૯. અસુરોએ ફેલાવેલા અનાચાર,અત્યાચારનું વર્ણન

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:22pm

રાગ સામેરી-

શુભમતિ તમે સહુ મળી, સુંણો અદેવનો ઉપાય ।

વૈર જેને નથી વિસર્યું, છે શત્રુતા શ્રીહરિ માંય ।।૧।।

દેવાસુર સંગ્રામ માંહિ, હરિ સહાયથી મુવા અદેવ ।

તેણે કરી હરિ અરિ જાણી, તતપર થયા તતખેવ ।।૨।।

વળી દ્વાપર કળિની સંધે, આપે હણ્યા હરિએ અસંત ।

જે પશુ પક્ષી અજગર નરમાં, રહ્યાતા સંતાઇ અનંત ।।૩।।

જેને શ્રીકૃષ્ણે હાથે હણ્યા, તેતો પામિયા પદ નિર્વાણ ।

પણ જિયાં તિયાં યુધ્ધે મુવા, તે સર્વે થયા અસુરાણ ।।૪।।

અતિ વિષય વાસના વાળા, વૈર કૃષ્ણ સાથે વાળવા ।

અસદ્ગતિ પામી અવતર્યા, દૈત્ય હજારે હજાર હવા ।।૫।।

અસુર વૈરી આગલ્યા, આવ્યા અઘભર્યા અદેવ અતિ ।

ધર્મ હરિનો જનમ જાણી, પીડા કરવા છે મતિ ।।૬।।

દેવ દાનવ દૈત્ય દુષ્ટ, યક્ષ રાક્ષસ જે કહેવાય ।

વૈર વાળવા વેષ બદલી, રહ્યા ત્રણ સ્થળને માંય ।।૭।।

વામી શૈવી ને વૈષ્ણવી, દનુજે દીક્ષા લીધી કઇ ।

ધર્મનો અતિ દ્વેષ કરવા, સાધુ સરિખા થયા સઇ ।।૮।।

કેટલેક ધર્યા તન દ્વિજમાં, કેટલાક રાજામાં રહ્યા ।

કેટલાક વસિયા વૈશ્યમાં, કેટલાક શુદ્રમાં થયા ।।૯।।

ત્યાગી વૈરાગી તપસ્વી, કુંડ ઢુંઢ ને કબિરિયા ।

પીર ફકિર પંડિતમાં, દનુજ દેહ ધરી રહ્યા ।।૧૦।।

અધિપતિ એમાં થઇ, શિષ્યશાખા બહોળા કર્યા ।

નિઃશંક થઇ નર નારકી, અધર્મને અતિ આચર્યા ।।૧૧।।

પુંશ્ચલી સ્વૈરિણી કામિની, બળી બગાસે નારી નિસરી ।

એવા અસુર નર જેહ, તે બેઠા એ ત્રણ્યેને વરી ।।૧૨।।

જેવા અદેવ નર અભાગી, તેવી પત્નિયો તેને મળી ।

ધર્મનો અતિ દ્વેષ કરવા, વડો આગ્રહ માંડ્યો વળી ।।૧૩।।

કહે દેવ પિતૃના શ્રાદ્ધમાં, મદ્ય માંસ જેવું કાંઇ નથી ।

જો ઇચ્છો અચિર ફળ પામવા, તો પૂજજયો સહુ એહથી ।।૧૪।।

જિજ્ઞાસુ જીવ જગતમાં, દૈવીસર્ગના જે હતા ।

તેને એવો ઉપદેશ આપી, પાપીએ કર્યા પાપ કરતા ।।૧૫।।

ધર્મની ઓઠ્ય લઇ અધર્મી, ધિરવી ધન નારી હરે ।

શાસ્ત્રના અર્થ ફેરવી, પ્રેરે જેમ પોતે કરે ।।૧૬।।

કહે વેદમાં એહ ભેદ છે, પશુ મારી કરવો જગનને ।

વામ વારૂણી સંગ વિના, નહિ પામો આત્મદર્શનને ।।૧૭।।

પોતાના ઇષ્ટદેવ મંદિરમાં, દિયે પરત્રિયા ઋતુ દાન જો ।

એહ તુલ્ય કોઇ પુણ્ય નહિ, એહ મોટો ઉપકાર માનજયો ।।૧૮।।

એવી રીતે અસુર નર, ધર્મનું ખંડન કરે ।

વૈર છે જેને કૃષ્ણશું, એવે આદરે અહોનિશ ફરે ।।૧૯।।

વળી વર્ણાશ્રમમાં રહી, અસુર કરે છે અસુરપણું ।

શત્રુભાવ શ્રીકૃષ્ણ સાથે, વૈર વાવરે છે અતિ ઘણું ।।૨૦।।

