૧૧૦. માનના દોષ તથા તેને ટાળવાના ઉપાયો.( નિર્માની વર્તમાન )

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:51pm

ચોપાઇ-

હવે કહું નર નિરમાન, જેને ભેટ્યા છે શ્રીભગવાન ।

તે પ્રભુ છે સહુના સ્વામી, કર્તા નિયંતા અંતરજામી ।।૧।।

જેની ભ્રકુટિ વિલાસમાંય, કોટિ બ્રહ્માંડ ભાંગે ને થાય ।

એવા સમર્થ શ્રીમહારાજ, સર્વે ઉપર છે અધિરાજ ।।૨।।

જે જે ધારે તે કારજય કરે, તે ફેરવ્યું કેનું નવ ફરે ।

સર્વે કારણના કારણ જેહ, તેણે ધર્યું પૃથ્વીપર દેહ ।।૩।।

એવા પુરૂષોત્તમ પરબ્રહ્મ, જેને નેતિનેતિ કહે નિગમ ।

તેહ થઇ મનુષ્ય આકાર, કરે બહુ જીવનો ઉધ્ધાર ।।૪।।

મેલી પોતાની મોટ્યપ નાથ, મળી રહ્યા મનુષ્યને સાથ ।

થઇ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સનમાન ।।૫।।

વળી સહે જગ ઉપહાસ, તોય ન કરે માન અવિનાશ ।

જોને ઋષભદેવે કેવું સહ્યું, અતિશે નિરમાનને ગ્રહ્યું ।।૬।।

જોને કપિલદેવ દયાળ, જેને મારવા ધાયા ભૂપાળ ।

જોને વામનજી નિરમાની, બળિદ્વારે વશ્યા વરદાની ।।૭।।

જોને રામ કેવા નિરમાન, નાગપાશે બંધાણા નિદાન ।

જોને કૃષ્ણ કેવા સમરથ, મેલી માન તાણ્યો ઋષિરથ ।।૮।।

એહ આદિ બહુ અવતાર, કહેતાં આવે નહિ તેનો પાર ।

જુવો વર્તમાન કાળે આજ, કેવા નિર્માની છે મહારાજ ।।૯।।

આપે સમર્થ ને સર્વે સહે, એવું નિરમાનીપણું ગ્રહે ।

કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોષ ન કરે લગાર ।।૧૦।।

હવે એવા પ્રભુના જે દાસ, કહો કેમ ન સહે ઉપહાસ ।

જેના નિરમાની ભગવાન, તેના જનને જોયે કેમ માન ।।૧૧।।

માન રાખે તે રાક્ષસ દૈત્ય, જન હોય સદા માનજીત ।

માન જોઇએ હિરણ્યાક્ષ અંગ, જેણે યુધ્ધ કર્યો લેરી સંગ ।।૧૨।।

માન હિરણ્યકશિપુને જોઇએ, જેને જગમાં જીત્યા નહિ કોઇએ ।

માન જોઇએ રાવણ જેવાને, એહ આદિ રાક્ષસ એવાને ।।૧૩।।

માન જોઇએ કંસ ભૂપાળને, બીજા શાલવ શિશુપાળને ।

માન જોઇએ તે જરાસંધને, માન જોઇએ ધૃતરાષ્ટ્ર અંધને ।।૧૪।।

માન દુર્યોધનને તે જોઇએ, એહ આદિ એવા બીજા કોઇએ ।

એવા દુષ્ટને માનજ ઘટે, હરિજન તો માનથી હટે ।।૧૫।।

માને કરીને જય વિજય, વૈકુંઠ થકી પડિયા તેય ।

માને પડ્યો ઇંદ્ર સુરપતિ, માને પડ્યો નહુષ ભૂપતિ ।।૧૬।।

માને પડિયો રાજા યયાતિ, બીજા સુરાસુર પડ્યા અતિ ।

માને ચિત્રકેતુ કર્યો ચુર, થયો તેહ વળી વૃત્રાસુર ।।૧૭।।

માને દક્ષ પામ્યો અતિદુઃખ, થયું મોત ને વણશું મુખ ।

માને ગયું રાવણનું રાજ, માને થયું બહુનું અકાજ ।।૧૮।।

માને ગયું કૌરવનું કુળ, માને ગયું છે કંસનું મૂળ ।

માને સુર અસુર છે દુઃખી, માન રાખી થયા કોણ સુખી ।।૧૯।।

સ્વર્ગ મૃત્યુ પાતાળ મોઝાર, માને મારી મુક્યા નરનાર ।

કામ ક્રોધ લોભ કદિ જાય, પણ માન તેતો ન મુકાય ।।૨૦।।

નથી બીજા કોઇનો તે વાંક, માને રોળ્યા છે રાજા ને રાંક ।

એવો નર નજરે ન આવે, જેના મનને માન ન ભાવે ।।૨૧।।

ઘર તજી જાય કોઇ વન, એકાંત્યે બેસી કરે ભજન ।

અન્ન મુકી ફળ ફુલ ખાય, પણ માન તેતો ન તજાય ।।૨૨।।

કોઇ કરે તે નામ રટન, કોઇ કરે અવનિ અટન ।

