૧૩૬. શ્રીજીએ વાંકાનેરનાં જીવરામ ભકત, ગોલીડાનાં રાણારાજગર વગેરેને પુરેલ પરચા તથા માંડવધારમાંથી

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:19pm

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો તે સર્વે જન ।

ભિડ્ય પડે જયારે ભક્તને, ત્યારે ભય હરે ભગવન ।।૧।।

કરે સહાય હરિ કષ્ટમાં, નિજસેવકની નરવીર ।

વસમી વેળાએ વાલ્યમો, સુખ આપે શ્યામ સુધીર ।।૨।।

સુખકારી દુઃખહારી, ધારી ટેક એ ધર્યની ।

દાસના અવિનાશ ત્રાસ, વિનાશન રીત ઘરની ।।૩।।

જીયાંજીયાં નિજજનની, જગજીવને કરી જતન ।

સુણાવું કંઇ સંક્ષેપે, સાંભળજયો સહુ જન ।।૪।।

ચોપાઇ- એક વિપ્ર વાંકાનેર ગામ, હરિભક્ત નામ જીવરામ ।

પાળે નિજધરમ આચાર, કરે નિર્વાહ સારૂં વેપાર ।।૫।।

એમ કરી કરે ગુજરાણ, ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ ।

પાળે પળે જેટલું વચન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૬।।

એકવાર કણ લેવા કાજે, ગયો સિંધ દેશ બેસી ઝાઝે ।

વોરી ચોખા ને ભરીયું વાણ, વળ્યો સિંધથી દ્વિજ સુજાણ ।।૭।।

મળ્યા વાટમાં વળતા ચોર, મહાપાપી અધર્મી અઘોર ।

આડા આવીને રોકિયું ઝાઝ, માલ મિલકત લુંટવા કાજ ।।૮।।

બેડી સાથે બેડી બાંધી લીધી, કરી હાકલ ને હલાં કીધી ।

જયારે ચોર નાવે આવી ચડ્યા, ત્યારે ખેવટ પાણીમાં પડ્યા ।।૯।।

રહ્યો જીવરામ એક જેહ, તર્ત ઝાલી લીધો ચોરે તેહ ।

બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા છો સાત ।।૧૦।।

પછી જીવતો જળમાં નાખી, બેડી હાંકિગયા ઘેર આખી ।

પડ્યો જીવરામ જળમાંય, તરે તન જીવ નવ જાય ।।૧૧।।

પછી વિપરે કર્યો વિચાર, પડ્યું દુઃખ તે આજ અપાર ।

કેમ જાતા નથી હજી પ્રાણ, આશું બોળતો નથી મેરાણ ।।૧૨।।

કરે વિનંતિ વારમવાર, કરો સ્વામી સહજાનંદ સાર ।

આવો વહેલા છોડાવિયે તન, બીજી નથી ઇચ્છા હવે મન ।।૧૩।।

એમ કહી થઇ દીન અતિ, ત્યારે વારે આવ્યા પ્રાણપતિ ।

લાવ્યા સુંદર કોટિયું સાથ, છોડિયા બંધન થકી બેઉ હાથ ।।૧૪।।

બાંય ગ્રહિને બેસાર્યો બેડી, ચાલ્યા દયાળુ દાસને તેડી ।

હાલી હળવે હળવે હુડી, લાવ્યા પાર પ્રભુ રીત્ય રુડી ।।૧૫।।

ભૂખ પ્યાસની વેદના હરિ, બૂડતાં જળમાં સાય કરી ।

એમ ઉગારીયો નિજદાસ, આપ્યો પરચો એ અવિનાશ ।।૧૬।।

પછી ધીરેધીરે જીવરામ, ચાલ્યો આવતો તો નિજ ગામ ।

તેથી મોર સંભળાણી વાત, થયું જીવરામ તન પાત ।।૧૭।।

એવું સર્વે સંબન્ધી સાંભળી, આવ્યા જીવરામ ઘેર મળી ।

કહે સમાચાર એવો આવ્યો, જીવરામ તો ધામ સધાવ્યો ।।૧૮।।

ત્યારે બોલી એ દ્વિજની માત, એવી કરશો માં કોઇ વાત ।

મારો મુવો નથી જીવરામ, તમે જાઓ ઘેર કરો કામ ।।૧૯।।

પછી સહુએ બહુબહુ કહ્યું, ડોશી તારૂં છે કઠણ હયું ।

પણ જાય છે દ્વિજનો ધર્મ, વહુને કરાવિયે ચુડાકર્મ ।।૨૦।।

ત્યારે ડોશી થયાં દલગીર, ભર્યાં લોચનિયાંમાંહિ નીર ।

ત્યારે એ સમે આવિયા શ્યામ, ડોશી નથી મુવો જીવરામ ।।૨૧।।

બોલ્ય સહુને આગે હોડ બકી, કાલ બપોરે આવશે નકી ।

પછી ડોશીયે તેમજ કહ્યું, આવ્યો જીવરામ સત્ય થયું ।।૨૨।।

એમ પરચો આપી મહારાજ, કયુર્ં ભક્ત બ્રાહ્મણનું કાજ ।

વળી વાત અનુપમ અતિ, સુણિ લેજયો સહુ શુભમતિ ।।૨૩।।

એક સત્સંગી ગોલિડું ગામ, ભજે સ્વામિનારાયણ નામ ।

સંત સાચા જાણે સ્વામિતણા, ગણે બીજાને કપટી ઘણા ।।૨૪।।

