૩૮. વૃંદાવનમાં રામાનંદ સ્વામીને સાક્ષાત્ શ્રીકૃષ્ણના દર્શન તથા ઉદ્ધવસંપ્રદાય સ્થાપવાની આજ્ઞા,

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:17pm

પૂર્વછાયો-

શુભમતિ સહુ સાંભળો, એમ મળ્યા રામાનુજાચાર ।

જાગ્યા સ્વામી સ્વપ્ન થકી, ત્યારે કરવા લાગ્યા વિચાર ।।૧।।

આતે શું સાક્ષાત મળ્યા, કે આ શું થયું સ્વપ્ન ।

એમ વિચારતાં અંતરે, દીઠું પંચ સંસ્કારે તન ।।૨।।

ઉર્ધ્વપુંડ્ર દ્વાદશ દીઠાં, દીઠી કંઠમાં સુંદર દામ ।

મંત્ર કહ્યા તે હૈયે રહ્યા, ત્યારે માન્યા પૂરણકામ ।।૩।।

અંકિત અંગ જોઉ ઉમંગ, અતિશે આવ્યો મન ।

પ્રકટ ચિહ્ન દેખી પંડનાં, માન્યું મળશે નિશ્ચે ભગવન ।।૪।।

ચોપાઇ-

પછી રામાનંદ રાજી થઇ રે, કર્યોમંત્ર જાપ મૌન રઇ રે ।

બેઠા આસન અડગ વાળી રે, જોયું અંતરમાંહિ નિહાળી રે ।।૫।।

ભુલ્યા શરીરનું ભાન સ્વામી રે, વૃત્તિ અતિશે આનંદ પામી રે ।

દિઠું અંતરમાં તેજ અતિ રે, તે તેજમાંહિ દીઠી મૂરતી રે ।।૬।।

તેતો લક્ષ્મીનારાયણ કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે ।

અતિ સુંદર શોભાના ધામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।।૭।।

તેને પાયે લાગ્યા લળી લળી રે, પામ્યા અતિશે આનંદ વળી રે ।

થયા મગન મનમાં ઘણા રે, મળ્યા કૃષ્ણ રહી નહિ મણા રે ।।૮।।

જેવું હતું મને ચિંતવન રે, થયું તેવાનું તેવું દરશન રે ।

આપી એમ દર્શન દાન રે, પછી થયા છે અંતરધાન રે ।।૯।।

જાગ્યા સમાધિથી સ્વામી જયારે રે, અતિ આનંદ પામિયા ત્યારે રે ।

કહે ધન્ય ધન્ય છે આ ધામ રે, જેમાં પુરી થઇ મારી હામ રે ।।૧૦।।

પછી વચન ગુરૂનાં સંભારી રે, રહી ધર્મમાં ભક્તિ વધારી રે ।

રાખી શીલ શાંતિ દયા દલે રે, ક્રોધ કરે નહિ કોઇ પળે રે ।।૧૧।।

લોભ મોહ માન નહિ લેશ રે, કરે મુમુક્ષુને ઉપદેશ રે ।

કહે મંત્ર દોય તેને કાન રે, વળી કરાવે કૃષ્ણનું ધ્યાન રે ।।૧૨।।

થાય તેને દ્રષ્ણ કૃષ્ણતણું રે, તેણે મગન થયા મને ઘણું રે ।

થયા શિષ્ય આવી બહુ જન રે, સહુ માની સ્વામીનું વચન રે ।।૧૩।।

જુની જાયગાના જે રહેનાર રે, તેતો માને નહિ નરનાર રે ।

ત્યારે શ્રીવૈષ્ણવને રીસ ચડી રે, આવ્યા સ્વામી પાસળ તે ઘડી રે ।।૧૪।।

કહ્યું આજ કાલનો તું આવ્યો રે, આંહિ આવીને તું ઘણો ફાવ્યો રે ।

સર્વે લોકોને લીધા તેં વાળી રે, એવા રાંકશું અમને ભાળી રે ।।૧૫।।

માટે જીવ્યાનો ખપ હોય તારે રે, ભાગી જાજયે સમઝી સવારે રે ।

એમ કહી ઉત્તરાદિ ગિયા રે, ત્યારે સ્વામી મને વિચારિયા રે ।।૧૬।।

થાય ઉપાધિ આપણે માટ્ય રે, ત્યારે ઇયાં રહ્યામાં શું ખાટ્ય રે ।

કૃષ્ણપ્રિય જેહ વૃંદાવન રે, જાઇ તિયાં કરીએ આનંદ રે ।।૧૭

પછી ત્યાં થકી ચાલ્યા ઉમંગે રે, ચાલ્યા બીજા શિષ્ય બહુ સંગે રે ।

