૬૬. શ્રીહરિના ચરિત્રોની અપારતા, વહાલોજી વડતાલમાં રંગે રમ્યા તથા હિંડોળે બીરાજયા ને બહુ મોટો ઉત્

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:54pm

રાગ સામેરી –

પોતે પધાર્યા ગઢડે, અને સંત ગયા ગુજરાત ।

અપાર લીળા કરે હરિ, તેની કહી ન જાય વાત ।।૧।।

શેષ મહેશ ને શારદા, હરિચરિત્ર પાર નવ લહે ।

અજ ન પામે પાર જેનો, નેતિનેતિ નિગમ કહે ।।૨।।

અપાર લીળા અપાર સામર્થ્ય, અપાર અતિચરિત્ર છે ।

અપાર તેજ પ્રતાપ અતિ, અપાર યશ પવિત્ર છે ।।૩।।

અપાર કરૂણા અપાર કૃપા, અપાર દયા દલમાં ।

અપાર ધીર ગંભીર ઘણા, નવ કળાય કોઇ કાળમાં ।।૪।।

અપાર મહિમા અપાર મોટ્યપ, અપાર દાતા ઉદાર છે ।

અપાર કળા અપાર કીરતિ, વળી ગુણ જેના અપાર છે ।।૫।।

અપાર લીળા એક જીભાએ, કવિ કહી કેમ શકે ।

મહાનિધિમાં ચિડિયા ચંચે, ઉલેચતાં આપે થાકે ।।૬।।

જેનું મનન કરતાં મન થાકે, ચિંતવતાં ચિત્ત સહિ ।

જેનું વર્ણન કરતાં વાણી થાકે, તેને કોણ શકે કહિ ।।૭।।

જેમ અંડજ ઉડે આકાશમાં, એકએકથી ઉંચા ચડે ।

પહોંચ રાખે પહોંચવા પણ, અંબરને કોઇ ન અડે ।।૮।।

તેમ કવિ કોટિક કથે, એકએકથી બુદ્ધિબળે ।

પણ અપાર અપાર કહિ છુટે, અકળ ને કોણ કળે ।।૯।।

તે હરિ નરતન ધરી, કરે લીળા કોટિ ઘણી ।

તે સાંગોપાંગ સર્વે કહેવા, નથી સામર્થી મુજતણી ।।૧૦।।

કહું કિંચિત કોટિઅંશે, સુંદર ચરિત્ર શ્યામનાં ।

ચતુર નરને શક્ય ન આવે, છે હરિભક્તના કામનાં ।।૧૧।।

તુક ચોકને જડ ઝમકનું, જાણપણું જેને હૃદે ।

કવિપણાના કષાયમાંઇ, હરિગુણમાં દોષ વદે ।।૧૨।।

ચણેર્ ચર્ણે ચિંતવન હરિનું, જે કાવ્યમાં નવ થાય ।

તેને વિવેકી એમ વદે, તીર્થ કાકનું કહેવાય ।।૧૩।।

માટે ડહાપણ દૂર કરીને, કહી લીળા લાલની ।

સર્વે જન મળી સાંભળો, કહું વાત વળી વરતાલની ।।૧૪।।

વરતાલે વાલમ આવિયા, હરિજનને કર્યું જાણ ।

નરનારી એમ ચાલિયાં, જેમ નદી મળવા મેરાણ ।।૧૫।।

બાલ વૃદ્ધ બેશી વાહને, આવ્યાં દર્શન કારણે ।

પ્રભુ પધાર્યા સાંભળી, કોઇ રહ્યું નહિ ઘરબારણે ।।૧૬।।

સંત સર્વે તેડાવિયા, આવિયા મુનિજન મંડળી ।

નાથ નિરખિ હૈયે હરખી, લાગ્યા પાયે લળીલળી ।।૧૭।।

સતસંગી સવેર્મળ્યા, નર નારી નિર્મળ છે ઘણાં ।

પુરૂષનો નહિ પાર ગણતાં, મળ્યાં યૂથ યુવતિતણાં ।।૧૮।।

તેણે દર્શન કરી હરિનાં, પ્રેમે લાગ્યા પાય ।

ભલે પધાર્યા ભાગ્ય મોટાં, આજ કહ્યાં નવ જાય ।।૧૯।।

સવેર્જનને સુખી કીધાં, દીધાં દરશન દાન ।

અમે તમારે તમે અમારે, એમ બોલીયા ભગવાન ।।૨૦।।

એમ વાત કરતાં વહી ગઇ, વળી રજની રંગભરી ।

પ્રભાતે અતિ પ્રસન્ન વદને, હસિને બોલ્યા હરિ ।।૨૧।।

આજ દિન છે ઉત્સવનો, સર્વે સુણો સંત સુજાણ ।

