ગઢડા પ્રથમ – ૧૨. તત્ત્વોના લક્ષણનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 11:30am

ગઢડા પ્રથમ – ૧૨. તત્ત્વોના લક્ષણનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૫ પુનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “જગતનાં કારણ એવાં જે પુરૂષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્ત્વાદિક ચોવીશ તત્ત્વ એમના સ્‍વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્‍યારે પોતાને વિષે રહી જે અવિદ્યા અને તેનાં કાર્ય એવાં જે ચોવીશ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે.”

ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! એમનું સ્‍વરૂપ કેમ જાણ્‍યામાં આવે?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એમનાં સ્‍વરૂપ તો એમનાં લક્ષણને જાણવે કરીને જણાય છે, તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય, અખંડ, અનાદિ, અનંત, સત્‍ય, સ્‍વયંજ્યોતિ, સર્વજ્ઞ, દિવ્‍યવિગ્રહ, સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરૂષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્‍મક છે, જડચિદાત્‍મક છે, નિત્‍ય છે, નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્ત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શકિત છે, અને ગુણસામ્‍ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને  કાળ કહીએ.

હવે મહત્તત્ત્વાદિક જે તત્ત્વ તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, ચિત્તને અને મહત્તત્‍વને અભેદપણે જાણવું અને જે મહત્તત્‍વને વિષે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્‍વચ્‍છ છે ને શુદ્ધ સત્ત્વમય છે અને શાંત છે, હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે, અહંકાર જે તે ત્રિગુણાત્‍મક છે અને ભૂતમાત્ર, ઇન્‍દ્રિયો, અંત:કરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્‍પત્તિનું કારણ છે અને એને વિષે શાંતપણું છે, ધોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ જે, મન જે તે સ્‍ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્‍પત્તિનું ક્ષેત્ર છે અને સંલ્‍પવિકલ્‍પરૂપ છે અને સમગ્ર ઇન્‍દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે, બુદ્ધિને વિષે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્‍દ્રિયોને વિષે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે. અને જે બુદ્ધિને વિષે સંશય, નિશ્વય, નિદ્રા અને સ્‍મૃતિ એ રહ્યાં છે. અને શ્રોત્ર, ત્‍વક્, ચક્ષુ, રસના, ધ્રાણ, વાક્, પાણી, પાદ, પાયુ અને ઉપસ્‍થ એ જે દશ ઇન્‍દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે, પોતપોતાના વિષયમાં પ્રવર્તવું.

હવે પંચમાત્રાનાં લક્ષણ કહીએ છીએ, તેમાં શબ્‍દનું લક્ષણ તો એ છે જે, શબ્‍દ જે તે અર્થમાત્રનો આશ્રય છે અને વ્‍યવહાર માત્રનું કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્‍વરૂપ તેનો જણાવનારો છે અને આકાશને વિષે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇંદ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવે છે, એ શબ્‍દનું લક્ષણ છે. હવે સ્‍પર્શનું લક્ષણ કહીએ છીએ જે, સ્‍પર્શ છે તે વાયુની તન્‍માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને ત્‍વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્‍પર્શનું સ્‍પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે, પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું અને તે પદાર્થને વિષે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરીણામપણું અને તેજ તત્ત્વનું તન્‍માત્રાપણું અને ચક્ષુ ઇન્‍દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ જે મધુરપણું, તીખાપણું, કષાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળનું તન્‍માત્રાપણું અને રસના ઇન્‍દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે, સુગંધપણું, દુર્ગઁધપણું  અને પૃથ્‍વીનું તન્‍માત્રાપણું અને ઘ્રાણ ઇન્‍દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે.

હવે પૃથ્‍વીનું લક્ષણ કહીએ છીએ જે, સર્વ જીવમાત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્‍થાનપણું અને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂતપ્રાણી માત્રના શરીરનું પ્રકટ કરવાપણું એ પૃથ્‍વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ જે, પૃથિવ્‍યાદિક દ્રવ્‍યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું, ભીનું કરવાપણું, તૃપ્‍તિ કરવાપણું, પ્રાણીમાત્રને જીવાડવાપણું, તૃષાની નિવૃત્તિ પમાડવાપણું, તાપને ટાળવાપણું અને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે, પ્રકાશપણું, અન્નાદિકને પચવી નાખવાપણું, રસને ગ્રહણ કરવાપણું, કાષ્‍ઠનું ને હુતદ્રવ્‍યાદિકનું ગ્રહણ કરવાપણું, ટાઢયને હરવાપણું, શોષણ કરવાપણું, અને ક્ષુધા અને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે, વૃક્ષાદિકને કંપાવવાપણું, તૃણાદિકને ભેળા કરવાપણું, શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચઇન્‍દ્રિયો પ્રત્‍યે પમાડવાપણું, અને સર્વ ઇન્‍દ્રિયોનું આત્‍માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ  કહીએ છીએ જે, સમગ્ર, જીવમાત્રને અવકાશદેવાપણું, ભૂતપ્રાણી માત્રનો જે દેહ તેનો માંહિલો વ્‍યવહાર અને દેહને બાહેરનો વ્‍યવહાર તેનું કારણપણું અને પ્રાણ, ઇન્‍દ્રિયો અને અંત:કરણ એ સર્વેનું સ્‍થાનકપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે ચોવીશ તત્ત્વ, પ્રકૃતિ, પુરૂષ અને કાળ એમનાં જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે.

