ગઢડા પ્રથમ – ૪૪ : બળબળતા ડામનું, ડગલાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:08am

ગઢડા પ્રથમ – ૪૪ : બળબળતા ડામનું, ડગલાનું

સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૮આઠમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં, શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે, ઓટા મઘ્‍યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને તે ફેંટાને એક આંટે કરીને બોકાની વાળી હતી, ને તે પાઘ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનને વિષે સ્‍નેહ હોય તેનું શું રૂપ છે?” પછી બ્રહ્માનંદ સ્‍વામીએ સ્‍નેહનું રૂપ કરવા માંડયું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, તમને તો સ્‍નેહની દિશજ જડી નહિ, અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિસ્‍પૃહ રહેવું તેને સ્‍નેહ કહ્યો, એ સ્‍નેહનું રૂપ નહી, એ તો વૈરાગ્‍યનું રૂપ છે. અને સ્‍નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્‍મૃતિ રહે. એનું નામ સ્‍નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્‍નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્‍પજ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્‍નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્‍નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઇક ઘાટ થાય તો, જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઇક કાંકરા તથા ધુળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે. તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય, તેને ભગવાનને વિષે પ્રીતિ છે એમ જાણવું, તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો, જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઇ આવશે.”

પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “એવી દઢ પ્રીતિ ભગવાનને વિષે થાય તેનું શું સાધન છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સત્‍પુરૂષનો જે પ્રસંગ એજ પરમેશ્વરને વિષે દઢ પ્રીતિ થવાનું કારણ છે, ત્‍યારે સોમલો ખાચર બોલ્‍યા જે, “એવો પ્રસંગ તો અતિશે કરીએ છીએ, પણ એવી દઢ પ્રીતિ કેમ થતી નથી?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પ્રસંગ તો કરો છો, પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો અને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિષે દઢ પ્રીતિ થતી નથી.”

પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! દેહ અને દેહના સંબંધીને વિષે અહં મમત્‍વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એતો એ જીવને વિપરીત ભાવના થઇ છે જે, પોતાને દેહથી પૃથક્ જે જીવાત્‍મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે” અને એ જીવાત્‍માને વિષે દેહ તો કેવી રીતે વળગ્‍યો છે તો જેમ કોઇક પુરૂષ હોય તેણે દરજીને ઘેર જઇને ડગલો શિવાડીને પહેર્યો ત્‍યારે તે એમ માને જે, દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે’ એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો, તે કયારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્‍પન્ન થાય છે અને કયારેક તો નીચ જાતિમાંથી ઉત્‍પન્ન થાય છે. તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્‍પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને અને દેહનાં માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો, અને  ચોરાશી લાખ જાતનાં જે પોતાની મા, બેન, દીકરીઓ અને સ્‍ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સગપણને સાચું માને છે, તેને અહંમમત્‍વના ઘાટ કેમ ટળશે.?

અને આવી રીતની સમજણ વિના, જન્‍મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્‍યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઇને ફરે છે, ત્‍યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી. માટે દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્‍વનો ત્‍યાગ કરીને, અને પોતાના આત્‍માને બ્રહ્મરૂપ માનીને, ને સર્વ વાસનાનો ત્‍યાગ કરીને, સ્‍વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે, તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્‍યું તેને ને પુરૂષોત્તમ ભગવાનને કાંઇ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે “મારે વર્ણાશ્રમનું લેશ માત્ર પણ માન નથી” એવી રીતે શ્રીજી મહારાજ બોલ્‍યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે. એમ જાણવું. અને પોતે તો સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૪||