ગઢડા મઘ્ય ૪૧ : માનરૂપી હાડકાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:27am

ગઢડા મઘ્ય ૪૧ : માનરૂપી હાડકાનું

સંવત્ ૧૮૮૦ ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા ખોસ્‍યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્‍યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્‍યારે પોતાનું મોટું ભાગ્‍ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્‍યાણને અર્થે ભકિતએ કરીને જ કરવી, પણ કોઇક વખાણે તે સારૂં ન કરવી. અને જીવનો તો એવો સ્‍વભાવ છે જે, ‘જેમાં પોતાને માન મળે તેજ કરવું સારૂં લાગે.’ પણ માન વિના એકલી તો ભગવાનની ભકિત કરવી પણ સારી લાગે નહિ. અને જેમ શ્વાન હોય તે સુકાં હાડકાંને એકાંતે લઇ જઇને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ‘મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું.’તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાંને મુકી શકતો નથી. અને જે જે સાધન કરેછે તે માનને વશ થઇને કરે છે, પણ કેવળ ભગવાનની ભકિત જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભકિત કરેછે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્‍યારે કરે છે; પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો, અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભકિતતો રતનજી તથા મીયાંજી જેવા કોઇક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મુકી શકાતો નથી.” પછી તે ઉપર મુકતાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે :-

‘કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો સંગ | તુલસી લધુ ભોજન કરી જીવે માનકે રંગ ||’

એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઇ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશે મોટો જાણવો. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૧|| ૧૭૪ ||