૧૫૯. ગોલોક ધામનું વર્ણન.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:52pm

પૂર્વછાયો- ધન્યધન્ય જન એ સર્વને, જેને મળ્યા શ્રીમહારાજ ।

દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટ્યે નોય અકાજ ।।૧।।

જાણ્યે અજાણ્યે જોડિયા, જેણે હરિ આગળ હાથ ।

માહાત્મ્ય તેનું હું શું કહું, તે ન હોય કેદિ અનાથ ।।૨।।

દરશ સ્પરશ પૂજા કરી, ધારી નિયમ જે નરનાર ।

વાસી તે સ્વર્ગ વૈકુંઠના, શ્વેતદ્વીપ ગોલોક રહેનાર ।।૩।।

ધર્મ નિયમમાં દૃઢ ઘણા, એકાંતિક જન જેહ ।

તેની પ્રાપ્તિ વર્ણવી, કહું સાંભળજયો સહુ તેહ ।।૪।।

ચોપાઇ- એવા સતસંગી નરનારી રે, અતિદૃઢ ધર્મ નિમધારી રે ।

તેને આવશે અંત્યે મહારાજ રે, પોત્યે આવે છે તેડવા કાજ રે ।।૫।।

તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઇ શુદ્ધ અંગે રે ।

શ્રીગોલોક ગુણાતીત જેહ રે, માયાતમ પાર ધામ તેહ રે ।।૬।।

અચળ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રીરાધાકૃષ્ણ રહે તેહમાંય રે ।

