ગઢડા પ્રથમ – ૫૬ : પોલા પાણાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:19am

ગઢડા પ્રથમ – ૫૬ : પોલા પાણાનું

સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સાંઝને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજ-માન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન કસુંબલ રેંટો ઓઢયો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી અને નારાયણ ધુન્‍ય કરીને મુનિ ઝાંઝ, મૃદંગ લઇને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન રાખો, અને ઘડીક પ્રશ્ર્ન ઉત્તર કરીએ” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો હું પ્રશ્ર્ન પુછું છું જે,” “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્‍વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્‍વરૂપ વિના બીજી મનમાં કાંઇ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે, તેને ભગવાનનો નિશ્વય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઇ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઇ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્‍યવાન હોય અને જો તે વૈરાગ્‍યને યોગે અહંકારે યુક્ત વર્તે તો, એ પણ એને વિષે મોટી ખોટ છે, અથવા અત્‍યંત આત્‍મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાનને વિષે દૃઢ ભકિતનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીન વચન બોલાય નહિ, તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ શલાટ કુવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો શલાટ એમ કહે જે, “પાણી ધણું થશે” અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્‍યારે અગ્‍નિ ઝરે તો શલાટ એમ કહે જે, “આ કુવામાં પાણી થશે તો અર્ધા કોશનું કે પા કોશનું થશે પણ વધુ નહિ થાય,” તેમ જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તેના માનમાં જે અટંટ રહે, તો એ મોટો તો કહેવાય, પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે, માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત તથા બીજા કોઇ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહિ. તો એ પુરૂષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણનારાયણ તે પ્રસન્ન થઇને નિવાસ કરીને રહે છે.”

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે, તે માનને કયા ઉપાયે કરીને ટાળવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનના ભક્તનું માહાત્‍મ્‍ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્‍કાર કરે, તથા તેમની સેવાચાકરી કરે અને જો હૈયામાં માનનો સંકલ્‍પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશે પ્રેમલક્ષણા ભકિત હોય અને તે ભકિતએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભકિતનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે, અને આત્‍મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્‍યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્‍મ બુદ્ધિને જ દૃઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઇ પ્રકારે અભિમાન રાખવું નહિ એજ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દષ્‍ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે, ત્‍યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે, ત્‍યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્‍ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઇ પ્રકારનું માન ઉદય થવા દેવું નહિ અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત હોય તો, જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્‍યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિતમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે, તેમ તેમ એ ત્રણે ઓછાં થતાં જાય છે; માટે માન રહિત જે જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તે તો સોળવલા સોના જેવાં છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહિ. ત્‍યાં દૃષ્ટાંત છે. જેમ “પચાસ કોટિ યોજન પૃથ્‍વી, તે સમુદ્ર, પર્વત અને સર્વ ભૂતપ્રાણીમાત્ર તેનો આધાર છે માટે ઘણી બળવાન જણાય છે અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે, જે જળને વિષે પૃથ્‍વી છાણાની પેઠે તરે છે અને જળ થકી તેજમાં ધણું બળ જણાય છે. અને તેજ થકી વાયુમાં ધણું બળ જણાય છે. અને આકાશનું તો કાંઇ બળ જણાતું નથી પણ આકાશ સર્વેથી બળવાન છે કાં જે એ ચારેનો આકાશ આધારરૂપ છે.” તેમ માનરહિત જે એ ભક્તનાં જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તે આકાશ સરખાં બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહિ પણ નિર્માની ભક્ત તે સર્વેથી શ્રેષ્‍ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઇ માનનો ઘાટ સંકલ્‍પ હોય નહિ. તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્‍ઠા થતી હોય, પણ બાળકની પેઠે માન રહિત વર્તવું.

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ઇન્‍દ્રિયો, અંત:કરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ એ ત્રણ અવસ્‍થા તથા સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્‍વરૂપ ન્યારૂં છે, એવું સત્‍સંગમાંથી સાંભળીને દૃઢ નિશ્વય કર્યો છે, તોય પણ ઇન્‍દ્રિયો, અંત:કરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્‍મા તે પરમાત્‍માનું ભજનસ્‍મરણ કરતો થકો સંકલ્‍પને યોગે કરીને દુ:ખિયો કેમ થઇ જાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, કેટલાક સિદ્ધ થાય છે, ને કેટલાક સર્વજ્ઞ થાય છે, ને કેટલાક દેવતા થાય છે. ઇત્‍યાદિ અનંત પ્રકારની મોટયપ પામેછે તથા પરમપદને પામેછે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઇ વાત સિદ્ધ થતી નથી, માટે શાસ્ત્રમાંથી આત્‍મા અનાત્‍માની વિકિત સમજીને અથવા કોઇક મોટા સંતના મુખથી વાત સાંભળીને, જાણે જે “હું આત્‍મા અનાત્‍માની વિકિત કરી લઉ” પણ એમ વિકિત થતી નથી. એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્‍ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્‍ઠા હોય, તેટલોજ આત્‍મા અનાત્‍માનો વિવેક થાય છે પણ ઇષ્‍ટદેવના  બળ વિના તો કોઇ સાધન સિદ્ધ થતાં નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભકિત છે, તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયાં છે અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ,શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે પણ એની એ મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે અને મૃત્‍યુલોકને વિષે ભગવાનની મનુષ્ય સેવા કરે છે અને દીવો કરે ત્‍યારે એને આગળ પ્રકાશ થાય છે પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્‍યા એવા એ ભગવાન છે અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઇ જાય છે, ત્‍યારે આ પ્રગટ ભગવાન છે તેજ એક રહે છે. અને પછી સૃષ્‍ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરૂષદ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એજ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એજ આત્‍મા અનાત્‍માના વિવેકનું કારણ છે અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્‍મ્‍યે સહિત ભગવાનને વિષે નિષ્‍ઠા છે, તેટલોજ એ ભક્તના હૃદયમાં વૈરાગ્‍ય આવે છે માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે, ”ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને ‘સ્‍વામિનારાયણ’ એવા નામનું ઉચ્‍ચારણ થાય, તો તે સર્વ પાપ થકી છુટીને બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે?” એમ માહાત્‍મ્‍ય સમજે તે સારૂં જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્‍સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૬||