એવું ગામ બધું ગુણવાન, સુણે વાત હેતે દઇ કાન ।

તેમાં એક કુસંગી અભાગી, ફશ્યો ફેલમાં ન શક્યો ત્યાગી ।।૨૫।।

તેને લેવા આવ્યા જમરાણ, ધાયા કિંકર લઇ ધમસાણ ।

તિયાં ભક્ત રહે ભાઇ ચાર, રાજગુરુ બ્રાહ્મણ ઉદાર ।।૨૬।।

ભીમ વશરામ રાઘવ રાણો, ચાર ભક્ત પ્રભુના પ્રમાણો ।

તેણે દીઠું જમદળ જયારે, મને વિચારીયું મળી ચ્યારે ।।૨૭।।

આપણે શ્રી મહારાજના છીએ, એ જીવ જમને કેમ દઇએ ।

પ્રભુ પ્રતાપ ઉરમાં ધારી, ચાલો સહજાનંદજી સંભારી ।।૨૮।।

જયારે વાળીયે જમને પાછા, ત્યારે આપણે સત્સંગી સાચા ।

એમ પરિયાણી ભાઇ ચાર, આવ્યા જમને આડા તેવાર ।।૨૯।।

કહે પાપી પાછા વળો તમે, ગરવા ગામમાં નહિ દૈયે અમે ।

કહે જમ જાળવ્ય ઘર તારૂં, આખા ગામનું નહિ થાય વારું ।।૩૦।।

કહે ભક્ત આ સર્વે સ્વામીના, પ્રભુ પ્રકટ બહુનામીના ।

કહે જમ એ જાુઠું સઘળું, એને લીધા વિના નવ વળું ।।૩૧।।

કહે ભક્ત ખાશો માર જયારે, પાપી ભાગશો તમે તે વારે ।

ત્યારે જમ કહે જા તારે ઘર, એમ કહીને ઉગામ્યો કર ।।૩૨।।

ત્યારે ભીમ રાણો ભડ ભારી, કૃતાંત દાંતમાં ડાંગ મારી ।

થયો કડાકો વસમી વીતિ, જમ ભક્તને ન શક્યા જીતી ।।૩૩।।

પામ્યા ભય ભાગ્યા જમરાણ, આતો જન દિસે છે જોરાણ ।

ભક્ત તમે સાચા સાચા સ્વામી, અમે જાઇએ છીએ હાર પામી ।।૩૪।।

એમ જન જીત્યા જમસાથે, કરી સાય સેવકની નાથે ।

જેને બળ બહુનામીતણું, માન્યું પોતાને સેવકપણું ।।૩૫।।

તેથી જાણો કોણ ન જીતાય, આ લોક પરલોકને માંય ।

એનું આશ્ચર્ય કાંઇ મ જાણો, આપ્યો પરચો એ પરમાણો ।।૩૬।।

પછી આવ્યો એ પ્રાણીનો અંત, ત્યારે તેડવા આવિયા સંત ।

એમ આપ્યો પરચો એ નાથ, વળી સાંભળજયો એક ગાથ ।।૩૭।।

વીત્યાં વર્ષ માસ કાંઇ દન, આવી અવધ્યે તજયું રાણે તન ।

મુવા મોરે સહુને જણાવ્યું, કહે મોત માનો મારૂં આવ્યું ।।૩૮।।

જેને આવવું હોય જરૂર, ચાલો તેડીજાઉં બ્રહ્મપુર ।

એમ સહુને કહે વળીવળી, સહુ સામું જોઇ રહે સાંભળી ।।૩૯।।

પછી માત સુતે માની વાત, કહે અમે આવશું સંગાત ।

પછી તજયું રાણે જયારે અંગ, માત સુત લઈ ચાલ્યો સંગ ।।૪૦।।

એવો પ્રતાપ મહારાજતણો, શું કહિએ મુખથી ઘણોઘણો ।

કહું વારતા એક હું વળી, સહુ થાશો થકિત સાંભળી ।।૪૧।।

એક નાસ્તિકી આરજયા થઈ, મુંડાઇ માંડવધારે રઇ ।

તેને રહીગઇ એવી આશ, ખાધું સર્વસ્વ ન ખાધું માંસ ।।૪૨।।

પછી મરીને મરકી થઇ, માર્યા માંડવધારમાં કઇ ।

એક બાળી આવે ઘરબહાર, ત્યાંતો બીજું થયું હોય ત્યાર ।।૪૩।।

તેને ઉપાડી જઇ મુકે આગ્ય, ત્યાંતો ત્રીજું કરે તનત્યાગ ।

એમ અહોનિશ માનવી મરે, મરકી ભક્ષ માણસનો કરે ।।૪૪।।

પછી સત્સંગી મળી સુજાણ, આવ્યા પ્રભુ પાસે જોડી પાણ ।

કહે મહારાજ ત્યાં લગી આવો, રાંડ મરકીને મારી નસાવો ।।૪૫।।

ત્યારે નાથ કહે જાઓ તમે, સારૂં સંત ને આવશું અમે ।

પછી પધાર્યા સંત ને શ્યામ, ત્યારે મુકી ગઇ મરકી ગામ ।।૪૬।।

દીઠી સંતે તે મૂરતિમાન, ભર્યા દંત રૂધિરે નિદાન ।

એવા પરચા બીજા અપાર, કહેતાં લખતાં ન આવે પાર ।।૪૭।।

ધન્ય સતસંગી ધન્ય શ્યામ, પૂરી હરિએ હૈયાની હામ ।

જે જે જનની કરી સહાય, તેતો મુખથી કહ્યું ન જાય ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને છત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૬।।