૭૬. દર્શનાતુર સંતોને સ્વપ્નમાં દર્શન આપ્યા, જેતલપુરમાં ભીમએકાદશીનો ઉત્સવ કર્યો અને શ્રી હરિએ પો

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:06pm

રાગ સામેરી –

હવે ગુજરધરમાં સંત ફરતા, કરતા હરિની વારતા।

પંચવ્રતે પૂરા શૂરા, પ્રભુને સંભારતા ।।૧।।

તેણે મનમાં વિચારિયું, હજી નાથજી કેમ નાવીયા ।

આજ કાલ કરતાં, દર્શન વિના દિન બહુ ગિયા ।।૨।।

એમ શોચ કરીને સંત સુતા, તેને સ્વપ્નમાં આવિયા હરિ ।

સખા સંગે શ્યામળો, જાણું પધાર્યા દયા કરી ।।૩।।

શ્વેત વસ્ત્ર પહેરી લેરી, જાણું આવિયા અશ્વે ચડી ।

સંત મન મગન થઇ, કહે ધન્ય ધન્ય આજ ઘડી ।।૪।।

એક કહે મહારાજને મેં, ગુંજાહાર પહેરાવીયા ।

બાજુ કાજુ કુંડળ કરી, ફુલના તોરા ધરાવીયા ।।૫।।

એક કહે જાણું ચંદન ઘશી, ચરચ્યું મારા હાથશું ।

એક કહે જાણું અલબેલાને, ભેટીયો ભરી બાથશું ।।૬।।

એક કહે જાણું નાથનાં, ચરણ છાપ્યાં છાતિએ ।

એક કહે એવી દિઠી મૂરતિ, તેતો નવ્ય જાય કહ્યે ।।૭।।

એક કહે મેં સખા દીઠા, સંગે સુંદર શ્યામને ।

એમ સંતે સ્વપ્નમાંહી, દીઠા પૂરણકામને ।।૮।।

પ્રભાતે ઉઠી પરસ્પર, વાત કરવા લાગીયા ।

જાણ્યું પધાર્યા વાલ્યમો, સંત સહુનાં દુઃખ ભાંગીયાં ।।૯।।

પછી નાહી જન જીવનની, વાટ જુવેછે સહુ મળી ।

એમ કરતાં પધારીયા, વાલ્યમજી પોતે વળી ।।૧૦।।

જેવા દિઠાતા સ્વપ્નમાંઇ, તેવાના તેવા પધારીયા ।

દર્શન દઇ દાસને, નવલા તે નેહ વધારીયા ।।૧૧।।

જન સહુ મગન થયા, નિર્ખિ નટવર નાથને ।

પાય લાગી પાસળે, વળી ઉભા જોડી હાથને ।।૧૨।।

પછી પ્રભુજી બોલિયા, જાઓ તેડાવો સર્વે જનને ।

સંતને ખબર કરજયો, મર કરે આવી દર્શનને ।।૧૩।।

પછી સાંભળીને સવેર્આવ્યા, સતસંગી ને સંત વળી ।

નાથ નિરખિ હૈયે હરખી, લાગ્યા પાય પ્રભુને લળી ।।૧૪।।

સંત મંડળ સર્વે આવ્યાં, બેઠા જોઇ જીવનને ।

અલબેલે અમૃતદૃષ્ટે, જોયા સર્વે જનને ।।૧૫।।

અનંત સુખ આપ્યાં વાલે, કાપ્યાં દુઃખ દાસતણાં ।

મીઠી વાણ્યે બોલી મોહન, રાજી કર્યા સંત ઘણા ।।૧૬।।

પછી દિવસ વળતે, આવી અવલ એકાદશી ।

સતસંગી નરનારી સહુ, રહ્યા વ્રત મળી ઋષિ ।।૧૭।।

જેતલપુરની જાગ્યમાં, મનુષ્ય તો માયાં નહિ ।

પછી પ્રભુજી વિરાજીયા, તડાગતટે વટે જઇ ।।૧૮।।

ત્યાં અનંત જન આવિયા, લાવિયા પૂજા પ્રીતશું ।

અંબર ભૂષણ અંગે અરપિ, ચરણ ચિંતવ્યાં ચિત્તશું ।।૧૯।।

પછી સંત શ્રીખંડ ઘશી, લાવ્યાતા ભાજન ભરી ।

મરજી જોઇ મહારાજની, સર્વે અંગમાં અર્ચા કરી ।।૨૦।।

સુંદર હાર સુમનના, પ્રભુને પહેરાવિયા ।

પોંચી બાજુ કાજુ કુંડળ, ગજરા તોરા ધરાવિયા ।।૨૧।।

ધૂપ દીપ કરી આરતિ, સહુ લળિ પાયે લાગિયા ।

પછી પ્રભુજી ગામમાં, ઘોડે ચડી જમવા ગિયા ।।૨૨।।

જમી જીવન આવિયા, નાયા પછી નીરમાં ।

ચોળી ચંદન ઉતારીયું, જે ચરચ્યું હતું શરીરમાં ।।૨૩।।