ગંગા યમુના સરસ્વતી નાય, પણ માન તેતો ન તજાય ।।૨૩।।

કોઇ વધારે નખ ને કેશ, કરે તીર્થ ફરે દેશોદેશ ।

પહેરે નહિ પગરખાં પાય, પણ માન તેતો ન તજાય ।।૨૪।।

કોઇ ઉઘાડા રહે અવધૂત, કોઇ ભૂંસે અંગમાં ભભૂત ।

ધન નારીને નિકટ ન જાય, પણ માન તેતો ન તજાય ।।૨૫।।

કોઇ જ્ઞાની થઇ કરે જ્ઞાન, કોઇ ધ્યાની થઇ ધરે ધ્યાન ।

કોઇ ભક્ત થઇ ગુણગાય, પણ માન તેતો ન તજાય ।।૨૬।।

કોઇ રાખે કંથા ને ગોદડી, કોઇ રહે જીયાં તિયાં પડી ।

સહે શીત ઉષ્ણ અંગમાંય, પણ માન તેતો ન તજાય ।।૨૭।।

કોઇ રહે મુખે મૌન સાધી, કોઇ જમે નહિ અન્ન રાંધી ।

કાચું પાકું મળે તેવું ખાય, પણ માન તેતો ન તજાય ।।૨૮।।

કોઇ તપી થઇ કરે તપ, કોઇ જપી થઇ કરે જપ ।

મેલે વસન ભૂષણ ઇછાય, પણ માન તેતો ન તજાય ।।૨૯।।

કવિ કોવિદ પંડિત પીર, યોગી યતી સતી શૂરવીર ।

માન ગયે મરવાને ચાય, પણ માન તેતો ન તજાય ।।૩૦।।

સર્વે મરે છે માનના માર્યા, માન આગળ્ય કઇક હાર્યા ।

એવા માનને મેલી મહાંત, ભાવે ભજે છે શ્રીભગવંત ।।૩૧।।

મેલી પિંડ બ્રહ્માંડનું માન, સંત સદા રહે ગુલતાન ।

અન્ય માનને જન ન ઇચ્છે, જેની મતિ તે મોટી થઇ છે ।।૩૨।।

આપે માને છે આતમારૂપ, સોહં મનાણું બ્રહ્મસ્વરૂપ ।

સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહ, જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ તેહ ।।૩૩।।

મન બુધ્ધિ ચિત્ત અહંકાર, પ્રાણ પંચ ઇંદ્રિય પરિવાર ।

પંચ દેવ સપ્ત ધાતુ જેહ, એહ સવેર્મળીને આ દેહ ।।૩૪।।

જેમ કહ્યો શરીરનો સાજ, તેમ બ્રહ્માંડનો છે સમાજ ।

તેને પાર પ્રકૃતિ પુરૂષ, તેથી પર બ્રહ્મ એક રસ ।।૩૫।।

સત ચિત્ત આનંદ સ્વરૂપ, એવું મનાણું આપણું રૂપ ।

પછી બ્રહ્માદિ કીટ પર્યંત, તેમાં મોહ પામે કેમ સંત ।।૩૬।।

આપે થયા છે આતમારામ, દાસ સુખિયા પૂરણકામ ।

મેલી પિંડ બ્રહ્માંડનું માન, થયા બ્રહ્મરૂપ ગુલતાન ।।૩૭।।

એવા માનમાં મસ્ત છે જેહ, બીજા માનને ન ઇચ્છે તેહ ।

અવરમાં નથી ઉતાર્યું મન, કરવા પુરૂષોત્તમ પ્રસન્ન ।।૩૮।।

એમ સમજયા સંત સુજાણ, તેને રહી નહિ કોઇ તાણ ।

એમ આદિ અંત્યે મધ્યે જન, તજી માન ભજયા ભગવન ।।૩૯।।

એવું સમજીને સંત આજ, કર્યું તન મને માન તાજ ।

થયા નિરમાની એમ સંત, જેને ભેટીયા શ્રીભગવંત ।।૪૦।।

તજી તનને મનનું માન, રહ્યા હરિમાંહિ ગુલતાન ।

કામ લોભ ને સ્વાદ સનેહ, મેલ્યા માન આદિ પંચ એહ ।।૪૧।।

શોધી શત્રુનો કર્યો સંહાર, જીત્યા જન થયો જેજેકાર ।

પંચ વૈરી મુવે ગયું પાપ, એહ પ્રકટ પ્રભુનો પ્રતાપ ।।૪૨।।

એહ પંચવૈરી પરચંડ, જેને વશ છે પિંડ બ્રહ્માંડ ।

તેને જીતીને પામ્યા આનંદ, જેને સ્વામી મળ્યા સહજાનંદ ।।૪૩।।

પૂર્વછાયો-

સહેજે રહે સતસંગમાં, પંચ વરતને પરમાણ ।

કામ લોભ સ્વાદને, તજી સ્નેહ માન સુજાણ ।।૪૪।।

એહ રીત ત્યાગીતણી, એમ મુનિ રહે અનેક ।

હવે કહું સુણજ્યો સહુ, સાંખ્યયોગી બાઇયોની ટેક ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરમાની વ્રતમાન કહ્યું એ નામે એકસો ને દશમું પ્રકરણમ્ ।।૧૧૦।।