અમદાવાદ ૩ : વડવાઈનું – ઉપશમનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:19am

અમદાવાદ ૩ : વડવાઈનું – ઉપશમનું

સંવત્ ૧૮૮૨ના ફાગણ વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિરને સન્‍મુખ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, ને મસ્‍તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી, ને તે પાઘને વિષે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા. તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ‘જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્‍યારે અંત:કરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્‍યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેનાં જે મૂળ તે જ વડને લીલો રાખે છે. અને બીજાં સર્વે મૂળ ઉખડી ગયાં હોય ને જો એક વડવાઇ પૃથ્‍વીમાં ચોટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્‍યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્‍મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્‍મમરણના હેતુ નથી ?” એ પ્રશ્ર્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુકતાનંદસ્વામીએ કર્યો પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવાં જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્‍મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂતિનું ચિંતવન કરતો હોય, તેને ભગવાનના ચિંતવનના બળે કરીને જ્યારે ઉપશમ અવસ્‍થા વર્તે ત્‍યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્‍મમરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્‍યારે હાથી, ધોડા, વૃક્ષ સર્વે તણાઇ જાય પણ કોઇ ઠરી શકે નહિ. તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્‍દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતરસન્‍મુખ દષ્‍ટિ કરે ત્‍યારે જેવા પૂર્વજન્‍મને વિષે દેખ્‍યા હોય ને તે આ જન્‍મમાં વિસરી જાય છે, તેવી તેની વિસ્‍મૃતિ થઇ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જેમ આ સંસારને વિષે અજ્ઞાની સ્‍ત્રીપુરુષ હોય ને તેને પરણાવ્‍યા મોર અતિશે પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્‍યો હોય ને પછી એ બેને ભેળાં કર્યાં હોય તો નિદ્રાને માર્યે એકબીજાનાં રૂપનું કે સ્‍પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહિ. અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તોપણ જેમ કાષ્‍ટને સામસામાં બાંધી મુકયાં હોય તેમ સુતાં હોય પણ પંચવિષયમાં એકે સુખ આવે નહિ. એ જો  અજ્ઞાન કાળે સુષુપ્‍તિમાં ઉપશમને પામ્‍યાં છે તોપણ કોઇ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્‍વરૂપને ઘ્‍યાને કરીને ઉપશમ દશાને પામ્‍યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમ દશાને પામ્‍યો તેને પંચવિષય જન્‍મ-મરણના હેતુ થતા નથી. પછી નિત્‍યાનંદસ્વામીએ પુછયંુ  જે, “ઉપશમ દશા પામ્‍યાનો તમે કહ્યો જે આત્‍મારૂપે થઇને ભગવાનના ઘ્‍યાન કરવારૂપ ઉપાય તે તો અતિ કઠણ છે. માટે તે વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો ભગવાનનું અતિશે માહાત્‍મ્‍ય સમજતો હોય, અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવાચાકરી, દર્શન કરવું તેમાં અતિશે વેગવાન શ્રદ્ધા વર્તતી હોય. એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમ દશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે, જે સેવક માની હશે તે તો કોઇને નહિ ગમતો હોય.’ અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્‍યારે મોટા માણસ પણ કોદરા ખાઇને જીવે, તેમ માની સેવકને પાસે સેવાચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો.” પછી શુકમુનિએ પુછયું જે, “જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશે કયાં ડાહ્યા છે ? પણ કલ્‍યાણનો ખપ અતિશે છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતાં આવડે છે ખરૂં અને વળી આ સમયમાં તો અયોઘ્‍યાવાસી બાઇભાઇ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્‍યયોગી ને કર્મયોગી સત્‍સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા કેમ જે, અયોઘ્‍યાવાસીએ તો અતિશે જ સત્‍સંગપરાયણ પોતાનું જીવિતવ્‍ય કર્યું છે. માટે અયોઘ્‍યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતાં કોઇને આવડતું નથી. અને એ અયોઘ્‍યાવાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઇક કપટી હશે તો એમને છેતરી જશે તે સારૂં એમને કોઇક કાર્યનો આદર કરવો હોય ત્‍યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્‍સંગી ગૃહસ્‍થ તેમને પુછીને તે કામ કરવા દેવું પણ કોઇક એક જણાને કહ્યે કરવા દેવું નહિ. એવી રીતે ત્‍યાગી તથા ગૃહસ્‍થ સત્‍સંગીને અયોઘ્‍યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે.” ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું ||૩|| ૨૨૩ ||