દ્વિજકુળે જેણે તન ધર્યાં, તે મકાર મહાત્મ્ય કહે કથી ।

મદ્ય માંસ મૈથુન જેવું, કલ્યાણ અર્થે કોઇ નથી ।।૨૧।।

કહે વેદમાં એહ ભેદ છે, વળી ભ્રષ્ટ ભક્તિ છે બધી ।

અણસમજુ એમ જાણે જે, આ વણશી ગયા વટલી ।।૨૨।।

ઉત્તમ મધ્યમ માને અજ્ઞાની, પણ આત્માતો એક છે ।

તેમાં વર્ણાશ્રમ વિધિ, એજ મોટો અવિવેક છે ।।૨૩।।

એવો અસુર ઉપદેશ આપી, કાપી પાપીએ જડ ધર્મની ।

આપી મતિ અવળી અતિ, વાટ બતાવી કુકર્મની ।।૨૪।।

વળી અસુર અવતર્યા, ક્ષત્રિ કુળ માંહિ ખરા ।

દ્વેષી જેહ છે ધર્મના, તેણે પાપી કર્યા નારી નરા ।।૨૫।।

નરપતિ કુમતિ અતિ, પર પત્નિને પરાણે હરે ।

પ્રજા પીડે પાપી અતિ, ગતિ પારકા ઘરમાં કરે ।।૨૬।।

વિના વાંકે વાંક દઇને, પ્રજાને પીડે ઘણું ।

પ્રપંચ કરે ધન હરે, એમ કરે વિત્ત આપણું ।।૨૭।।

સબળ નિર્બળ ન્યાયમાં, અધર્મને આગળ કરે ।

લાંચ લઇ દોષ દઇ, ન્યાયનો અન્યાય કરે ।।૨૮।।

વેદ શાસ્ત્ર સંતની વળી, કુળ મર્યાદા નહિ રતિ ।

સત્યવાદી સંત દેખી, અંતરમાં દાઝે અતિ ।।૨૯।।

પાપ કરતા ધન હરતા, રમતા પરનારી સંગે ।

કપટી લંપટી કુડાબોલા, ગુહ્ય વારતા એવા સંગે ।।૩૦।।

પ્રભુપણું પોતામાં પરઠી, કૃષ્ણસમ ર્કીિત ગમે ।

રમણીને કહે રાધિકા, રસિયા થઇ પોતે રમે ।।૩૧।।

એમ અદેવ અરિપણું, પ્રગટ પાળે પ્રસિદ્ધ શું ।

ધર્મ ભક્તિ કૃષ્ણ સાથે, વૈર જેને બહુ વિધશું ।।૩૨।।

વળી વૈશ્ય જાતિમાં, અસુરજન જે અવતર્યા ।

વિશ્વાસઘાતી લખે પાતિ, કુડ કપટ દગે ભર્યા ।।૩૩।।

છળ કળ ને છેતરવું, દેશભાષાની જાણે કળા ।

ધર્મમાં નહિ ઢુકડા, અધર્મ કરવા ઉતાવળા ।।૩૪।।

શુદ્રમાં સંતાઇ રહ્યા, દૈત્ય દાનવ દગે ભર્યા ।

કૃષ્ણશું કલેશ કરવા, કઇક એમાં અવતર્યા ।।૩૫।।

અતિ પાપી માંસ સુરાપી, મારે પશુ વન ગામનાં ।

ખર સૂકર કુકર કપિ, કરિ ચકાસમ કામના ।।૩૬।।

જેવા એ વર્ણ તેવાજ આશ્રમ, પાપિના પાપી ગુરૂ ।

અધર્મને મહા ધર્મ માન્યો, વાત તેની હું શું કરૂં ।।૩૭।।

બ્રહ્મચારી ભંગી નવલ રંગી, સંગી ધન નારીતણા ।

પંચ કેશે ફરે વિદેશે, પિવે પ્યાલા મદ્યના ઘણા ।।૩૮।।

ગૃહી અતિ નિર્દય થઇ, અભ્યાગતનું અપમાન કરે ।

અન્ન ન આપે સામું સંતાપે, પેટ કુટુંબનું પોતે ભરે ।।૩૯।।

વાનપ્રસ્થ વિશ્વમાંહિ, ધર્મ કોઇ ધારતું નથી ।

અતિ કામી લુણહરામી, પાપી પરદારા પથી ।।૪૦।।

થઇ સંન્યાસી ફરે ઉદાસી, પ્યાસી પૈસા નાર્યના ।

કરી કાષાયાંબર સુંદર અંગે, હૈયે ભર્યા હિંગાર્યના ।।૪૧।।

મતિ મેલી અતિ ફેલી, શેલી ભુંશિ સિદ્ધ થયા ।

ધર્મહિણા બુદ્ધિક્ષિણા, દિલમાં ન મળે દયા ।।૪૨।।

કુપંથ કળિ કાળમાં, બગડેલ મત બોળા થયા ।

