ગઢડા અંત્ય ૧૮ : વાસના જીર્ણ થયાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:42am

ગઢડા અંત્ય ૧૮ : વાસના જીર્ણ થયાનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજના ભત્રીજા જે રધુવીરજી તેમણે પ્રશ્ર્ન પુછયો જે, “જેવી જાગ્રત અવસ્‍થાને વિષે જીવની સ્‍થ્‍િાતિ છે તેવી સ્‍વપ્ન અવસ્‍થાને વિષે કેમ રહેતી નથી ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જીવ જેવો જાગ્રત અવસ્‍થામાં રહે છે તેવો જ સ્‍વપ્ન અવસ્‍થાને વિષે રહે છે. કેમજે, જાગ્રત અવસ્‍થામાં જેવી વાસના હોય તેવી જ સ્‍વપ્ન અવસ્‍થામાં સ્‍ફુરે છે. ”

પછી નિર્લોભાનંદસ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! જાગ્રત અવસ્‍થામાં તો કોઈ દિવસ દીઠાંય ન હોય ને સાંભળ્‍યાં પણ ન હોય તેવાં તેવાં પદાર્થ સ્‍વપ્નમાં સ્‍ફુરી આવે છે તેનું શું કારણ હશે ? પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ન દીઠાં હોય ને ન સાંભળ્‍યાં હોય એવાં જે પદાર્થ સ્‍ફુરે છે. તે તો પૂર્વ જન્‍મનાં જે કર્મ તેની વાસનાએ કરીને સ્‍ફુરે છે.”

વળી અખંડાનંદ સ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! આ જીવને પૂર્વજન્‍મનાં જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ કયાં સુધી રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ જીવને જ્યારે સત્‍પુરુષનો સંગ થાય છે ત્‍યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના તે જુની થતી જાય, પછી એને જન્‍મમરણ ભોગવાવે એવી તે વાસના રહે નહિ. જેમ ત્રણ વર્ષની તથા ચાર વર્ષની જે જુની ડાંગર થઈ. પછી તે જમ્‍યામાં તો આવે ખરી પણ વાવે તો ઉગે નહિ, તેમ પૂર્વ કર્મની વાસના છે તે જીર્ણ થાય ત્‍યારે જન્‍મમરણ ભોગવાવે એવી રહે નહિ. ત્‍યારે કોઈક એમ પુછશે જે, “વાસના જીર્ણ થઈ કેમ જણાય ?” ત્‍યાં દ્ષ્‍ટંાત જેમ કોઈક પુરુષો ઢાલો તલવારો લઈને સામસામા લડાઈ કરતા હોય, તે જ્યાં સુધી સામસામા એમને એમ ઉભા રહે ત્‍યાંસુધી એ બેયનું બળ બરોબર જણાય, અને જ્યારે એક જણાનો પગ પાછો હઠયો ત્‍યારે એ હાર્યો કહેવાય. તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી ને વિષય સંબંધી જે સંકલ્‍પ તે જ્યાંસુધી તુલ્‍યપણે વર્તતા હોય ત્‍યાંસુધી એમ જાણવું જે, “વાસના બળવાન છે.” અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્‍પ તે વિષય સંબંધી સંકલ્‍પને હઠાવી દે ત્‍યારે એમ જાણવું જે, “વાસના જીર્ણ થઈ ગઈ છે.”

પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્‍યે પુછયું જે, “જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચ વિષયનો અભાવ થઈ ગયો હોય, તે બીજા સર્વ ભક્તને કેમ કળ્‍યામાં આવે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! આ તમારા પ્રશ્ર્નનો ઉત્તર અમારાથી નહિ થાય, માટે તમે કૃપા કરીને કરો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનો ભક્ત ગૃહસ્‍થાશ્રમી હોય અથવા ત્‍યાગી હોય ને તેને દેહાભિમાન તથા પંચવિષયમાંથી આસકિત તે તો નિવૃત્ત થઈ ૨હોય પછી પરમેશ્વરની આજ્ઞાએ કરીને જેવી રીતે ધટે તેવી રીતે દેહાભિમાન પણ રાખ્‍યું જોઈએ, અને જેમ જેને યોગ્‍ય હોય તેમ પંચવિષય પણ ભોગવ્‍યા જોઈએ. ત્‍યાં દૃષ્ટાંત – જેમ અતિશય દુબળું ઢોર હોય તેને હેઠે લાકડાં ભરાવી ને શિંગડે પુંછડે ઝાલીને ઉભું કરે, તે જ્યાં સુધી એ માણસ ઝાલી રહે ત્‍યાં સુધી ઉભું રહે અને જ્યારે માણસ મુકી દે ત્‍યારે પૃથ્‍વી ઉપર પડી જાય, તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞાએ કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલીજ ક્રિયાને કરીને રહેવા દે, જેમ કોઈક પુરુષના હાથમાં તીર કમાન હોય તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્‍યાં સુધી એ કમાન કરડી થાય, અને જ્યારે એ પુરુષ કમાનને ખેંચતો આળસી જાય ત્‍યારે એ કમાન ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્‍યવહારમાં જોડાય પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે; અને જે સવાસનિક હોય તે તો જે જે વ્‍યવહારમાં જોડાયો હોય તે વ્‍યવહારમાંથી પોતાની મેળે છુટી શકે નહિ. અને પરમેશ્વરની આજ્ઞાએ કરીને પણ છુટી શકે નહિ. એવી રીતે નિર્વાસનિક પુરુષ અને સવાસનિક પુરુષનાં લક્ષણ છે.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૮|| ૨૫૨ ||