વરતાલ ૧૪ : વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:47am

વરતાલ ૧૪ : વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના  મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી વડોદરાના વાધમોડિયા રામચંદ્રે શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ધર્મશાસ્ત્રને વિષે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે જે, આ કુપાત્ર માણસ છે.’ અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્‍ય થાય છે. અને વર્ણાશ્રમના ધર્મ લોપયા હતા તેનું જે પાપ લાગ્‍યું હતું તે સર્વે નાશ થઈ જાય છે, અને તે જીવ અતિશે પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્‍વરૂપમાં ચિત્ત ચોટે છે ત્‍યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરૂષ ધર્મશાસ્‍ત્રે કહ્યા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્‍યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો દ્રોહ કરતો હોય તો તે સત્‍પુરૂષના દ્રોહનું એવું પાપ લાગે છે જે, વર્ણાશ્રમના ધર્મ પાળ્‍યાનું જે પુન્‍ય તેને બાળીને ભસ્‍મ કરી નાખે છે. માટે સત્‍પુરૂષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે જે, પંચમહાપાપ કર્યાં હોય તે તો સત્‍પુરૂષને આશરે જઈને છુટાય છે, પણ સત્‍પુરૂષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છુટયાનો ઉપાય નથી, કેમ જે અન્‍ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છુટાય છે અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે, માટે સત્‍પુરૂષનો આશરો કરે ત્‍યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્‍પુરૂષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનનાં દર્શન હૃદયને વિષે થાય જ નહિ. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે, તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૪|| ૨૧૪ ||