સારસિદ્ધિ કડવું - ૩૦

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:29pm

મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી

જતને જાળવવાં જેમ જાળવે રતનજી, કયાંથી મળે પ્રભુ પ્રગટનાં વચનજી।।૧।।

ઢાળ - 

વચન ન મળે વાલા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં ।।

તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઈ ગયાં સોયલાં ।। ર ।।

અંગોઅંગ અવલોકીને, નખશિખ જોયા નાથ નીરખી ।।

એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખી ।। ૩ ।।

જે ધારતાં રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં ।।

તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં ।। ૪ ।।

જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે ।।

તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જયાન છે ।। પ ।।

જેણે નથી જોયા નાથને, નજરો નજર નયણાં ભરી ।।

તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળ ને અનુમાને કરી ।। ૬ ।।

જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે ।।

સોણે સાધ્ય નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ।। ૭ ।।

તે જ જ્ઞાની તે તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા ।।

તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા ।। ૮ ।।

ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણ ભણેલે હોય અવલોકિયા ।।

જુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા ।। ૯ ।।

જ્ઞાની તે જેને ગમ્ય હરિની, એમ સમજવું એહ સાર છે ।।

નિષ્કુળાનંદ કહે તેહ વિના, બીજું સર્વે અસાર છે ।। ૧૦ ।।કડવું ।।૩૦।।