ગઢડા અંત્ય ૧ : જ્ઞાન તથા હેતના અંગનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:22am

ગઢડા અંત્ય ૧ : જ્ઞાન તથા હેતના અંગનું

સંવત્ ૧૮૮૨ના વૈશાખ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના ફળિયાની માંહિલી કોરે આથમણે બાર ઓરડાની ઉચી ઓસરીએ ગાદીતકીયે યુક્ત જે સુંદર રંગીત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્‍તકને વિષે જે મોટી શ્વેત પાઘ તેમાં સુંદર મોગરાનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને બે હાથને વિષે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજે પરમહંસને પુછયું જે, પરમેશ્વરના ભક્તને ભુંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભકિતમાં વિઘ્‍ન થાય નહિ એવી શી સમજણ છે. ? પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્‍ય જોઈએ, અને બીજી આત્‍મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્‍ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્‍યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્‍મનિષ્‍ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખદુ:ખ આવે ત્‍યારે એ ભક્તની વૃત્તિયો ચુંથાઈ જાય,પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુ:ખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્‍ટ થઈ જાય માટે ભગવાનના ભક્તને આત્‍મનિષ્‍ઠા અને વૈૈરાગ્‍ય, એ બેય અતિશે દૃઢ જોઈએ, શા સારૂં જે વૈૈરાગ્‍યે કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર માત્ર ખોટા થઈ જાય છે, અને આત્‍મનિષ્‍ઠાએ કરીને માયિક જે સુખ ને દુ:ખ તે ખોટાં થઈ જાય છે, અને જેને વૈરાગ્‍ય ને આત્‍મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્‍પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્‍યાં સુધી સુખ શાન્‍તિ રહે, અને જ્યારે સમાધિમાંથી બહાર નિસરે ત્‍યારે નારાયણદાસની પેઠે સારાં પદાર્થને જોઈને ચાળા ચુંથવા માંડે.

અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિષે જ્ઞાનનું અંગ હોય ને કાં તો હેતનું અંગ હોય, તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશે માહાત્‍મ્‍ય સમજે, અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહિ. તે જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું માહાત્‍મ્‍ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિષે હેત હતું તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું. ૨ને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે, અને એમ જાણે જે, ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ  નહિ. ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે. પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી. અને જે એમ જાણે જે, ભગવાન તો કોઈના શિખવ્‍યા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે, તેને તો ભગવાનના સ્‍વરૂપનું જ્ઞાન જ નથી, અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંધાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહિ. શા માટે જે, એને પોતાના સ્વાર્થનું હેત છે, તો જેણે ભગવાન સાથે જન્‍મમરણના ભય થકી છુટવાનો સ્વાર્થ જાણ્‍યો હોય તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહિ. અને જે એમ જાણે જે, ભગવાન તો કોઈના ફેરવ્‍યા ફરી જાય છે’ એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે તેને તો જ્ઞાનનું અંગ પણ નથી, અને હેતનું અંગ પણ નથી.” એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટામોટા પરમહંસને કહ્યું જે, “તમે તમારૂં એ બેમાંથી જે અંગ હોય તે કહો,” પછી સર્વે પરમહંસે કહ્યું જે,”અમારે તો જ્ઞાનનું અંગ છે.”

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. કેમ જે આ સંસારને વિષે જે ચોર હોય તેને પોતપોતાની સ્‍ત્રી ને છોકરાં તેને વિષે હેત હોય છે. અને જ્યારે ચોરી કરવા જાય ત્‍યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્‍ય આપે છે. અને એ ચોર ધણો નિર્દય છે પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંધાથે નિર્દય નથી થતો, તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંધાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષ્યા આવે જ નહિ, અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહિ, એવું જેને હેત હોય તેને હેતનું અંગ કહીએ, અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એકેય અંગ નથી તેને ચાળા ચુંથણો કહીએ, એટલી વાર્તા કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

પછી તે જ દિવસ સાંજને સમે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદીતકિયા બિછાવેલ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને પોતાની આગળ સાધુ દૂકડ સરોદા બજાવીને કીર્તન ગાતા હતા. તે કીર્તન ભકિત જ્યારે કરી રહ્યા ત્‍યારે શ્રીજીમહારાજે એમ આજ્ઞા કરી જે, ”અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્‍યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્‍થ બાઈ ભાઈ સર્વે તેમણે નિત્‍યે કરવો. અને જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્‍યે શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્‍યે શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાંજ લખ્‍યું છે. માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવેા, એમ અમારી આજ્ઞા છે.” એવી રીતની જે શ્રીજીમહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વેએ ધાર્યો જે, ”હે મહારાજ ! જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળીશું” તેને સાંભળીને શ્રીજીમહારાજ અતિશે પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા, અને સર્વે સત્‍સંગીના હૃદયને વિષે પોતાનાં ચરણાર્વિઁદ આપતા હવા.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧|| ૨૩૫ ||