આવ્યા વૃંદાવન તેહ વાર રે, નિરખ્યા ગોવિંદજી કરી પ્યાર રે ।।૧૮।।

જોઇ મૂરતિ એ સુખખાણ રે, જાણ્યું કૃષ્ણ પ્રત્યક્ષ પ્રમાણ રે ।

પામ્યા આશ્ચર્ય વરણિ મન રે, વાધ્યો આનંદ થયા મગન રે ।।૧૯।।

પછી તે સ્થળે વાળી આસન રે, બેઠા સરલ રાખી સ્વામી તન રે ।

ગુરૂએ કહ્યા મહાનિધિ મંત્ર રે, જપે મનમાંઇ તે નિરંત્ર રે ।।૨૦।।

એકાગ્ર કરી મન આપ રે, કર્યો શ્રીકૃષ્ણ મંત્રનો જાપ રે ।

ત્યાંતો તર્ત સ્ફુર્યું તેજ અતિ રે, તેમાં દીઠા રમારાધા પતિ રે ।।૨૧।।

મનોહર મૂરતિ જે કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે ।

મુખ મોરલી ને ભુજા દોય રે, શ્યામ સુંદર નટવર સોય રે ।।૨૨।।

શોભે ભૂષણ મુગટ શિશે રે, ગળે વૈજયંતી માળા દિસે રે ।

એવા શ્રીકૃષ્ણ સ્વામીએ નિરખ્યા રે, નિરખી હૈયામાંહિ હરખ્યા રે ।।૨૩।।

દીઠી મૂરતિ તેજ દિનેશ રે, પછી બોલ્યા સ્વામી નામી શીશ રે ।

કહે ધન્ય આ રૂપ રસાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૪।।

કરે સ્તવન મને થઇ દીન રે, ઉભા આગળે થઇ આધીન રે ।

કહે લીધી અમારી સંભાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૫।।

તમે સંતની કરો છો સાય રે, વળી બહુનામી ગ્રહો છો બાંય રે ।

તેને મુકો નહિ કોઇ કાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૬।।

તમે સંત હિતે ધરી તન રે, કરી નિજજનની જતન રે ।

એવા કરૂણાનિધિ કૃપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૭।।

તમે દાસતણાં દુઃખ કાપી રે, કરો પ્રસન્ન દર્શન આપી રે ।

નિજજનના છો પ્રતિપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૮।।

તમે વ્રજજન હેત કાજ રે, આવ્યા વ્રજમાંહિ વ્રજરાજ રે ।

કર્યાં સુખિયાં ગોપી ગોવાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૯।।

એમ કયુર્ં સ્વામીએ સ્તવન રે, સુણી પ્રભુજી થયા પ્રસન્ન રે ।

માગો રામાનંદ મુજ પાસ રે, જેહ માગો તે પુરૂં હું આશ રે ।।૩૦।।

ત્યારે સ્વામી કહે દ્રષ્ણ તમારૂં રે, થાય મને હું જયારે સંભારૂં રે ।

વળી પૂજાની સામગ્રી લીજે રે, એવી કૃપા અમ પર કીજે રે ।।૩૧।।

વળી જેમ રાખો તેમ રહું રે, હું તો તમારે આશરે છઉં રે ।

કહે કૃષ્ણ ઉદ્ધવ છો તમે રે, ઇયાં શાપે આવ્યા તમે અમે રે ।।૩૨।।

માટે કાઢો સંપ્રદાય નવી રે, આજ થકી કહું છું ઉદ્ધવી રે ।

એમ કહી અંતર્ધાન થયા રે, સ્વામી જાગી બહુ હરખિયા રે ।।૩૩।।

પુરૂષોત્તમ કૃષ્ણને પામી રે, થયા પૂરણકામ તે સ્વામી રે ।

પછી જયારે જયારે કરે ધ્યાન રે, ત્યારે દેખે કૃષ્ણ ભગવાન રે ।।૩૪।।

વળી પૂજતા પ્રેમે પ્રતિમા રે, દેખે શ્રીકૃષ્ણને નિત્ય તેમાં રે ।

પૂજા હાર આપે જે જે પ્રીત્યે રે, લીયે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ નિત્યે રે ।।૩૫।।