કુંડ ઢુંઢ ને જાુલાહ જેવા, કુમતિ મતિ ગ્રહિ રહ્યા ।।૪૩।।

વેદ વિપ્ર સંત શાસ્ત્ર, માને નહિ મૂઢમતિ ।

અવતાર સર્વે કહે ઓરા, પોતાનું આઘું અતિ ।।૪૪।।

પ્રભુનો પ્રતાપ મુકી, કર્મના ગુણ ગાય છે ।

અનેક જીવ કરી આગળ્યે, વળી જમપુરી જાય છે ।।૪૫।।

સુંદર નારી જોઇ સારી, વાતમાં લઇ વશ કરે ।

વિધવા શું વિહાર કરતા, મુર્ખ મનમાં નવ ડરે ।।૪૬।।

અતિપાપી પલ સુરાપી, ગર્ભ ગાળે વળી નારના ।

એવા જગતમાં સાધુ કહાવે, તે શબ્દ ઘા તરવારના ।।૪૭।।

અંતર ખોટા બાહેર મોટા, અધર્મ રહ્યા આચરી ।

એવે સાધુ નામને, ખોટ્ય મોટી દિધી ખરી ।।૪૮।।

નામ વૈરાગી વૈરાગ્ય નહિ, વાટે ઘાટે વશ્યા જઇ ।

ગુરુ થઇ દંભ ફુંક દઇ, એમ જીવ ઠગ્યા કઇ ।।૪૯।।

ડાહ્યા પ્રપંચ દંભમાં, માયા શિષ્યની લેવા સઇ ।

આશા તૃષ્ણા અતિઘણી, કામ ક્રોધ ઘટમાં કઇ ।।૫૦।।

ખબરદાર ખાન પાનમાં, દામ વામના ભુખ્યા ભમે ।

એવા અસુર ગુરુ થઇ, ધર્મને અહોનિશ દમે ।।૫૧।।

ભામિનિયોને ભાવતી, વળી ભક્ત ભક્તિ આદરે ।

ખેલ ઉત્સવ ઓસર મેળા, ભેળા થઇ ભુંડાઇ કરે ।।૫૨।।

ભક્તિ નામે ભષ્ટવાડો, આચરણ એ અસુર તણાં ।

નરનારી વિકાર વિના, ગોતતાં ન મળે ઘણાં ।।૫૩।।

અઘવંતા નર અતિ ઘણા, માત પિતા ગુરુના ઘાતકી ।

કુકર્મી કામી હરામી, કહીએ મહા પંચ પાતકી ।।૫૪।।

બેન બેટી માસી માતા, અનુજવધુ સુતપ્રિયા ।

ગોત્ર નારી નવ ગણે, અદેવ જગમાં એવા થયા ।।૫૫।।

ભ્રાત તાત કાકો મામો, કામે જુવે સુત કામિની ।

એવી કુલટા કરી અસુરે, ભવમાં બહુ ભામિની ।।૫૬।।

વિધવા નારી અપાર કામી, નર વિના નવ રહી શકે ।

વર્ષે વર્ષે ગર્ભ ગાળે, બિયે નહિ પાપ થકે ।।૫૭।।

એમ અસુર ઉપદેશથી, નરનારી નિયમમાં ન રહ્યાં ।

અન્યો અન્ય એબે ભર્યાં, સર્વે જન સરખાં થયાં ।।૫૮।।

ભલું કુળ બ્રાહ્મણ તણું, જેમાં સદ્ગ્રંથ અતિ નિર્મળા ।

તેમાં અસુર અવતરી, કર્યા ગ્રંથ અર્થ અવળા ।।૫૯।।

રૂડું કુળ રાજાતણું, જેમાં ભક્ત બહુ હરિના થયા ।

તેમાં દૈત્ય પ્રકટિને, અધર્મ સર્વે રાખી રહ્યા ।।૬૦।।

પુષ્ટિ કરવા પાપની, નવા ગ્રંથ નિપજાવીયા ।

સંસ્કૃત પ્રાકૃત શબ્દે, જીવ બહુ ભરમાવિયા ।।૬૧।।

એવે પાપે કરી પૃથ્વી, વારમવાર કંપે વળી ।

સત્ય ધર્મ તીર્થ દેવતા, પામ્યા પીડા સહુ મળી ।।૬૨।।

પડે દુકાળ બહુ દામિની, ચાલે વાયુવેગે વૃક્ષ પડે ।

એવા ઉપદ્રવ અતિશે, પ્રાણધારી સહુને નડે ।।૬૩।।

અતિપીડા અધર્મથી, ચરાચર સહુ પામિયા ।

ત્યારે ભક્તિ ધર્મ ઋષિ, પ્રકટ્યાં કરી દયા ।।૬૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે નવમું પ્રકરણમ્ ।।૯।।