અતિ અનુપમ ધામ એહ રે, પામે ઉદ્ધવાશ્રિત જન જેહ રે ।।૭।।

એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રીકૃષ્ણની ઇચ્છાય રે ।

જીયાં વિરજા નદી ખાઇરૂપ રે, જેના બેઉ કાંઠા છે અનુપ રે ।।૮।।

તેમાં મણિતણી ખાણો ઘણી રે, પદ્મરાગ સ્ફાટિક નીલમણિ રે ।

મણિમય પગથિયાં શોભે રે, તિયાં તરૂ વેલ્યે મન લોભે રે ।।૯।।

બહુ ઘાટ બાંધ્યા છે સુવર્ણે રે, ઝગે નંગ જાુવે જાણુ નેણે રે ।

તિયાં ગોપ ગોપી કરે સ્નાન રે, હૃદે રાધાકૃષ્ણનું છે ધ્યાન રે ।।૧૦।।

કનક કળશે ભરે કઇ નીર રે, તેની ભિડ્ય બહુ વિરજા તીર રે ।

ગઉધણ પિવા આવે વારી રે, તેણે પણ ભિડ્ય રહે ભારી રે ।।૧૧।।

વળી તીરે શ્રીકૃષ્ણને કાજે રે, રમણ સ્થાનક દિવ્ય સમાજે રે ।

વિરજાપાર શતશૃંગ ગિરિ રે, રહ્યો ગોલોકને કોટ કરી રે ।।૧૨।।

ઉંચો કોટિ જોજન તે કહીએ રે, તેથી દશગણો પોળો લહીએ રે ।

પારિજાતકાદિ તરૂ બહુ રે, ઘણા ગોવાળ જયાં ઘણી ગઉ રે ।।૧૩।।

રાસમંડળ એ ગિરિપર રે, રમે શ્રીકૃષ્ણ જયાં રંગભર રે ।

રાસમંડળ દશ જોજનમાં રે, ચારે દ્વાર આપે મુદ મનમાં રે ।।૧૪।।

રાસમધ્યે ગાય ગોપી ગીત રે, અતિમનોહર ચોરે ચિત્ત રે ।

તિયાં સર કૂપ વાવ્ય ભરી રે, શોભે મણિમય પગથિયે કરી રે ।।૧૫।।

ગિરિઝરે કરે ભૃંગ ગાન રે, જાણ્યું ગુણી ગાય ત્રોડે તાન રે ।

ફુલવાડી ઉપવન સાર રે, રાસમંડપ પાસે અપાર રે ।।૧૬।।

રાસમંડળે મંડપ ઘણા રે, રચ્યા પંચરંગ મણિતણા રે ।

તેપર કળશ કનકના શોભે રે, ધ્વજા પતાકા જોઇ જન લોભે રે ।।૧૭।।

બાંધ્યાં તોરણ આશો આમ્રનાં રે, કર્યાં ખગ ને મૃગ ચિત્રનાં રે ।

તિયાં કેળના સ્તંભ કસ્તુરી રે, ચર્ચ્યાં અગરચંદન રહ્યાં સ્ફુરી રે ।।૧૮।।

ભર્યાં કુંભ અક્ષત અંકુર રે, કુંકુમ દુર્વાદિયે મુદ ઉર રે ।

એવાં રમવા ભુવન ઘણાં રે, શ્રીકૃષ્ણ ને ગોપીયો તણાં રે ।।૧૯।।

વસન ભૂષણ પહેર્યાં ગોપી ગોપે રે, નવ જોબને રાસમાં ઓપે રે ।

પુષ્પશય્યાઓ કુંજ કોટિ રે, ગિરિ વિંટ્યો વિરજાને નીરે રે ।।૨૦।।

ગિરિમાંહી શ્રીવૃંદાવન રે, રાધાકૃષ્ણને વાલું જે મન રે ।

બહુભાત્યનાં વૃક્ષ છે તિયાં રે, તેને શું કહું વર્ણવી ઇયાં રે ।।૨૧।।

ફુલ વેલી તિયાં બહુ ફુલી રે, સ્થળ કમળે રહ્યાં ભૃંગ ઝુલી રે ।

તિયાં મૃગગણ છે અપાર રે, કોઇ કેને ન આપે અજાર રે ।।૨૨।।

રત્ન ધૂપ દીપ ગેહગેહ રે, તેણે શોભે વૃંદાવન તેહ રે ।

વાવ્ય કુવા તળાવ ત્યાં બહુ રે, શોભે કમળ પોયણે સહુ રે ।।૨૩।।

તિયાં અતિસુગંધી સમાજે રે, એહ વૃંદાવન અતિ રાજે રે ।

તિયાં મીઠિ વાણ્યે પંખી બોલે રે, કૃષ્ણસ્તુતિ કરે મુનિતોલે રે ।।૨૪।।

ગાય ગોપીયો ગોપ વૃંદાવને રે, એ વન વાલું છે કૃષ્ણને મને રે ।

વત્સ વૃષભ ગઉ દોહન રે, બંશી ગાને શોભે વૃંદાવન રે ।।૨૫।।

તેહ મધ્યે છે બીજાં બત્રિશ રે, વન ફળ ફુલે શોભે હમેશ રે ।

એવું વૃંદાવન જે અશોક રે, તેહ મધ્યે છે શ્રીગોલોક રે ।।૨૬।।

કોટિ જોજન વિસ્તાર મોટે રે, રત્ન જડીત કનક કોટે રે ।

તેને ચારે દિશે ચાર દ્વારરે, વજ્રકપાટે શોભે અપાર રે ।।૨૭।।

તિયાં ગોપી ગોપનાં ઘર ઘણાં રે, શોભે ગોલોકમાં નહિ મણા રે ।

રત્નજડિત કનક ભવન રે, રથ વિમાન બહુ વાહન રે ।।૨૮।।

ધ્વજા પતાકા કળશ કંચન રે, શોભે એકથી એક ભવન રે ।

મઇ મથે કૃષ્ણગુણ ગાઇ રે, રવે રહ્યું છે ગોલોક છાઇ રે ।।૨૯।।

ચારે દ્વારે ચાર મારગ રે, તિયાં થાય બહુ રાગરંગ રે ।

બાંધ્યા મગ નંગ પંચ રંગને રે, હારે હવેલીયો અડી ગગને રે ।।૩૦।।

રત્ને જડ્યા જરુખા ને ઓટા રે, અગર ચંદને છાંટ્યા મગ મોટા રે ।

રંભાસ્તંભ મંગળિક સાજે રે, તેણે રાજમાર્ગ અતિરાજે રે ।।૩૧।।

ગોપ ગોપી લઇ પૂજા સમાજ રે, જાય કૃષ્ણ પૂજવાને કાજ રે ।

આવે જાય ગાય બહુ ગીત રે, તેણે કરી મારગ છે શોભિત રે ।।૩૨।।

વળી અનંત ભુવનપતિ જેહ રે, હરિ હર અજ ધર્મ તેહ રે ।

રમા ઉમા સાવિત્રી મૂરતિ રે, જાય દરશને પત્ની પતિ રે ।।૩૩।।

સુર મુનિ સિદ્ધ ગોપ ગોપી રે, તેની ભિડ્યે રહ્યો મગ ઓપી રે ।

ગોપી રાધા રમા સમ નેમે રે, સેવે શ્રીકૃષ્ણસ્વામીને પ્રેમે રે ।।૩૪।।

એવા ગોલોકમધ્યે સુંદર રે, શોભે રાધાકૃષ્ણનું મંદિર રે ।

તેને ફરતા કનક કોટ સોળ રે, શોભે સુંદર ખાઇ અતોલ રે ।।૩૫।।

રાજગઢ જોજન ત્રણ્ય ઘોલે રે, ખાઇ છાઇ કલ્પતરુ બોલે રે ।

સોળે કોટ રતન કાંગરે રે, કનક કળશે શોભાને ધરે રે ।।૩૬।।

સોળે પોેળ્યને ઉલંઘિ દાસ રે, જાય દર્શને શ્રીકૃષ્ણને પાસ રે ।

તિયાં ચોક શોભા સઇ ભણિયે રે, બાંધ્યા પંચરંગની મણિયે રે ।।૩૭।।

તેજપુંજ તે મધ્યે અંબાર રે, કોટિ સૂર્ય શશિથી અપાર રે ।

તેનું અક્ષરબ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચળ હરિ ધામ રે ।।૩૮।।

