ગઢડા મઘ્ય ૧૩ : તેજનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:35am

ગઢડા મઘ્ય ૧૩ : તેજનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદિ અમાવાસ્‍યાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળા ઉપર  વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પોતાના બે ભુજ ઉચા ઉપાડીને સર્વેને છાના રાખ્‍યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્‍તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્‍યે શ્રીજીમહારાજ એમ બોલતા હવા જે, ” હે સંતો ! જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો, ને આ એક વાત કરૂં છું તે સર્વે ચિત્ત દઇને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઇ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારૂં નથી કરવી. એતો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઇને સમજાઇ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારૂં કરીએ છીએ. અને આજે વાત છે તે મારી દીઠેલ છે ને મારાઅનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, મારે સહજ સ્‍વભાવે એમ વર્તે છે જે, આ સંસારને વિષે જે, અતિ રૂડો શબ્‍દ તથા અતિ રૂડો સ્‍પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચવિષય તેમાં હું મારા મનને બાંધવાને ઇચ્‍છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય તે બેય સમ વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે, અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરૂં લઇને માગી ખાવું તે પણ સમ વર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે, અને કોઇક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ધરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમ વર્તે છે. અને કોઇક માન આપે તથા કોઇક અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે, તથા સોનું, રૂપુ, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધાય હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંત:કરણને વિષે અતિ તીવ્ર વૈરાગ્‍ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઇકે માથે પાણો ઉપાડયો હોય તથા રૂપિયા ને સોનામહોરની વાંસળી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો, તથા મારે વિષે જ્ઞાન છે જે ‘હું બ્રહ્મ છું’ તેનો પણ ભાર નથી જણાતો, અને આ જે હું ઉપર થકી કોઇક પદાર્થને વખાણું છું ને કોઇક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરૂં છું અને જે જે પદાર્થને વિષે ઇન્‍દ્રિયોની વૃત્તિને બળાત્‍કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્‍મુખ રહે છે, અને જ્યારે ઢીલી મેલું છું ત્‍યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિષે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્‍યાં સુધીજ આકાશને વિષે રહે, ને પછી પાછો પૃથ્‍વીને વિષે આવીને પડે છે. અને જેમ પુંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્‍કારે કરીને જ્યાં સુધી ઉચું ઝાલી રાખે ત્‍યાં સુધી રહે ને જ્યારે મુકી દે, ત્‍યારે ધબ લઇને પડી જાય, અને જેમ કોઇક પુરૂષ સુઝે એટલો બળિયો હોય ને દાંતે કરીને આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરૂષને દશવીશ કાગદી લીંબુ ચુસાવ્‍યાં હોય, પછી તે શેકેલા ચણા પણ માંડમાંડ ચાવે. તેમ વિષય સન્‍મુખ બળાત્‍કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડમાંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે ? તો મારી ઇન્‍દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ છે તેને વિષે વર્તે છે અને તે હૃદયાકાશને વિષે અતિશે તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિષે આકાશમાં વાદળાં છાઇ રહ્યાં હોય, તેમ મારા હૃદયને વિષે એકલું તેજ વ્‍યાપી રહ્યું છે. અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે. અને તે મૂર્તિ ધનશ્‍યામ છે તો પણ અતિશે તેજે કરીને શ્‍યામ નથી જણાતી, અતિશે શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશે મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્‍ટ ભુજ કે સહસ્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્‍ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે, ને કિશોર છે, તે એ મૂર્તિ કયારેક તો એ તેજમાં ઉભી દેખાય છે ને કયારેક બેઠી જણાય છે ને કયારેક હરતીફરતી દેખાય છે અને એ મૂર્તિને ચારે કોરે મુક્તનાં મંડળ ભરાઇને બેઠાં છે તે સર્વે  મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઇ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્‍સંગમાં નહોતા આવ્‍યા ત્‍યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્‍યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્‍યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્‍યાંજ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઇ દેખાતું નથી. અને જ્યારે એ સ્‍વરૂપ જેને જાણ્‍યામાં આવે, તેને જેમ અમને કોઇ વિષય સંબંધી સુખમાં આસકિત નથી, તેમ તે પુરૂષને પણ કયાંઇ આસકિત રહે જ નહિ. અને તે સ્‍વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાત સમજ્યામાં આવશે, ત્‍યારે પંચવિષય કે કામ ક્રોધાદિક સ્‍વભાવ તે જીત્‍યામાં પ્રયાસ થશે નહિ, સહેજે જીતાઇ જશે. અને એ જે એકરસ તેજ છે તેને આત્‍મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્‍માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરૂષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને પોતાની ઇચ્‍છાએ જીવોના કલ્‍યાણને અર્થે યુગ યુગને વિષે પ્રકટ થાય છે. તે ભગવાન આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે:-

“ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક: | યદ્ગત્‍વા ન નિવર્તન્‍તે તદ્ધામ પરમં મમ ||”

માટે શ્રીકૃષ્ણભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તોપણ અક્ષરાતીત કૈવલ્‍ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ઘ્‍યાન કરે ત્‍યારે એ ઘ્‍યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિષે કૈવલ્‍ય સ્‍વરૂપે ભાસે છે અને ઘ્‍યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે તો પણ કૈવલ્‍યરૂપે જ છે અને તે ભગવાન જે જગ્‍યામાં વિરાજતા હોય તે જગ્‍યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનનાં વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્‍વરૂપ જાણ્‍યું તેને અમારી પેઠે જ પંચવિષયમાં કયાંઇ પ્રીતિ રહેતી નથી, ને તે સ્‍વતંત્ર થાય છે.

