વરતાલ ૩ : ચાર પ્રકારના મોટા પુરુષનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:23am

વરતાલ ૩ : ચાર પ્રકારના મોટા પુરુષનું

સંવત્ ૧૮૮૨ ના કાતર્િક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવડતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને મસ્‍તકને વિષે પાઘમાં તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્‍ય, ધર્મ અને ભગવાનની ભકિત એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય.અને આપણા સત્‍સંગમાં મોટો કરવા યોગ્‍ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્‍યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યાં તે તે એકના પેટામાં આવી જાય એવું એક કયું એ ચારેમાં શ્રેષ્‍ઠ છે. ?” ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! એવો તો એક ધર્મ છે, તે ધર્મ હોય તો ત્રણે વાનાં તે પુરુષમાં આવે.”

ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ધર્મ તો કેટલાક ૧વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્‍સંગમાં મોટો કરીશું ? ” પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જો માહાત્‍મ્‍યે સહિત ભગવાનની ભકિત હોય, ને આત્‍મનિષ્‍ઠા, ધર્મ ને વૈરાગ્‍ય એ સામાન્‍યપણે હોય તો, પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહિ. કેમ જે, જે ભગવાનનું માહાત્‍મ્‍ય જાણતો હોય તે તો એમ વિચારે જે, ભગવાનની આજ્ઞાને વિષે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે. તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય ? એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે.”

ત્‍યારે શુકમુનિએ પુછયું જે, “જ્યારે એક માહાત્‍મ્‍યે સહિત ભકિતએ કરીને સંપૂર્ણ થાય ત્‍યારે એક ભકિત જ કેમ ન કહી ને ચાર વાનાં શા સારૂં કહ્યાં ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ૨”અતિશે માહાત્‍મ્‍ય સહિત ભકિત ભગવાનને વિષે હોય તો એક ભકિતને વિષે ત્રણે આવી જાય, અને સામાન્‍ય ભકિત હોય તો એકમાં ત્રણ ન આવે, માટે ચારવાનાંએ સહિત જે ભકિત તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભકિત તો પૃથુરાજાને હતી, તે ભગવાને વર દેવાનું કહ્યું ત્‍યારે ભગવાનની કથા સાંભળ્‍યા સારૂં દશ હજાર કાન માગ્‍યા પણ બીજું કાંઈ ન માગ્‍યું. અને જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભકિત હોય તો જ્ઞાનાદિક ત્રણે એક ભકિતમાં આવી જાય.”

ત્‍યારે બ્રહ્માનંદ સ્વામીએ પુછયું જે,”એવી અસાધારણ ભકિત શે ઉપાયે કરીને આવે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મોટાપુરૂષની સેવા થકી આવે છે તે મોટા પુરૂષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્‍નિ જેવા; તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને  ઓલાઈ જાય, ને મશાલ જેવા હોય તે પણ  તેથી અધિક વિષય રૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય, ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. અને વડવાનળ અગ્‍નિ જેવા હોય, તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્‍યો ઓલાતો નથી અને સમુદ્રના જળને પીઈને મૂળ દ્વારા કાઢી નાખે છે તે પાણી મીઠું થાય છે, તેને મેધ લાવીને સંસારમાં વૃષ્‍ટિ કરે છે તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટા પુરૂષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે.” એવી રીતે એ ચાર પ્રકારના જે મોટા પુરૂષ કહ્યા, તેમાં જે વીજળીના અગ્‍નિ જેવા તથા સમુદ્રના અગ્‍નિ જેવા મોટા પુરૂષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્‍મ્‍યે સહિત ભકિત આવે છે. તે વીજળીના અગ્‍નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્‍નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૩|| ૨૦૩ ||