જક્તકારણ જોર જે વિશાળ રે, બહુ પ્રધાન પુરૂષ કાળ રે ।

એને આશ્રય રૂપ એ અનુપ રે, સતચિદ્ આનંદ સ્વરૂપ રે ।।૩૯।।

તેહ મધ્યે શ્રીકૃષ્ણનું ધામ રે, રચ્યું રત્નમણિ અભિરામ રે ।

મણિસ્તંભ ઘણી ફુલમાળ રે, તેણે શોભે છે ધામ વિશાળ રે ।।૪૦।।

મણિમાળ મોતીમાળે કરી રે, મણિ ઘણિયે રહ્યું શોભા ધરી રે ।

શ્વેત ચમર મુક્ત કળશ કઇ રે, સારાં તોરણ રહ્યાં શોભા દઈ રે ।।૪૧।।

શતશૃંગથી ઉંચું છે એહ રે, પ્રકાશક કૃષ્ણધામ તેહ રે ।

અગર ચંદને ચર્ચ્યું એ ધામ રે, ધૂપ દીપ દ્રવ્યે અભિરામ રે ।।૪૨।।

ઘણે સમાજે શોભે સદન રે, કહેતાં પાર નાવે કોય દન રે ।

તેને આસપાસ હરિદાસ રે, કરી રહ્યા એકાંતિક વાસ રે ।।૪૩।।

સર્વે સેવા શ્રીકૃષ્ણની કરે રે, અતિઆનંદે સ્વછંદ ફરે રે ।

કૃષ્ણ ગુણ વાજીંત્રમાં ગાય રે, તેનો શબ્દ છાયો ધામ માંય રે ।।૪૪।।

એવા ધામમાંહિ સિંહાસન રે, રચ્યું રત્ન કળશે રમણ રે ।

રંગે ચિત્ર વિચિત્ર તે ઓપે રે, કર્યા પશુ પંખી ગોપી ગોપે રે ।।૪૫।।

એવું અતિ સુંદર સિંહાસન રે, તેપર બેઠા કૃષ્ણ ભગવન રે ।

ઘનશ્યામ ને વય કિશોર રે, પીતપટ બે કર વંશી સોર રે ।।૪૬।।

મંદહાસ ને માથે મુગટ રે, નિર્ખિ જન મગન અમટ રે ।

મૃગમદ ચંદન અગર રે, ચર્ચી તન વૈજયંતી પેરી ઉર રે ।।૪૭।।

કૌસ્તુભ મણિ માળ કાંતિવાળી રે, શોભે શ્રીકૃષ્ણ કંઠે શોભાળી રે ।

મકરાકાર કુંડળ કાને શોભે રે, નંગ જડ્યાં કડાં કર ઉભે રે ।।૪૮।।

કર આંગળી મુદ્રિકા મણિ રે, કટિ કિંકિંણિ નુપૂર શોભા ઘણી રે ।

ચરણ અરૂણ નખ રક્ત શામ રે, રક્ત કમળ તળ શોભાધામ રે ।।૪૯।।

તિયાં સોળે ચિહ્ન સુખકારી રે, સેવે મુનિ સિદ્ધ વ્રતધારી રે ।

અષ્ટકોણ જવ જંબુ જેહ રે, સ્વસ્તિ ધ્વજ ને કુળિશ તેહ રે ।।૫૦।।

અંકુશ અંબુજ ઉર્ધ્વરેખ રે, શોભે જમણે પગે વિશેખ રે ।

મત્સ્ય ત્રિકોણ કળશ વ્યોમ રે, ધેનુપદ ધનુષ ને સોમ રે ।।૫૧।।

વામચરણે એ ચિંતવે દાસ રે, કામ ક્રોધ મોહ પામે નાશ રે ।

એવાં કૃષ્ણચરણાર્વિંદ જોઇ રે, મુનિ મધુપ રહ્યા તિયાં મોઇ રે ।।૫૨।।

રાધાઆદિ દેવી પ્રેમે કરી રે, ચર્ચી ચંદન લિયે ઉર ધરી રે ।

ગુલફ જંઘા જાનુ જાુગ જોઇ રે, બાહુ અજાન રહે મનમોઇ રે ।।૫૩।।

નાભી કટિ ઉદર અનુપ રે, તિયાં ત્રિવળી શોભે સુખરુપ રે ।

જમણે ઉરે શ્રીવત્સ ચિહ્ન રે, નિર્ખિ હરખે જન પાવન રે ।।૫૪।।

હાર મુગટ પુષ્પના શોભે રે, જોઇ જનતણાં મન લોભે રે ।