અને એ જે સર્વે તેની ઉત્‍પત્તિ જાણવી, તે ઉત્‍પત્તિ કહીએ છીએ જે, પોતાના ધામને વિષે રહ્યા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અક્ષરપુરૂષરૂપે કરીને માયાને વિષે ગર્ભને ધરતા હવા. ત્‍યારે તે માયા થકી  અનંત કોટિ જે પ્રધાન અને પુરૂષ તે થતા હવા, તે પ્રધાન પુરૂષ કેવા છે તો અનંત કોટિ બ્રહ્માંડની ઉત્‍પત્તિના કારણ છે, તે મઘ્‍યે એક બ્રહ્માંડની ઉત્‍પત્તિના કારણ જે પ્રધાન પુરૂષ તેને કહીએ છીએ જે, પ્રથમ પુરૂષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરૂષરૂપે કરીને પ્રધાનને વિષે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહત્તત્‍વ ઉત્‍પન્ન થતું હવું અને મહત્તત્‍વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્‍પન્ન થતો હવો, તેમાં સાત્ત્વિક અહંકાર થકી મન અને ઇન્‍દ્રિયોના દેવતા ઉત્‍પન્ન થતા હવા અને રાજસ અહંકાર થકી દશ ઇન્‍દ્રિયો, બુદ્ધિ, અને પ્રાણ એ ઉત્‍પન્ન થતાં હવાં અને તામસ અહંકાર થકી પંચભૂત અને પાંચ તન્‍માત્રા એ ઉપજતાં હવાં. એવી રીતે એ સમગ્ર તત્ત્વ ઉપજ્યાં.

પછી તે પરમેશ્વરની ઇચ્‍છાએ પ્રેર્યા થકાં, પોતપોતાના અંશે કરીને ઇશ્વર અને જીવના દેહને સૃજતાં હવાં, તે ઇશ્વરના દેહ તે વિરાટ્, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત અને જીવના દેહ તે સ્‍થૂળ, સૂક્ષ્મ અને કારણ અને તે વિરાટ્ નામે જે ઇશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધ કાળપયર્ંત આયુષ છે અને વિરાટ્ પુરૂષના એક દિવસને વિષે ચૌદ મન્‍વંતર થાય છે. અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે. અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્‍યાં સુધી ત્રિલોકીની સ્‍થ્‍િાતિ રહે છે. અને જ્યારે એની રાત્રિ પડે છે ત્‍યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને નિમિત્તપ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરૂષનોે દ્વિપરાર્ધ કાળ પુરો થાય છે ત્‍યારે એ વિરાટ્ દેહનો સત્‍યાદિક લોક સહિત નાશ થાય છે. અને મહાદાદિક જે ચોવીશ તત્ત્વ, પ્રધાનપ્રકૃતિ અને પુરૂષ એ સર્વે મહામાયાને વિષે લય પામે છે. તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિષે લય પામે છે, જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે, તેને આત્‍યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્‍ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણક્ષણ પ્રત્‍યે નાશ તેને નિત્‍ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્‍ય થાય અને ભગવાનને વિષે ભકિત થાય છે અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્‍યારે જે સર્વે જીવ છે તેતો માયાને વિષે રહે છે અને જે ભગવાનના ભકત છે તે તો ભગવાનના ધામમાં જાય છે.”

ત્‍યારે વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે “તે ભગવાનનું ધામ કેવું છે?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે “તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્‍ય છે, અપ્રાકૃત છે, સચ્‍ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે, તેને દષ્‍ટાંતે કરીને કહીએ છીએ, જેમ પર્વતને વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય, પશુ, પક્ષ્યાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે સમગ્ર પૃથ્‍વી તે કાચની હોય અને આકાશને વિષે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય, પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્‍વી જેવી શોભે તેવી શોભાએ યુકત ભગવાનનું ધામ છે; એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભકત છે તે સમાધિને વિષે દેખે છે અને દેહ મુકયા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૧૨||

તા-૦૧/૧૨/૧૮૧૯ બુધવાર