયારે, લીધાં નામ સરવેનાં ત્યારે ।

જેને નાવડતું નામ એક, તેણે લીધાં છે નામ અનેક ।।૪૫।।

સહુ સાંભળી આશ્ચર્ય પામ્યાં, ધન્ય મહારાજ કહી શિશ નામ્યાં ।

વળી એક દિવસની વાત, સહુ સાંભળજયો સાક્ષાત્ ।।૪૬।।

એનો સુત તે રામસેવક, ભણતોતો ગણપતિ અષ્ટક ।

તેને મહારાજ સોણામાં આવી, ગયા કૃષ્ણાષ્ટક શિખાવી ।।૪૭।।

જાગી સવારે રામસેવક, કહ્યા કંઠેથી અષ્ટ તે શ્લોક ।

સહુ સાંભળી આશ્ચર્ય થયાં, ધન્ય નાથ કહે સર્વે રહ્યાં ।।૪૮।।

મોટા સુભાગી એ નરનાર, પામ્યા પરચા તે એમ અપાર ।

ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ, આપ્યાં જનને સુખ અમાપ ।।૪૯।।

તેતો કહ્યે લખ્યે નાવે પાર, કવિ બહુબહુ કરે વિચાર ।

જેજે આપ્યાં છે જનને સુખ, કહ્યું જાતું નથી તેતો મુખ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને પિસ્તાળિસમું પ્રકરણમ્ ।।૧૪૫।।