અરુણ કમળસમ કર દોય રે, બંશી સહિત શોભે છે સોય રે ।।૫૫।।

પૂર્ણ શશિસમ મુખ સારૂં રે, શોભે કંઠ કંબુ અનુસારું રે ।

તિયાં તુલસીમાળ વિશાળ રે, શોભે ચિબુક અધર પ્રવાળ રે ।।૫૬।।

મંદહાસે બોલે મિઠાં વેણ રે, દંત દાડ્યમકળિ સુખદેણ રે ।

નાસા દીપ કપોળે કાંતિ રે, કાને કુંડળ શોભા સુહાતિ રે ।।૫૭।।

તિયાં પુષ્પગુચ્છ બે ધરીયાં રે, ચંચળ લોચન હેતનાં ભરીયાં રે ।

રાતી રેખે નયણ રસાળ રે, શોભે ભ્રકુટી ભાલ વિશાળ રે ।।૫૮।।

કેશર તિલક તિયાં વિશેખ રે, હસતાં ભાલ વચ્ચે ઉઠે રેખ રે ।

સુંદર કેશ શિશે મુગટ રે, જડ્યો મણિરતને શું ઘટ રે ।।૫૯।।

નખશિખા શોભા ન કહેવાય રે, શ્રુતિ પુરાણ નિત્ય જેને ગાય રે ।

એવા શ્રીકૃષ્ણ શોભાની ખાણી રે, જીવ આસુરી ન શકે જાણી રે ।।૬૦।।

ઘનશ્યામ ને તન પ્રકાશ રે, તેનો મર્મ જાણે કોઇ દાસ રે ।

સામુદ્રિકે કહ્યાં શુભ ચિહ્ન રે, તેણે જાુક્ત શ્રીકૃષ્ણ સુખયન રે ।।૬૧।।

તેને નિરાકાર કહે કુમતિ રે, હોયે આસુરી જીવ જે અતિ રે ।

સમજે સાકાર સંત તે સદા રે, પામે પાસ વાસ અતિમુદા રે ।।૬૨।।

કહીએ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ રે, વાસુદેવ વિષ્ણુ પરબ્રહ્મ રે ।

હરિ નારાયણ અંતર્યામી રે, ભગવાન પ્રભુ બહુનામી રે ।।૬૩।।

તત્વજ્ઞાનાદિ નામ કહેવાય રે, શ્રુતિ પુરાણ સદ્ગ્રંથ ગાય રે ।

ઉપનિષદ ઇતિહાસે કરી રે, કૃષ્ણમહિમા કહે ફરીફરી રે ।।૬૪।।

ગુણ પ્રાક્રમે કરી બહુ નામ રે, જપવા જોગ સર્વે સુખધામ રે ।

રાધા રમા રહે દોય પાસે રે, જાુવે શ્રીકૃષ્ણ હેતે કટાક્ષે રે ।।૬૫।।

બીજી લલિતાદિ સખી જેહ રે, રાધા રમાસમ વળી તેહ રે ।

સારી શીલે શુભ ગુણધામ રે, સુણો સહુ કહું તેનાં નામ રે ।।૬૬।।

જયા લલિતા ને શશિકલા રે, માધવી જમુના ને સુશિલા રે ।

રતિ કાંતિ ને ચંદ્રમુખી રે, કદંબ માલિકા સ્વયંપ્રભા સુખી રે ।।૬૭।।

પદ્મમુખી સુખા શુભા જેહ રે, મધુમતી સરસ્વતી તેહ રે ।

પદ્મા ગંગા ને સર્વમંગળા રે, સુમુખી ભારતી ને કમળા રે ।।૬૮।।

પારિજાતા કૃષ્ણપ્રિયા નંદા રે, નામ નંદિની સુંદરી સુખદા રે ।

એહઆદિ સુંદરી અપાર રે, સેવે શ્રીકૃષ્ણને કરી પ્યાર રે ।।૬૯।।

મૃગમદ ચંદન ને ફુલ રે, ભૂષણ વસન લાવી અમૂલ્ય રે ।

વળી ષટ્ રસ સુભોજન રે, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજય અન્ન રે ।।૭૦।।

