સ્નેહગીતા કડવું - ૩૮

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:21pm

ઊદ્ધવ ઊચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી મતિજી ।
મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં હવે જુવતિજી ।।૧।।

ઢાળ –

જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા કરો તમે ।
ત્યારે સુંદરી કહે સારૂં વીરા, સુખે પધારો રાજી અમે ।।૨।।

પછી ભવન ભવન ગઈ ભામીની, લાવી ભેટ  ભૂધર અરથે ।
મહી માખણદુધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે ।।૩।।

કોઈક કુરમલડો લાવી, કોઈક તલ બાજરી તલ સાંકળી ।
કોઈક ધોતી પોતી પીતાંબર, કોઈ લાવી કાળી કાંબળી ।।૪।।

ભર્યો રથ લઈ ભેટશું, લાવી વસ્તુ બહુ પ્રકારની ।  
અગર ચંદન માળા આપી, ઊદ્ધવ કરજો પૂજા મોરારની ।।૫।।

કોઈક કહે ચરણ હૃદે ધરજો, કોઈ કહે અંગોઅંગ ભેટજો ।
કોઈક કહે હૈયે હાથ ચાંપી, કોઈ કહે ચરણમાં લોટજો ।।૬।।

કોઈ કહે જઈ બકી લેજો, કોઈ કહે ગાલ ઝાલી તાણજો ।  
કોઈ કહે હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો ।।૭।।

જેને જેવું અંગ હતું, તેણે તે તેવું કા’વિયું ।  
હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે આવિયું ।।૮।।

વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઊદ્ધવ કહેજો જઈ કૃષ્ણને ।
દયાનિધિદયા કરીને,દેજો વહેલાં હરિ દૃષ્ણને ।।૯।।

ઊદ્ધવજી સ્તુતિ કરજો, કર જોડી અમારી વતી ।  
નિષ્કુલાનંદના નાથ આગળે, વિધવિધ કરજો વિનતિ ।।૧૦।। કડવું ।।૩૮।।