રંગ કરાવો રમવા, એમ બોલ્યા સુખમેરાણ ।।૨૨।।

જોઇતું હતું જેહ જનને, તે વાલે કહ્યું વચન ।

ઉઠ્યા દાસ ઉતાવળા, કરવા પ્રભુજી પ્રસન્ન ।।૨૩।।

પછી રૂડા રંગ કઢાવિયા, વળી ઘણો મંગાવ્યો ગુલાલ ।

પીચકારી બહુ પેરની, મોરે કરી મેલિતિ મરાલ ।।૨૪।।

ચરુ રંગેડાં રંગે ભર્યાં, વળી ભરીયાં મોટાં માટ ।

મહારાજ બેઠા માળિયે, જન જોઇ રહ્યા વળી વાટ ।।૨૫।।

તૈયે મોહને મોરથી, નાખી ગુલાલની મુઠ્ય ।

પછી સખા સજજ થયા, વળી થઇ રમવાની છુટ્ય ।।૨૬।।

પછી પાંચ દશ પોતા પાસે, લીધા તે સંત સુજાણ ।

નાખે રંગ બહુ નાથજી, જન ઉપર જીવનપ્રાણ ।।૨૭।।

ચાલે પિચકારી ચૌ દિશે, વળી જાણ્યું મંડાણો મેઘ ।

આંખ્ય ન દીયે ઉઘાડવા, વહે શેડ્ય સમૂહનો વેગ ।।૨૮।।

ત્રિકમ ભરીભરી ત્રાંસળાં, નાખે રંગ કેસર તણો ।

જયજય મુખે જન બોલે, ઉડે અબીર ગુલાલ ઘણો ।।૨૯।।

ચડી ગરદી ગુલાલની, વળી થયો અરુણ પ્રકાશ ।

દેવ આવ્યા દેખવા, રમે હરિ હરિના દાસ ।।૩૦।।

રમતાં રંગ ખુટી ગયો, પછી પ્રભુજીએ કળ કરી ।

તાળી પાડી ધુન્ય કરતાં, રંગ મગાવ્યો બહુ ભરી ।।૩૧।।

પછી નાથે હાથશું, રસબસ કરીયા જન ।

ભલી ભજાવી હુતાસની, વળી પોતે થઇ પ્રસન્ન ।।૩૨।।

પછી નાવા ચાલિયા, નાહિને આવ્યા નાથ ।

ગાતાવાતા ગામમાં, પધાર્યા સખાને સાથ ।।૩૩।।

પછી બેસારી પંગતિ, મુનિજનની જમવા કાજ ।

પોતે આવ્યા પિરસવા, ઘણું રાજી થઇને રાજ ।।૩૪।।

એહ દિવસ અલબેલડે, અલૌકિક લીળા કરી ।

બીજે દિવસ પુરબારણે, પધારીયા પોતે હરિ ।।૩૫।।

એક સુંદર આંબો સોયામણો, ત્યાં બાંધ્યો હિંડોળો હેતશું ।

અલબેલો ત્યાં આવિયા, સર્વે સખા સમેતશું ।।૩૬।।

હિંડોળે હરિ વિરાજિયા, ત્યાં આવ્યા જન અપાર ।

પાર ન આવે પેખતાં, બહુ મળિયા નરનાર ।।૩૭।।

સંતને આપી આગન્યા, કરો પૂજા તમે પ્રીત્યશું ।

કેસર ચંદન કુસુમમાળા, ધુપ દીપ આરતી રીત્યશું ।।૩૮।।

સંત સુંદર સાજ લઇ, કરી પૂજા પરમાનંદની ।

ચરણ ચરચિ ચંદને, છાપી છાતિ મુનિવંદની ।।૩૯।।

આનંદ આપી અતિ ઘણો, પછી ઉભા થયા અવિનાશ ।

હરિજન સહુ હાર લઇ, વળી ઉભા હતા હરિ પાસ ।।૪૦।।

કૈક હાર પહેર્યા કંઠમાં, અને કૈક બાંધ્યા બાંય ।

કૈક ચરણે બાંધિયા, એમ ફુલી રહ્યા ફુલમાંય ।।૪૧।।

હિંડોળે હાર વળગાડીયા, કૈક આરોપ્યા આંબાડાળ ।

કૈક બાંધ્યા છડીએ, તેની કરી કાવડ્ય દયાળ ।।૪૨।।

એવી અનંત લીળા કરી, હરિ જનને કરવા ધ્યાન ।

આપી સુખ એમ અતિ ઘણું, પછી ચાલિયા ભગવાન ।।૪૩।।

એવી લીળા કરી હરિ, ફાગણવદી સાતમ્ય સહિ ।

કરી લીળા વરતાલમાં, તે સંક્ષેપે કાંઇક કહિ ।।૪૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે વરતાલે ઉત્સવ કર્યો એ નામે છાસઠમું પ્રકરણમ્ ।।૬૬।।