કનક થાળે એ ભોજન ભરી રે, પ્રેમે જમાડે પ્રમદા હરિ રે ।

મેવા મિઠાઇ અમૃતફળ રે, રત્નજડિત ઝારીયે જળ રે ।।૭૧।।

પાય પાણી પાનબિડી આપે રે, કરી આરતી સ્તુતિ આલાપે રે ।

એમ પૂજા કરીને પિયારી રે, રાજી કરે શ્રીકૃષ્ણ મુરારી રે ।।૭૨।।

વળી પ્રભુના પારષદ જેહ રે, મુખ્ય મોટા નામ સુણો તેહ રે ।

વીરભાનુ ચંદ્રભાનુ કહીએ રે, સૂર્યભાનુ વસુભાનુ લહીએરે ।।૭૩।।

દેવભાનુ શક્રભાનુ જેહરે, રત્નભાનુ સુપાર્શ્વ છે તેહ રે ।

વિશાળ રૂષભ અંશુબળ રે, દેવપ્રસ્થ વરૂથ સુબળ રે ।।૭૪।।

શ્રીદામા આદિક એહ સોળ રે, તેને કેડ્યે બીજા છે અતોલ રે ।

સર્વે કરે શ્રીકૃષ્ણની સેવા રે, રૂપ ગુણે એક એક જેવા રે ।।૭૫।।

છત્તર ચમર સેવાનાં સાજ રે, તેણે સેવે રાજાધિરાજ રે ।

થાય તાને ગાન તિયાં ઘણાં રે, સર્વે દર્શન કરે કૃષ્ણ તણાં રે ।।૭૬।।

દેખી દાસની સેવા દયાળ રે, રીઝે કૃપાના નિધિ કૃપાળ રે ।

પરમાત્મા પરબ્રહ્મ જેહ રે, નિગમ નેતિ નેતિ કહે તેહ રે ।।૭૭।।

કાળ કર્મ ગુણ સિદ્ધ જાણો રે, તેના પ્રેરક કૃષ્ણ પ્રમાણો રે ।

સંકર્ષણને પ્રદ્યુમન કહીએ રે, અનિરુદ્ધ રૂપે કૃષ્ણ લહીએ રે ।।૭૮।।

અનંત કોટિ બ્રહ્માંડના નાથ રે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય હાથરે ।

વળી સર્વે બ્રહ્માંડે મહારાજ રે, રહે જીવના કલ્યાણ કાજ રે ।।૭૯।।

નરનારાયણાદિ અનંત રે, દિવ્યરૂપે રહે ભગવંત રે ।

તેને આશ્રિત હોય જે જન રે, પામે ગોલોક તે સહુ જન રે ।।૮૦।।

દિવ્યરૂપે રહે પ્રભુ પાસ રે, સદા સુખ ભોગવે એ દાસ રે ।

બીજા બહુ વૈષ્ણવ ત્યાં વૃંદ રે, તેને સંગે કરે એ આનંદ રે ।।૮૧।।

પામે મોટપ્ય કહે ન આવે રે, જેણે પ્રભુ ભજયા આંહિ ભાવે રે ।

હરિ ધરી પોતે અવતાર રે, એહ ધામનું ઉઘાડ્યું બાર રે ।।૮૨।।

જે કોઇ સત્સંગી નરનારી રે, કર્યાં એ ધામનાં અધિકારી રે ।

નથી વાત સરખી એ વાત રે, જાણે સંત મોટા સાક્ષાત રે ।।૮૩।।

જેને મળ્યા સ્વામી સુખરાશી રે, તેતો સર્વે આ ધામના વાસી રે ।

કહે કવિ સુણો શુભમતિ રે, કહિ સતસંગીની પ્રાપતિ રે ।।૮૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગોલોકધામનું વર્ણન કર્યું એ નામે એકસો ને ઓગણસાઠમું પ્રકરણમ્ ।।૧૫૯।।