તેણે પરમસુખ શાંતિ પામી રે, થયા મગન મનમાં સ્વામી રે ।

રહ્યા માસ એક વૃંદાવન રે, થયા શિષ્ય ત્યાં મુમુક્ષુ જન રે ।।૩૬।।

પછી ગુરૂની આજ્ઞા સંભારી રે, કૃષ્ણ ભક્તિ ભૂમિએ વધારી રે ।

ત્યાંથી બહુ શિષ્ય લઇ સંગે રે, ગયા પ્રયાગમાં ઉછરંગે રે ।।૩૭।।

તિયાં પણ કીધા શિષ્ય બહુ રે, જીત્યા આપે મતવાદી સહુ રે ।

રહ્યા કેટલાક માસ તિયાં રે, ભક્તિ ધર્મ દોય શિષ્ય થયાં રે ।।૩૮।।

એતો કથા મેં કહી છે આગે રે, તેતો સુણી સૌવે અનુરાગે રે ।

પછી જક્તગુરૂ સ્વામી જેહ રે, ફર્યા તીરથ સર્વે તેહ રે ।।૩૯।।

ત્યાંથી આવ્યા એ રૈવતાચળ રે, કૃષ્ણે ક્રીડા કરી છે જે સ્થળ રે ।

વર્ષ એક રહ્યા એણે ઠામ રે, કર્યાં મુમુક્ષુ જીવનાં કામ રે ।।૪૦।।

ત્યાગી ગૃહી વળી નરનાર રે, તે સ્વામીએ ઓધાર્યા અપાર રે ।

થયા શિષ્ય તે સવેર્આવી રે, તેને કૃષ્ણની ભક્તિ કરાવી રે ।।૪૧।।

સંપ્રદાયના મારગમાંઇ રે, રહ્યો તો જે અધર્મ છપાઇ રે ।

કાપી જડ તે અધર્મતણી રે, કૃષ્ણ ભક્તિ વિસ્તારી છે ઘણી રે ।।૪૨।।

એવા રામાનંદ સ્વામી જેહ રે, છે તો રામાનુજજીના તેહ રે ।

પણ રામાનુજના આશ્રિત રે, જાણી અવર ન કરી પ્રીત રે ।।૪૩।।

કહે રામાનુજના આ નહિ રે, એમ મનમાં માનિયું સહિ રે ।

એવું સ્વામીનું ચરિત્ર જેહ રે, કહ્યું પવિત્ર સહુને તેહ રે ।।૪૪।।

તે સ્વામીના સાધુ જે પંચાસ રે, નિવૃત્તિવાળા જગથી ઉદાસ રે ।

રામાનંદજીની આગન્યાયે રે, રહ્યા હતા ગામ લોજમાંયે રે ।।૪૫।।

તેમાં સુખાનંદ એક સંત રે, આવ્યા નાવા વાવ્યે ગુણવંત રે ।

નિરખ્યા નીલકંઠ ને ત્યાંઇ રે, થયા મગન અતિ મનમાંઇ રે ।।૪૬।।

તે દેખતાં દ્રગ ઠર્યાં દોય રે, કહે આવા મેં ન દીઠા કોય રે ।

પછી નમ્યા તે નમ્રતા આણી રે, અતિ દીનતાએ બોલ્યા વાણી રે ।।૪૭।।

ધન્ય વર્ણી કિયાંથી આવિયા રે, હવે જાવાનું ધાર્યું છે કિયાં રે ।

મોટાં ભાગ્ય થયાં દર્શન રે, તમને નિરખી હું થયો પાવન રે ।।૪૮।।

તમ જેવાનાં દર્શન ક્યાંથી રે, થોડે પુણ્યે કરી થાતાં નથી રે ।

કોઇ પૂરવ જન્મને પુણ્યે રે, થયાં દર્શન તમારાં મને રે ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદમુનિનું આખ્યાન કહ્યું એ નામે આડત્રિશમું પ્રકરણમ્ ।।૩૮।।