સારસિદ્ધિ કડવું - ૨૯

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:24pm

ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી

ધર્મ જાતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી।।૧।।

ઢાળ - 

એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું

મહા મોંઘો મેળાપ જેનો, કયાંથી થાયે સર્વેને શિરતાજનું ।। ર ।।

નર અમર અમરેશને અગમ, અગમ ઈશ અજને ઘણું

પ્રકૃતિ પુરુષથી પરા રહ્યા, કયાંથી મળવું થાય તેને આપણું ।। ૩ ।।

સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર

ક્ષર અક્ષરના આત્મા, પૂરણ સહુને પાર ।। ૪ ।।

તેહ પ્રભુ પ્રગટ થઈ, નાથે ધરિયું નરતન

એવા પ્રભુનાં આપણે, કહો કયાંથી મળે વચન ।। પ ।।

મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારુ ઉરમાંય

એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય ।। ૬ ।।

તેહ હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન

તે પડવા ન દેવા પૃથ્વીએ, લેવા ઝીલી અધરથી જન ।। ૭ ।।

જેમ મોરપત્ની બિંદુ આવતાં, રત્યે લિયે છે રસે ભરેલડાં

તેનો મયૂર થાય તદવત, થાય પડતાં બિંદુના ઢેલડાં ।। ૮ ।।

તેમ આવતાં વચન વા’લાતણાં, ગ્રહી લિયે નર ગરજું થઈ

તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નઈ ।। ૯ ।।

સર્વે કામ તેણે સારિયું, વળી ધાર્યા સર્વે ધર્મ

નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો આટલો મર્મ ।। ૧૦ ।।કડવું।।૨૯।।