વરતાલ ૭ : દૈવી, આસુરી જીવના લક્ષણનું – અન્વય વ્યતિરેકનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:39am

વરતાલ ૭ : દૈવી, આસુરી જીવના લક્ષણનું – અન્વય વ્યતિરેકનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને હરિભક્ત પરસ્‍પર ભગવદ્વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નીસર્યો જે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય, ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્‍યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આસુરી જીવ તો દૈવી ન જ થાય. કેમ જે એ તો જન્‍મથીજ આસુરભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે આસુરી જીવ સત્‍સંગમાં આવી પડયો તો પણ આસુરભાવ તો ટળે નહિ, પછી સત્‍સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મુકે ત્‍યારે ૨બ્રહ્મને વિષે લીન થાય ને વળી પાછો નીકળે. એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીસરે ત્‍યારે એનો આસુરભાવ છે તે નાશ પામે પણ તે ૪વિના આસુરભાવ નાશ પામે નહિ.”

પછી શોભારામ શાસ્‍ત્રીએ પ્રશ્ર્ન પુછયો જે,”હે મહારાજ ! ૫ભગવાનનું અન્‍વયપણું કેમ છે ને વ્‍યતિરેકપણું કેમ છે? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અન્‍વયવ્‍યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્‍વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિષે વ્‍યતિરેક રહ્યા છે એમ નથી, એ તો ભગવાનનું સ્‍વરૂપ જ એવું છે જે માયામાં અન્‍વય થયા થકા પણ વ્‍યતિરેક જ છે. પણ ભગવાનને એમ બીક નથી. જે ‘રખે હું માયામાં જાઉ ને અશુદ્ધ થઈ જાઉ’ ભગવાન તો માયાને વિષે આવે ત્‍યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને ચોવીશ તત્ત્વને વિષે આવે તો ચોવીશ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે “ધામ્‍ના સ્‍વેન સદા નિરસ્‍તકુહકં સત્‍યં પરં ધીમહિ” ઈત્‍યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્‍વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્‍યારે તે વૃક્ષનાં ડાળ,પાંદડાં ફુલ, ફળ, એ સર્વેને વિષે આકાશ અન્‍વય થયો પણ જ્યારે વૃક્ષને કાપે ત્‍યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્‍યારે આકાશ બળે નહિ. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્‍વય થયા થકા પણ આકાશની પેઠે વ્‍યતિરેક જ છે, એમ ભગવાનના સ્‍વરૂપનું અન્‍વયવ્‍યતિરેકપણું છે. ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૭|| ૨૦૭ ||