અને એ અક્ષરાતીત જે પુરૂષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરૂષોત્તમમાંથી પ્રકટ થાય છે અને પાછા પુરૂષોત્તમને વિષે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતધર્ાન થાય છે ત્‍યારે તે જે ભગવાનની મૂર્તિ તે કયારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્‍વીને વિષે પડી રહે છે, તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિ ખોળામાં લઇને રૂકિમણીજી બળી મુવાં તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિષે બળી ગયો. એમ પણ થાય અને કયારેક તો હાડમાંસ સહિત દિવ્‍ય ભાવ પામીને કાંઇ રહે નહિ, અંતધર્ાન થઇ જાય. અને જ્યારે પ્રકટ થાય ત્‍યારે પણ કયારેક તો સ્‍ત્રી થકી જન્‍મ ધરે, ને કયારેક તો પોતાની ઇચ્‍છામાં આવે ત્‍યાં થકી પ્રકટ થઇ આવે છે; એમ એ ભગવાનના જન્‍મ ને દેહ મુકયાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્‍વરૂપ છે તેને દઢ કરીને સમજશો, ત્‍યારે તમને કોઇ પ્રકારનું વિઘ્‍ન કલ્‍યાણના માર્ગને વિષે નહિ થાય, ને એ ભગવાનના સ્‍વરૂપની દઢતા વિના તો ગમે તેટલો ત્‍યાગ રાખો, ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઇ રીતે ખામી ભાંગશે નહિ. અને તમે એમ કહેશો જે, ‘અમને તો એ સ્‍વરૂપની તમે જેમ કહો છો તેમ દઢતા છે, તો પણ પ્રાણ ઇન્‍દ્રિયો કેમ લીન નથી થતાં ?’ તો એ તો પરમેશ્વરની ઇચ્‍છાએ એમ રહ્યું છે. એમ સમજવું.પણ તેને કાંઇ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે, અને એ તો સર્વ સાધનના અંતને પામ્‍યો છે. અને જો ભગવાનના સ્‍વરૂપની આવી રીતે દઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિ:સ્વાદ અને નિ:સ્‍નેહ એમાં કાંઇક થોડી ઘણી કાચ્‍યપ રહી જાય તો તેની કાંઇ ચિંતા નથી. પણ ભગવાનના સ્‍વરૂપમાં જો કોઇ રીતની સમજ્યામાં કસર રહી તો કોઇ રીતે વાંધો ભાંગશે નહિ. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્‍ય સમજાય તેવો ઉપાય કરવો.

અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઇક પ્રારબ્‍ધ કર્મને વશ થઇને જો કોઇક નીચ ઉચ્‍ચ દેહની પ્રાપ્‍તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહિ તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્‍યો તો પણ પૂર્વજન્‍મનું જ્ઞાન ટળ્‍યું નહિ, એવું આ જ્ઞાનનું અતિશે માહાત્‍મ્‍ય છે. અને નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આજ વાર્તા થાય છે. અને આવી ભગવત્‍સ્‍વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ. અને સદ્ગ્રંથોમાં આવી વાર્તાતો હોય પણ જ્યારે સત્‍પુરૂષ પ્રકટ થાય છે, ત્‍યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્‍વરૂપ સમજ્યામાં આવ્‍યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિષે દૃષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઇ ગર્વ હોય નહિ. અને કોઇને વર કે શાપ દે નહિ અને કોઇ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા. અને કોઇ ઠેકાણે નિર્ભય રહે અને કોઇ ઠેકાણે બીવે પણ ખરા. પણ તેણે કરીને પોતે કાંઇ હર્ષશોક મનમાં લાવે નહિ. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહિ, પણ કદાચિત્ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને જો કાંઇક અવળું કર્મ થઇ જાય તો પણ તે દઢ આશ્રયવાળો કલ્‍યાણના માર્ગ થકી પડી જાય નહિ. માટે એ જે ભગવાનનો દઢ આશ્રય છે એવો નિર્વિઘ્‍ન માર્ગ કોઇ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેને તો અતિ મોટો આશય હોય, જુવોને અમારે પરમહંસ તથા સત્‍સંગી સમસ્‍ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. તો પણ કોઇને બોલાવીએ છીએ, કોઇકને વઢીએ છીએ, કોઇને કાઢી મુકીએ છીએ તેનું એ જ પ્રયોજન છે જે, ‘કોઇ રીતે આ વાત સમજાય તો બહુ સારૂં થાય’ માટે આ વાર્તા છે તે સર્વે દઢ કરીને રાખજ્યો અને જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્‍યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો જે, ‘અક્ષરરૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે.’ એમ જાણશો તો પણ તમારે મારે વિષે હેત રહેશે. તેણે કરીને તમારું પરમ કલ્‍યાણ થશે. અને આ વાતને નિત્‍યે નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં. આજ છે તેવીજ કાલ નવી રાખજ્યો, અને તેવી જ દેહનો અંત થાય ત્‍યાં સુધી પણ દિન દિન પ્રત્‍યે નવી ને નવી રાખજ્યો. અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિષે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્‍યાં સુધી પણ નિત્‍ય પ્રત્‍યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે, ને અનુભવમાં પણ એમ જ દઢ છે અને અમે પ્રત્‍યક્ષ નજરે જોઇને તમને આ વાત કહી છે અને જો પ્રત્‍યક્ષ જોઇને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરૂષોત્તમપણાની વાર્તા કરી તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે, ‘જે તેજને વિષે મૂર્તિ કહી તેજ આ શ્રીજી મહારાજ પ્રત્‍યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૧૩|| ૧૪૬ ||