પછી પહોર પાછલે, વાલો પધાર્યા વાડિયે ।

એમ સુખ અલબેલડો, દિયે દાસને દાડિદાડિયે ।।૨૪।।

અનંત વાતો ત્યાં કરી, સુણી સંત સહુ મગન થિયા ।

પછી સખા સંગે શ્યામળો, મોલે મલપતા આવીયા ।।૨૫।।

જને ત્યાં જાગરણ કર્યું, ગાયાં કીર્તન અતિઘણાં ।

પાટે બેસી પાતળે, સુણ્યાં પદ સંતતણાં ।।૨૬।।

પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ ।

અતિ રહસ્ય એકાંતની, એક વાલ્યપની વાત કહું ।।૨૭।।

આ સભામાં આપણ સહુનાં, તેજોમય તન છે ।

છટા છુટે છે તેજની, જાણું પ્રકટિયા કોટિ ઇંદુ છે ।।૨૮।।

વળી કહંુ એક વારતા, સર્વે કીધું આપણું થાય છે ।

સુખ દુઃખ વળી જય પરાજય, યત્કિંચિત જે કહેવાય છે ।।૨૯।।

જેજે આપણને નવ ગમે, તે જીવ કેમ શકે કરી ।

જુઓ સવેર્જક્તમાં, કોણ શકે છે ફેલ આચરી ।।૩૦।।

વળી રીત્ય આપણી, જે જીવને નથી ગમતી ।

જોઉંછું એવા જીવને, છે કેની કેની એવી મતિ ।।૩૧।।

તેને શોધી સાંમટો, એક દંડ દેવા તાન છે ।

કોઇ ન પ્રીછે પરચો, એવું કરવું મારે નિદાન છે ।।૩૨।।

જેવું અમારાં અંગમાં, સુખ દુઃખ રાખું છું સહિ ।

તેવું જાણજયો જક્તમાં, કહું સત્ય એમાં સંશય નહિ ।।૩૩।।

વળી આપણે રાખીયાં, ષટ રસનાં વ્રતમાન ।

તેદિ સર્વે જક્તમાં, કેને ખાવા ન રહ્યું ધાન ।।૩૪।।

જેદિ અમે છાના રહ્યા, અને વળી વધાર્યા કેશ ।

તેદિના આ ભૂ વિષે, સહુ નિસ્તેજ થયા નરેશ ।।૩૫।।

વળી અમે અંગમાં, આણ્યો હતો મંદવાડ ।

તે દાડે આ જક્તમાં, બહુ જીવનો ગયો બિગાડ ।।૩૬।।

એમ જણાય છે એકતા, મારા પિંડ બ્રહ્માંડમાં મળી ।

જે હોય આ અંગમાં, તે બ્રહ્માંડમાં હોય વળી ।।૩૭।।

તે માટે તમે સાંભળો, સતસંગી સહુ નરનાર ।

જેજે થાય છે જક્તમાં, તેનો બીજો નથી કરનાર ।।૩૮।।

સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજયો સ્થિર મતિ ।

જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ ।।૩૯।।

એમ કરતાં જો પંડ પડશે, તો આગળ સુખ છે અતિ ઘણું ।

પણ વ્રત ટેક જો ટાળશો તો, ભોગવશો સહુ સહુ તણું ।।૪૦।।

નહિં તો તમે નચિંત રહેજયો, કરવું તમારે કાંઇ નથી ।

જે મળ્યા છે તમને, તે પાર છે અક્ષરથી ।।૪૧।।

એમ વાત કરી હરિ, ત્યાર પછી પોતે પોઢિયા ।

સુણી વાત સતસંગીએ, અતિશે રાજી થિયા ।।૪૨।।

પછી પ્રભાતે ઉઠી પોતે, દયાળે દાતણ કર્યું ।

નાયા પછી નાથજી, જને હાર પહેરાવી છોગું ધર્યું ।।૪૩।।

પછી જને જમાડિયા, પ્રભુને પ્રીત્યે કરી ।

જમી પોતે શ્યામળે, પછી સંત જમાડ્યા ભાવે ભરી ।।૪૪।।

એમ દિન દશ સુધી, લટકાળે લીળા કરી ।

પછી પોતે પધારીયા, પશ્ચિમ દેશે શ્રીહરિ ।।૪૫।।

એવી અનુપમ કરી લીળા, જેઠ શુદિ એકાદશી દને ।

લીળા કરાવી જેતલપુરે, ગંગાદાસ આસજી જને ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે પુરૂષોત્તમપણું કહ્યું એ નામે છોતેરમું પ્રકરણમ્ ।।૭૬।।